ચોવીસ તીર્થંકરો ત્રેસઠ શલાકા પુરુષોમાં સર્વોચ્ચ ગણાય છે. એવા તીર્થંકરોમાં આ કાળને વિશે છેલ્લા તીર્થંકર થયા શ્રી મહાવીર ભગવાન, કે જેઓ માત્ર ૨૫૦૦ વર્ષ પહેલાં જ થયા છે. આપણી પૃથ્વી પર હજુ મહાવીર ભગવાનના પરમાણુઓ ફરી રહ્યા છે અને તેથી આપણને બધાને ભગવાન મહાવીર માટે વધારે આકર્ષણ છે અને એમના વિશે આપણી પાસે ખૂબ માહિતી પણ છે, જે બીજા તીર્થંકરો માટે ઘણી ઓછી છે.
મહાવીર સ્વામી એ બધા જ તીર્થંકરોમાં ‘મહાવીર’ કહેવાયા! એમણે જબરજસ્ત રીતે કર્મોનો સામનો કર્યો હતો. તીર્થંકરોને આવા કર્મો ન હોય, જે મહાવીર સ્વામીના ભાગમાં આવ્યા. એનું કારણ એ કે તેઓ છેલ્લા તીર્થંકર હતા અને ચોથો આરો પૂરો થવા આવ્યો હતો. તે સમયે પાંચમા આરાની શરૂઆત અને ચોથા આરાની પૂર્ણાહુતિનો નજીકનો કાળ હતો. ભગવાનના નિર્વાણ પછી પાંચમો આરો બેસવાને માત્ર સાડા ત્રણ વર્ષ જ બાકી હતા. આજુબાજુના વાતાવરણનાં લક્ષણો પાંચમા આરાની ખૂબ જ નજીકના હતા. ભગવાન ખૂબ ઠાંસોઠાંસ કર્મો લઈને આવ્યા હતા. એમના વખતમાં ઘણા બધા આશ્ચર્યો થયેલા હતા.
ભગવાન મહાવીર એક અદ્ભુત વ્યક્તિત્વ થઈ ગયું છે કે જેની તોલે કોઈ આવી શકે એમ નથી. તીર્થંકરો બધા સરખા જ હોય પણ કર્મો ખપાવવા માટે જે શક્તિ વગેરે હતું, એ મહાવીર ભગવાનનું કંઈ ઔર જ જાતનું હતું. એમના કર્મો પણ ઔર જ જાતના હતા અને એમાં તેઓ પણ ઔર જાતના થઈને પાર નીકળ્યા. માટે એમને દેવોએ ‘મહાવીર’ તરીકે નવાજ્યા. ’મહાવીર’ એ જેવું તેવું પદ નથી. ચાલો, હવે મહાવીર પ્રભુના જન્મ પહેલાંના સત્યાવીસ ભવો અને તેમનું તીર્થંકર જીવનચરિત્ર વાંચીએ.
મહાવીર ભગવાનના સત્યાવીસ ભવોમાંથી પ્રથમ ભવ નયસારનો છે. નયસાર એક કઠિયારા હતા. તેઓ ખૂબ જ ભક્તિપરાયણ અને સાત્ત્વિક હતા. પોતે મહેનતથી દરરોજ જંગલમાં જતા. ખૂબ ભારે કષ્ટથી તડકામાં, ટાઢમાં, વરસાદમાં જંગલમાં જઈ લાકડા કાપી લાવતા અને રાજાને કામ માટે પોતે એ બધું અર્પણ કરતા. એમાંથી એમને જે કંઈ પણ આજીવિકા મળતી એમાં પોતાનો જીવનનિર્વાહ કરતા. તે ખૂબ જ ગરીબ પણ દિલના બહુ અમીર હતા. જે કોઈ પણ એમની પાસે આવે એની સાથે ખૂબ જ પ્રેમથી અને હૃદયથી પોતે અતિથિસત્કાર કરતા. અતિથિ જોડે પ્રેમથી સત્સંગની જ વાતો કરતા. કોઈ પણ અતિથિ એને ત્યાં આવે તો એમનો નિયમ હતો કે હું એમને જમાડું અને પછી જ હું જમું. ગમે તેમ પોતે અતિથિની શોધમાં જ રહેતા કે ક્યાંક મને કોઈ જમવાવાળો મળી આવે! બધાને જમાડ્યા પછી જેટલું બચે એટલું તેઓ પ્રેમથી ખાતા. દરરોજ પોતે વનમાં ભાથું લઈ જતા અને ભાથામાંથી કોઈને ખવડાવે પછી જ ખાતા; આવો એમનો નિયમ હતો.
એક વખત બન્યું એવું કે નયસાર જંગલમાં લાકડા કાપવા ગયા હતા, ત્યાં આગળ ઘણાં બધા સાધુઓ આવ્યા હતા. સાધુ એ કોઈ જેવી તેવી દશા નથી. આત્મદશા સાધે એને સાધુ કહેવાય; આત્મા પ્રાપ્ત કર્યા પછીની સ્થિતિને સાધુ કહેવાય છે. ફક્ત કપડાં બદલીને બેસી જાય એને સાધુ નથી કહેવાતા; આંતરિક પરિણતિને સાધુપદ કહેવામાં આવે છે.
નયસાર જંગલમાં મજૂરી કરતા હતા; લાકડાં કાપતા હતા ત્યારે સાધુઓનું એક વૃંદ ભૂલું પડી ગયું હતું. સાધુઓ ભટક-ભટક કરતા હતા; રસ્તો શોધતા હતા પણ ક્યાંય એમને મળતો નહોતો, કારણ કે એમનો સાર્થ ક્યાંક ખોવાઈ ગયો હતો. બધા સાધુઓ ક્યાંક ગામમાં ભિક્ષા લેવા ગયા હતા ત્યાં ક્યાંય ભિક્ષા મળી નહીં અને એમનો સાર્થ ભૂખ્યો-તરસ્યો હોવાથી કંટાળીને ક્યાંક જતો રહ્યો. સાધુઓ એકલાઅટૂલા પડી ગયા. શોધતા-શોધતા તેઓ જંગલમાં આવી ગયા અને ત્યાં એમને કઠિયારા નયસાર ભેગા થયા.
બપોરે તડકાનો સમય હતો; નયસાર ખૂબ તરસ્યા-ભૂખ્યા થયા હતા. એ પોતાનું ભાથું ખાવા માટે તૈયારી કરવા જતા હતા અને તપાસ કરતા હતા કે કોઈ મને ભાથું વહેચવા માટે મળે, મને અતિથિસત્કાર કરવાનો લાભ મળે એમ કરીને એમણે નજર ફેરવી તો ત્યાં એને સાધુઓ ભૂખ્યા-તરસ્યા અને ઢીલાઢસ થયેલા લથડતા જોવા મળ્યા. આ જોઈ એમનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. નયસાર સાધુઓ પાસે ગયા અને પૂછ્યું, ”તમારી આ હાલત! અહીંયા તો કોઈ હથિયારવાળો વીર રાજા પણ એકલો ના ફરે. તમે કેવી રીતે અજાણ્યા થઈને આમ ફરો છો? હું તો રોજનો છું એટલે મને બધી ખબર છે. બાકી અહીં તો વાઘ, વરુ, સિંહ બધા જ જાનવરો અને લૂંટારાઓ હોય છે! એ તમારા શું હાલ કરે?” ત્યારે સાધુએ કહ્યું, “અમને લૂંટી લૂંટીને શું લૂંટવાના છે! આજે અમારી પાસે તો કંઈ ખાવાનું પણ છે નહીં. અમારા પાસે બીજો કોઈ ઉપાય નથી. અમે ભૂલા પડ્યા છીએ અને અમારા માર્ગને શોધી રહ્યા છે.” પછી નયસારને ખૂબ કરુણા આવી અને બધા સાધુઓને પોતાના સ્થાને લઈ ગયા. ત્યાં એમણે સાધુઓને પોતાની પાસે જે હતું એ બધું આપ્યું અને પોતે કંઈ પણ ખાધું નહીં. માત્ર એક ઘૂંટડો પાણી પીધું; કારણ કે આ બધાને આપતાં આપતાં પોતાની પાસે કંઈ બચ્યું ન હતું. એમણે પોતે ના ખાઈને પણ અતિથિઓને જમાડ્યા. એણે એટલા અહોભાવથી જે ભોજન કરાવ્યું, એની તો કંઈ વાત જ જુદી! એ ભાવથી સાધુઓને જમાડતા જમાડતા, એ જ ઘડીએ નયસારને અંદર સમકિત થયું અને એને મોટામાં મોટું પદ પ્રાપ્ત થયું! જમાડે તો બધા જ છે પણ અંદર ભાવથી જમાડવાની વાત કંઈ ઔર જ છે. ખરા સંસ્કાર તો એને કહેવાય કે અતિથિ માટે જરા પણ ભાવ ના બગડે.
નયસારને આતિથ્યસત્કારથી ખૂબ જ ભક્તિભાવ જાગ્યા હતા. સાધુ પાસેથી એમને બોધ મળ્યો. બધા સાધુઓએ ખૂબ સરસ સત્સંગ કર્યો અને નયસારનું હૃદયપરિવર્તન થયું. આ ભવમાં આતિથ્યસત્કારને લીધે એમનું દેવગતિનું આયુષ્ય બંધાયું. એમના સાત્વિક વિચારો, સાધુઓની સેવા અને કોઈ પણ માણસને ભૂખ્યો ના જવા દેવો, કાયમ આતિથ્યસત્કાર, આવા ઊંચા ગુણો અને સાધુઓ પાસેથી બોધ પામીને સમકિત પ્રાપ્ત થયું.
સમકિત એટલે દૃષ્ટિ આખી બદલાવી. જે મિથ્યાદૃષ્ટિ હોય છે, તેમાંથી સવળી દૃષ્ટિ, આત્મદૃષ્ટિ ઉત્પન્ન થવી. સમકિત ક્યારે થાય? કો’ક એવા જ્ઞાની મળે કે જે બોધ આપે અને આપણો ઉઘાડ કરે! એવા જ્ઞાનીની શોધમાં રહેજો. એ જ્ઞાનીની શોધ કરતા કરતા કો’ક દહાડો આપણે પણ નયસારની જેમ સમકિત પ્રાપ્ત કરી લઈશું.
ભગવાન મહાવીર પોતાના પાછલા નયસારના ભવમાં સમકિત પ્રાપ્ત કરીને પછી દેવગતિમાં જન્મ્યા.
દેવગતિમાંથી આયુષ્ય પૂરું કરીને એમનો ત્રીજો ભવ ઋષભદેવ ભગવાનના પૌત્ર અને રાજા ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિ તરીકે થયો. મરીચિ એ રાજા ભરત ચક્રવર્તીના પુત્ર હતા અને ભરત ચક્રવર્તી પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના પુત્ર હતા. ઋષભદેવ ભગવાનના દીક્ષા લીધા પછી મરીચિએ પણ દીક્ષા લીધી. મરીચિ ભગવાન પાસે રહીને પોતાનો મોક્ષપંથ પામવા માટે પુરુષાર્થમાં હતા. ભગવાને એમને બધી જ વિદ્યાઓ સરસ રીતે શીખવાડી અને ધ્યાન-તપ-જપ બધામાં એમને આગળ વધાર્યા. પરંતુ, મરીચિ બહુ નાજુક અને કોમળ હૃદયના હતા; એમનાથી કષ્ટ સહન થતા ન હતા. સાધુ તરીકેના બધા નિયમો અને આચાર કડક હતા. ઉઘાડે પગે ફરવાનું, માથું મૂંડાવીને લોચ કરવાનો, તડકામાં ફરવાનું - આ બધું એમનાથી સહન થતું ન હતું. તેથી મરીચિ સાધુ આચારમાંથી બીજા પંથ તરફ ફંટાયા; તેમણે અલગ ત્રિદંડી પંથ સ્થાપ્યો. તેઓ ભગવાં વસ્ત્ર, જોડા પહેરતા; પોતાની પાસે છત્રી અને કમંડલ રાખતા - એમ ઘણા બધા આચારો બદલ્યા. તેમ છતાં, પોતે તો ભગવાન ઋષભદેવની જોડે જોડે જ ફરતા; પણ એમનો પોતાનો આચાર જુદો, સ્વતંત્રપણે કરતા હતા. ભગવાન તો વીતરાગ હોવાથી કશું કહેતા ન હતા. જેમ હોય તેમ ચાલવા દેતા; કશું વઢતા નહોતા.
એક વખત રાજા ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનને વાંદવા આવ્યા. ભરત ચક્રવર્તીને ખૂબ આનંદ થયો કે પોતાના પિતા આટલા બધા મહાન હતા! પોતે ચક્રવર્તી અને પિતા તીર્થંકર! ભરત ચક્રવર્તીએ ઋષભદેવ ભગવાનને પૂછ્યું, ”આપણા કુળમાં હજુ બીજા કોણ કોણ તીર્થંકર કે શ્રેષ્ઠ પુરુષ થવાના છે?” ઋષભદેવ ભગવાન તો કેવળજ્ઞાની હતા. એમને તો ચોવીસ તીર્થંકરો અંગેનું બધું જ જ્ઞાન હતું; બધું જ આરપાર દેખાતું. ભગવાને કહ્યું, ”આપણા કુળમાંથી આ તારો પુત્ર મરીચિ આ ચોવીસીનો છેલ્લો તીર્થંકર મહાવીર થશે. અને પાછો એ જ ચક્રવર્તી અને પહેલો વાસુદેવ ત્રિપૃષ્ઠ પણ થવાનો છે.” ભરત ચક્રવર્તીને આ સાંભળીને બહુ આનંદ થયો.
આ બાજુ રાજા ભરત ચક્રવર્તીએ મરીચિ પાસે જઈને એમને નમસ્કાર કર્યા, દંડવત પ્રણામ અને પ્રદક્ષિણા કરીને મરીચિને વંદન કર્યા. એમને અહો અહો થયું કે એમનો પુત્ર તીર્થંકર, ચક્રવર્તી અને વાસુદેવ થશે. રાજા ભરત ચક્રવર્તીએ મરીચિને કહ્યું, ”હું તને મારા પુત્ર કે સાધુ તરીકે નથી વાંદતો. તું ત્રિદંડી છું પણ હું તો તને તારા ભવિષ્યમાં આટલા બધા પદ થનારા છે, તું છેલ્લો તીર્થંકર મહાવીર થનારો છું, એમ કરીને વાંદું છું.” આ સાંભળીને મરીચિએ પૂછ્યું, “આ તમને કોણે કહ્યું?” તો રાજા ભરત ચક્રવર્તીએ કહ્યું, “ઋષભદેવ ભગવાને.” તીર્થંકર ભગવાન કહે એટલે તો વાત જ પૂરી. આ સાંભળીને મરીચિને અંદરથી ખૂબ જ મદ ઉત્પન્ન થયો, ”હવે તો હું તીર્થકર થવાનો છું, વાસુદેવ થવાનો છું. એટલે હવે મારી તો વાત પૂરી થઈ ગઈ. મારો તો સિક્કો મારા હાથમાં આવી ગયો. હું કેવા ઊંચા ગોત્રનો છું! કેવું કુળ મારું છે! મારા દાદા તીર્થંકર છે, મારા પિતા ચક્રવર્તી છે અને હું પ્રથમ વાસુદેવ થનારો છું, ચક્રવર્તી થનારો છું અને છેલ્લો તીર્થંકર પણ થનારો છું! આપણું કુળ કેટલું મહાન છે!” એમ કરીને એમને જબરજસ્ત મદ અને અહંકાર ચડ્યો. અહંકારના માર્યા મરીચિએ ભયંકર કર્મો બાંધ્યા.
મરીચિ પોતે ત્રિદંડી લઈને વિચરતા હતા અને જે કોઈ એમની પાસે શિષ્ય થવા આવે તો તેઓ ઉપદેશ તો બધો વીતરાગ ધર્મનો જ આપતા. ભગવાન ઋષભદેવની જ વાતો બધાને સંભળાવતા અને કોઈ એમની પાસે દીક્ષા લેવા આવે તો એ ચોખ્ખી ના પાડતા અને કહેતા, ”હું દીક્ષા આપવા માટે લાયક નથી. દીક્ષા તો તમારે ઋષભદેવ ભગવાન પાસે જ લેવાની.” પણ ઋષભદેવ ભગવાનના નિર્વાણ પછી પોતે માંદા પડ્યા; એમની કોઈ સેવા કરનારું હતું નહીં. એટલે એમણે એકાદ શિષ્ય રાખવાનું નક્કી કર્યું. એક શિષ્ય એમને મળ્યો અને એણે મરીચિને પૂછ્યું ”તમે જે ધર્મ આપો છો અને ઋષભદેવ ભગવાન જે ધર્મ આપે છે એમાં ફેર શું?” તો મરીચિએ કહ્યું, “ના, બધું સરખું જ છે. એય ધર્મ છે અને આય ધર્મ છે.” પછી પેલો મરીચિનો શિષ્ય થયો. બસ આટલી જ એમણે ઉત્સૂત્ર પ્રરૂપણા કરી; પ્રરૂપણા ખોટી આપીને એકને મોક્ષમાર્ગ તરફથી અન્ય માર્ગ તરફ ઊંધા રવાડે ચડાવ્યા. આથી મરીચિએ ભયંકર કર્મ બાંધ્યું અને એમના કેટલાય અવતારો લંબાયા; કેટલું બધું એમને રખડવું પડ્યું. જો કે, એમણે તપશ્ચર્યા બહુ કરી હોવાથી મૃત્યુ પછી તેઓ દેવગતિ પામ્યા. દેવગતિ પછી તેઓ ઘણા ભવો ભટક્યા; કેટલી બધી વાર તેઓ બ્રાહ્મણ થયા અને કેટલી વાર દેવગતિમાં જનમ્યા. આમ કરતા કરતા એમના ઘણા અવતારો થઈ ગયા.
દેવગતિમાં જન્મ્યા પછી મહાવીર ભગવાનનો એક ભવ રાજગૃહી નગરીના રાજાના કુંવર તરીકે થયો. વિશ્વનંદી રાજાને વિશાખાનંદી નામનો એક પુત્ર હતો અને એમને વિશ્વભૂતિ (મહાવીર ભગવાન) નામનો ભત્રીજો હતો. બંને ભાઈઓ સાથે ઊછર્યા હતા, પણ બંને વચ્ચે લાગણી નહોતી. પછી બંને યુવાન થયા અને બધી વિદ્યાઓ શીખ્યા. બંને ભાઈઓમાં રાજકુંવર વિશાખાનંદી જરા નબળા હતા, જ્યારે વિશ્વભૂતિ શક્તિશાળી હતા. બંને યુવાન થયા પછી પરણ્યા અને એક વખત એવું બન્યું કે વિશ્વભૂતિ પોતાની બધી રાણીઓને લઈને પોતાના રાજ્યના બહુ જ પ્રખ્યાત અને જબરજસ્ત ભવ્ય ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયા. વિશ્વભૂતિને ઉદ્યાન ખૂબ પસંદ હોવાથી મોટા ભાગનો સમય ત્યાં જ પસાર કરતા હતા. એમના રાજકુટુંબનો એવો નિયમ હતો કે એક સમયે એક વ્યક્તિ જો એ ઉદ્યાનમાં ક્રીડા કરતી હોય, તો બીજી વ્યક્તિ ત્યાં પ્રવેશ ના કરે. એ વ્યક્તિ બહાર નીકળે પછી જ બીજી વ્યક્તિ અંદર જાય; એવો મર્યાદાવાળો વ્યવહાર હતો.
એ ઉદ્યાનમાં અંદર વિશ્વભૂતિ હતા, ત્યારે તે સમયે વિશાખાનંદી રાજકુંવરને એ ઉદ્યાનમાં અંદર જવાનું મન થયું. એ પોતાની રાણીઓ સાથે અંદર જવા ગયો અને દ્વારપાળે એમને રોક્યા અને કહ્યું, “અંદર વિશ્વભૂતિ છે; તમારાથી નહીં જવાય.” પછી વિશાખાનંદીએ બહાર ઊભા રહીને બહુ જ લાંબા સમય સુધી પોતાનો વારો ક્યારે આવશે એની રાહ જોઈ રહ્યો હતો. એટલામાં જ રાજમાતાની દાસી એ ઉદ્યાનમાં ફૂલ તોડવા માટે આવી. એણે જોયું કે રાજકુંવર ઉદ્યાનની બહાર છે, જ્યારે અંદર તો પેલો ભત્રીજો હતો. પછી દાસીએ રાજમાતા પાસે જઈને કાનભંભેરણી કરી. રાજમાતાને થયું, ”રાજગાદી પર મારા પુત્રનો હક છે અને એને ઉદ્યાનમાં જવા માટે બહાર રાહ જોવી પડે અને પેલા મજા કરે એવું ચાલતું હશે?!” પછી રાજમાતા રિસાઈને કોપભવનમાં જતા રહ્યા. રાજાએ એમને મનાવ્યા, સમજાવ્યા પણ રાજમાતા માન્યા જ નહીં. કારણ કે એમને બહુ જ ઈર્ષ્યા થઈ કે “મારા પુત્રની કશી કિંમત ના રહી અને ભત્રીજાને આટલું બધું મહત્ત્વ! ખરેખર તો મારો પુત્ર ગાદી પર બેસવાનો છે.” પોતાના પુત્ર કરતા વિશ્વભૂતિ શક્તિશાળી હોવાને કારણે આમ પણ રાજમાતાને ઈર્ષ્યા થતી હતી. રાજમાતાની વિનંતીથી રાજાએ કપટ કરીને વિશ્વભૂતિને ઉદ્યાનમાંથી બહાર કાઢવા એક યોજના ઘડી. એ યોજનામાં રાજાએ વિશ્વભૂતિને કહ્યું, “એક સામંત મારું માનતો નથી માટે લડવા જવું પડશે.” ત્યારે વિશ્વભૂતિએ કહ્યું, ”તમે નહીં, હું જ જઈ આવું છું.” વિશ્વભૂતિ જેવા ત્યાં ગયા, ત્યાં સામંતે એમનું સ્વાગત કરીને વંદન કર્યા, ”અહોહો! ધનભાગ મારા કે તમે મારે ત્યાં પધાર્યા!” પછી વિશ્વભૂતિએ સામંતને પૂછ્યું, ”આપ શા માટે અમારા રાજાને સ્વીકારતા નથી?” તો સામંતે કહ્યું, ”ના, હું તો એમનો ખંડણી રાજા છું; તેઓ મારી માથે છે.” પછી વિશ્વભૂતિ પણ મૂંઝાયા અને આ શું બન્યું એ એમને સમજાયું નહીં, કારણ કે પોતાને શરણે આવેલા સાથે યુદ્ધ કરાય જ નહીં. સામંતની મહેમાનગતિ સ્વીકારીને તેઓ પાછા ગયા. ખંડણી રાજાએ વિશ્વભૂતિને ખૂબ ભેટસોગાદો આપીને રવાના કર્યા.
પોતાને સોંપેલું કામ પૂરું કરીને વિશ્વભૂતિ પાછા પોતાના રાજ્યમાં આવ્યા અને રાજાને બધી વાત કરી. પોતાનું કામ પૂરું કરીને પાછા તેઓ ઉદ્યાનમાં પોતાની રાણીઓને લઈને ક્રીડા કરવા ગયા. ત્યાં જ દ્વારપાળે એમને રોક્યા કે ”તમારાથી અત્યારે અંદર નહીં જવાય; અત્યારે તો તમારા પિત્રાઈ ભાઈ યુવરાજ વિશાખાનંદી એમની રાણીઓ સાથે ઉદ્યાનમાં અંદર છે.” વિશ્વભૂતિને તરત સમજાઈ ગયું કે આ તો મને અહીંથી કાઢવા માટે બધું કપટ કર્યું! તેઓ ખૂબ કોપાયમાન થયા. ત્યાં એક કોઠાનું ઝાડ હતું; એની પર પુષ્કળ કોઠા લાગેલા હતા. વિશ્વભૂતિએ ગુસ્સામાં એ ઝાડને એક મુઠ્ઠી મારી અને એકદમ બધા કોઠા ખરી પડ્યા. બધા સડાક થઈ ગયા, ગભરાઈ ગયા. વિશ્વભૂતિએ ગુસ્સામાં બધા સૈનિકોને કહ્યું, ”હું મારા કાકાનું બહુ માન રાખું છું એટલે, નહીં તો અત્યારે ને અત્યારે તમારા બધાની હાલત આ કોઠા જેવી કરી નાખું.” પછી વિશ્વભૂતિને અતિશય ક્રોધ આવતાં દેખાયું કે આ સંસારનું સ્વરૂપ શું છે! નર્યું છલકપટ, રાજ્ય માટે! મારે આ બધું જોઈતું જ નથી. મને તો એવું કંઈ હતું જ નહીં, છતાંય આ બધું છલકપટ શેના માટે છે? ગાદી માટે! વિશ્વભૂતિને સંસાર પ્રત્યે બહુ જ વૈરાગ આવ્યો અને પોતે દીક્ષા લઈને જંગલમાં જતા રહ્યા. એમણે ખૂબ તપ-ભક્તિ-આરાધના કર્યા. વિશ્વભૂતિ જ્યારે વૈરાગ લઈને નીકળતા હતા, ત્યારે એમના કાકા અને પિતાએ ખૂબ વિનંતી કરી કે ”તું ના જા; તું જ ગાદી પર બેસજે.” પણ પોતાના દ્રઢ વૈરાગના આધારે વિશ્વભૂતિએ આ વાત ના માની અને દીક્ષા લીધી. વિશાખાનંદીની ઈચ્છા પ્રમાણે અંતે એને રાજગાદી મળી ગઈ.
એક વખત વિશ્વભૂતિ એક ગામમાં સાધુ થઈને વહોરાવવા ગયા. ત્યાં એમણે જોયું કે યોગાનુયોગ એ જ ગામમાં એમના પિત્રાઈ ભાઈ વિશાખાનંદીના લગ્ન હતા. આ બાજુ રાજાના મંત્રીઓએ જોયું કે વિશ્વભૂતિ સાધુનો દેહ સુકાઈને એકદમ કૃશકાય થઈ ગયો હતો. છતાં, બધાએ એમને ઓળખી પાડ્યા અને વિશાખાનંદીને આની જાણ કરી. વિશાખાનંદીને વિશ્વભૂતિ સાધુને જોતાં જ પહેલાંનું વેર ખળભળી ઊઠ્યું. એટલામાં જ એક ગાયે આવીને વિશ્વભૂતિને ધક્કો મારીને પાડી નાખ્યા. એટલે વિશાખાનંદી સહિત બધા સૈનિકો અને મંત્રીઓએ એમની મશ્કરી કરી. વિશાખાનંદીએ પછી વિશ્વભૂતિ સાધુને જબરજસ્ત દ્વેષીલો અને ડંસીલો ટોણો મારીને કહ્યું, ”કેમ? કોઠાની જેમ બધાને તું પછાડી મારવાનો હતો! તે તારું બળ ક્યાં ગયું? આ ગાય તને પાડી જાય છે; છે તારી તાકાત? હવે છે કશું તારામાં?”
આ સાંભળતાં જ વિશ્વભૂતિનો અહંકાર ખૂબ ઘવાયો. એક જ ક્ષણમાં તેમણે પોતે કરેલા ત્યાગ, સંયમ અને સમતા બધું જ ફગાવી દીધું. વિશ્વભૂતિએ ગુસ્સામાં ને ગુસ્સામાં ગાયનું શિંગડું પકડીને એને જોરથી ઉછાળીને પછાડી પોતાનું બળ બતાવ્યું. તેઓ ક્રોધમાં ને ક્રોધમાં પછી એ મૃત્યુ પામ્યા. પોતાના પિત્રાઈ ભાઈ વિશાખાનંદી જોડે એટલું બધું વેર બંધાયું કે મનમાં ને મનમાં એમણે નક્કી કર્યું કે, “આને તો હું મારીને જ જંપીશ; આ ભવમાં નહીં તો આવતા ભવમાં. હું એવું નિયાણું કરું છે કે મારું જે કંઈ તપ હોય તે બધું તપ આ નિયાણામાં જાઓ અને આવતા ભવે હું આ વિશાખાનંદીને મારીને જ રહું.” એવું વિશ્વભૂતિ સાધુએ નિયાણું બાંધ્યું. પોતાનું બધું જ તપ નિયાણામાં ખોઈ નાખ્યું. માટે કોઈ દિવસ કોઈને ટોણો ન મારવો. કોઈને પણ કિંચિત્માત્ર પણ આપણાથી દુઃખ ના થાય એવું આપણું વલણ હોવું જોઈએ.
પોતાનું આયુષ્યકર્મ ખપાવીને વિશ્વભૂતિ દેવગતિમાં જન્મ્યા. આ બાજુ વિશાખાનંદી આયુષ્ય પૂરું કરીને અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ થયા અને વિશ્વભૂતિએ દેવગતિનું પોતાનું આયુષ્ય પૂરું કરીને મનુષ્યગતિમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ તરીકે જન્મ લીધો.
ભરતક્ષેત્રમાં પ્રજાપતિ રાજા અને ભદ્રા રાણીને ત્યાં અચલકુમાર બળદેવનો જન્મ થયો. રાણી બહુ જ સારા અને સુશીલ હતા. ભદ્રા રાણીને ચાર સ્વપ્નો દેખાયા, એના પરથી ભાખવામાં આવ્યું કે રાણીની કૂખે બળદેવનો જન્મ થશે. અમુક સમય વીત્યા બાદ પ્રજાપતિ રાજાના બીજા પત્ની મૃગાવતીને સાત સ્વપ્નો આવ્યા અને એના પરથી નિમિત્તિયાઓ દ્વારા એવું ભાખવામાં આવ્યું કે મૃગાવતી રાણીની કૂખે વાસુદેવ જન્મ લેશે અને તે અત્યંત પ્રતાપી હશે. વાસુદેવનો જન્મ થયો; એમની પીઠ પર ત્રણ વાંકીચૂકી પાંસળીઓ હતી, એ આધારે એમનું નામ ‘ત્રિપૃષ્ઠ’ પાડવામાં આવ્યું. તીર્થકર શ્રી શ્રેયાંસનાથ ભગવાનના કાળમાં ત્રિપૃષ્ઠ વાસુદેવનો જન્મ થયો. ત્રિપૃષ્ઠ વાસુદેવ (મહાવીર ભગવાન) બહુ જ નાની વયમાં બહુ બધી વિદ્યાઓ ઝડપથી શીખ્યા. અચલ બળદેવને પોતાના ભાઈ ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રત્યે ખૂબ આકર્ષણ રહેતું હતું. હંમેશા બળદેવ અને વાસુદેવ બંને ઓરમાઈ ભાઈ હોય અને બંને એટલા બધા એકબીજાની જોડે લાગણીથી બંધાયેલા હોય કે દુનિયામાં એવા ભાઈઓનો પ્રેમનો જોટો ક્યાંય મળે નહીં એવો અજોડ પ્રેમ હોય છે. બંને જણા બધી વિદ્યાઓ શીખીને ખૂબ જ પ્રતાપી અને શૂરવીર થયા.
વિશાખાનંદીનો જીવ ભરતક્ષેત્રમાં અશ્વગ્રીવ નામના પ્રતિવાસુદેવ તરીકે જન્મ્યો. અશ્વગ્રીવ ખૂબ જ શક્તિશાળી અને અડધી પૃથ્વીનો રાજા હતો. હંમેશા પ્રતિવાસુદેવ અડધી પૃથ્વીના રાજા હોય છે. એક વખત અશ્વગ્રીવે પોતાના મૃત્યુ વિશે નિમિત્તિયાઓને પૂછ્યું કે ”મારું મૃત્યુ કેવી રીતે થશે?” ત્યારે નિમિત્તિયાઓએ કહ્યું, ”બે વસ્તુ હશે તેનાથી. એક તો તારા દૂત ચંડવેગને જે મારશે અને ભગાડી દેશે તેનાથી અને બીજું આ જે સંઘપુરમાં કેસરી સિંહ છે (જે બહુ ઉપદ્રવી અને બહુ લોકોને મારી નાંખતો હતો; એ સિંહને મારી નાખવું અઘરું હતું.) એને જે કોઈ મારી નાંખશે તો સમજી જજે કે એ તારા મૃત્યુનું કારણ બનશે.” એટલે અશ્વગ્રીવ રાજાને અંદર બહુ લ્હાય બળી ગઈ અને બહુ જ ભોગવટો આવ્યો કે, ”હવે શું થશે? કોણ મને મારનારો હશે!” એની શોધમાં એણે માણસો લગાડી દીધા. અશ્વગ્રીવ રાજાએ પોતાના દૂત ચંડવેગ પાસે એ વ્યક્તિની શોધ કરાવી.
પછી ધીમે ધીમે પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના જ ખંડણી રાજા, પ્રજાપતિ રાજાના બે પુત્રો અચલ બળદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવની શૂરવીરતા, નામના અને કીર્તિ લોકોમાં ખૂબ જ ફેલાઈ હતી. આ સાંભળીને અશ્વગ્રીવ રાજાએ પ્રજાપતિ રાજાના બે પુત્રોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેણે પોતાના દૂત ચંડવેગને પ્રજાપતિ રાજા પાસે મોકલ્યો. જેવો દૂત ચંડવેગ પ્રજાપતિ રાજાના દરબારમાં આવ્યો ત્યાં દૂતને જોતાં જ દરબારમાં સંગીત વાગતું બંધ થઈ ગયું. સંગીત બંધ કરીને દૂતની આગતા-સ્વાગતા કરીને એમના ખબર-અંતર પૂછ્યા. દરબારમાં ચાલી રહેલી મહેફિલ તૂટી જતાં ત્રિપૃષ્ઠ વાસુદેવને બહુ જ ગુસ્સો આવ્યો કે ”આ વળી કોણ આવ્યો? અમારા રંગમાં ભંગ પડાવનારો!” વાસુદેવ એટલે જબરદસ્ત અહંકારી અને શક્તિશાળી હોય; એમના રંગમાં ભંગ પડે એટલે એમનો બહુ પિત્તો જાય. ત્રિપૃષ્ઠ વાસુદેવ પ્રજાપતિ રાજાની સામે કશું બોલી ના શક્યા પણ તેમણે નક્કી કર્યું કે “મારા રંગમાં ભંગ કરાવવા બદલ આને તો હું જોઈ લઈશ!”
પ્રજાપતિ રાજાએ દૂતનો ખૂબ જ સત્કાર કર્યો અને તેમને ખંડણી પેટે ઘણા બધા રત્નો, હાથી-ઘોડાઓ આપીને એને વિદાય કર્યો. દૂતની વિદાયની ખબર પડતાં જ અચલ બળદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવ બંનેએ ચંડવેગની પાછળ જઈને એને ખૂબ જ માર માર્યો. પછી ચંડવેગે પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ પાસે જઈને બધું કહ્યું. અશ્વગ્રીવ રાજા સમજી ગયો કે બે કારણોમાંથી એક કારણ તો ત્રિપૃષ્ઠ વાસુદેવ છે પણ હજુ પાકા પાયે એમને વધુ ખાતરી કરવી હતી.
અશ્વગ્રીવ રાજાએ બીજી યુક્તિ કરી. કેસરી સિંહ બહુ જ ભયંકર સિંહ હતો. અશ્વગ્રીવ રાજાના રાજ્યમાં એક એવો વિસ્તાર હતો કે જ્યાં આ સિંહ બધાને મારી નાખતો હતો અને કોઈને ખેતી કરવા નહોતો દેતો. અર્ધચક્રી રાજા પાસે ૧૬,૦૦૦ ખંડણી રાજાઓ હોય. અશ્વગ્રીવ રાજાએ એમના બધા ૧૬,૦૦૦ ખંડણી રાજાઓને વારાફરતી પોતાની સેના સાથે એ સિંહના પ્રદેશમાં જઈને ત્યાં રક્ષણ કરવાનું કહ્યું. એમાં ત્રિપૃષ્ઠ વાસુદેવનો વારો આવતો ન હતો, પણ પોતાની શંકાની વધુ ચકાસણી કરવા માટે અશ્વગ્રીવ રાજાએ તેમને વહેલા જવા કહ્યું. ત્યારે પ્રજાપતિ રાજાને અચલ બળદેવ અને ત્રિપૃષ્ઠ વાસુદેવે કહ્યું, ”પિતા, અમે બધું સંભાળી લઈશું. અમારે સેનાની જરૂર નથી. અમે બધે પહોંચી વળીશું. સિંહને મારવો એટલે શું મોટી વાત છે!” એમ કરીને બંને ગયા. પછી ત્યાં આગળ જઈને લોકોએ એમને કહ્યું, ”એક વર્ષ સુધી તમારે અહીં ચોકી કરવી પડે. પછી એક વર્ષમાં જો પેલો સિંહ આવે તો તમારે એને મારવાનો.” ત્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવને થયું કે “એક વર્ષ સુધી કોણ રાહ જુએ! મને બતાવો, ક્યાં રહે છે? કઈ ગુફામાં છે? હું હમણાં પતાવી દઉં.” પછી પોતે સારથિ સાથે ગુફા પાસે ગયા.
ત્યાં આગળ સિંહ ગુફામાંથી બહાર નીકળ્યો. પણ ત્રિપૃષ્ઠ વાસુદેવે જોયું કે સિંહ પાસે રથ જેવું કંઈ છે નહીં; એટલે પોતે રથમાંથી નીચે ઊતર્યા. પછી તેઓ પોતે હથિયાર લઈને સિંહને મારવા ગયા પણ વિચાર આવ્યો, ”અરે! આ સિંહની પાસે દાંત અને નખ સિવાય બીજું કોઈ હથિયાર છે નહીં. હું તો ક્ષત્રિય છું, રાજા છું. ક્ષત્રિયો બિનહથિયારવાળા પર હથિયાર ના મારે. પાછળથી ઘા ના કરે.” એટલે એમણે બધા હથિયાર નાખી દીધા. પછી સિંહ જ્યારે તરાપ મારીને ત્રિપૃષ્ઠ વાસુદેવને મારવા આવ્યો અને ત્યાં જ વાસુદેવે એક જ ક્ષણમાં તે સિંહનું મોઢું પકડીને એના બે ફાડિયા કરી નાખ્યા. પેલો સિંહ તરફડવા લાગ્યો. જ્યારે થોડી ક્ષણો માટે એ સિંહમાં જીવ હોય છે, ત્યારે ત્રિપૃષ્ઠ વાસુદેવનો સારથિ એને બોધ આપે છે, ”તું કોના હાથે મરે છે એ તને ખબર છે? આ વાસુદેવ છે! અડધી પૃથ્વીના રાજા અને આવતી ચોવોસીના છેલ્લા તીર્થંકર મહાવીર ભગવાન થવાના છે. માટે તું ગમે તેના હાથે મર્યો નથી. તારું મૃત્યુ પણ ભવ્ય થઈ ગયું.” સિંહને અંદર શાંતિ લાગી અને એણે સમતામાં દેહ છોડ્યો. આ સારથિ એટલે મહાવીર ભગવાનના વખતમાં ગણધર ગૌતમ સ્વામીનો જીવ.
આની અશ્વગ્રીવ રાજાને ખબર પડતાં એને પાકી ખાતરી થઈ ગઈ કે હવે એના મૃત્યુનું કારણ ત્રિપૃષ્ઠ વાસુદેવ જ છે. બીજી બાજુ, ત્રિપૃષ્ઠ વાસુદેવના ખૂબ પરાક્રમો સાંભળીને વિદ્યાધર જ્વલનજટીએ પોતાની કન્યા સ્વયંપ્રભા એમને આપવા માટે નક્કી કર્યું અને અશ્વગ્રીવને એમ થયું કે સ્વયંપ્રભાના મારી સાથે લગ્ન કરવાને બદલે ત્રિપૃષ્ઠ વાસુદેવ સાથે કેમ નક્કી થયું? વિદ્યાધર જ્વલનજટીને થયું કે અશ્વગ્રીવ જેવા ઘરડા સાથે મારી કન્યાને કેવી રીતે પરણાવું? એટલે તેમણે પોતાની કન્યા ત્રિપૃષ્ઠ વાસુદેવ સાથે જ પરણાવી. આથી અશ્વગ્રીવ રાજાએ જબરજસ્ત ક્રોધમાં આવીને મોટું યુદ્ધ કર્યું. યુદ્ધમાં વિદ્યાધર જ્વલનજટીએ તો બધા વિદ્યાધરોને મારી નાખ્યા, પણ સામે અશ્વગ્રીવ તો પ્રતિવાસુદેવ હતા. એની સામે ત્રિપૃષ્ઠ વાસુદેવ નાના યુવાન જેવા હતા; તેમના પાસે વિદ્યાઓ ન હતી. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અચલ બળદેવ યુદ્ધની બધી વિદ્યાઓ અને કળાઓ ફટાફટ શીખી ગયા. ત્રિપૃષ્ઠ વાસુદેવ છ મહિનામાં શીખવાને બદલે આઠ દિવસમાં બધી વિદ્યાઓ શીખી જાય એટલા બધા શક્તિશાળી હતા. પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ અને અશ્વગ્રીવ પ્રતિવાસુદેવ વચ્ચે જબરજસ્ત યુદ્ધ થયું. એ યુદ્ધમાં અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનું મૃત્યુ થયું અને ત્રિપૃષ્ઠ વાસુદેવ અડધી પૃથ્વીના રાજા થયા. એની મેળે જ અશ્વગ્રીવ પ્રતિવાસુદેવનું બધું રાજ્ય ત્રિપૃષ્ઠ વાસુદેવને મળી ગયું. ત્યાર બાદ, ત્રિપૃષ્ઠ વાસુદેવનો રાજ્યાભિષેક થયો.
ત્રિપૃષ્ઠ વાસુદેવ ખૂબ જ ભોગવિલાસવાળા હતા અને અહંકારના માર્યા એમણે ઘણા ખોટા કામો કર્યા. ભોગવિલાસ માટે એમને ૩૨,૦૦૦ રાણીઓ હતી. એક વખત ત્રિપૃષ્ઠ વાસુદેવ પોતાના મહેલના અંતઃપુરમાં સૂતા હતા. એ કાળે ત્રિપૃષ્ઠ વાસુદેવની પાસે ખૂબ જ સારા અને નિપુણ એવા શાસ્ત્રીય સંગીતકારો હતા. એ સંગીતકારના વાજિંત્રો પણ અજોડ હતા. ત્રિપૃષ્ઠ વાસુદેવે નક્કી કર્યું હતું કે પોતે દરરોજ આ સંગીત સાંભળતાં સાંભળતાં સૂઈ જશે. એમના અંતઃપુરના જે દ્વારપાળ હતા એમને વાસુદેવે એવો હુકમ કર્યો કે જ્યારે પોતે ઊંઘી જાય, ત્યારે જ દ્વારપાળે સંગીતકારો પાસેથી વાજિંત્રો બંધ કરાવી દેવાના, જેથી કરીને એમને ઊંઘમાં ખલેલ ન પહોંચે. પણ બન્યું એવું કે સંગીતકારોએ એટલી સરસ ધૂન વગાડી કે પછી દ્વારપાળ સહિત બધા જ એ સંગીતના તાનમાં આવી ગયા હતા. એક બાજુ ત્રિપૃષ્ઠ વાસુદેવ તો ભર નિદ્રામાં હતા, પણ સંગીત તો આખી રાત સુધી ચાલ્યા જ કર્યું. પરોઢિયે પછી ત્રિપૃષ્ઠ વાસુદેવ જ્યારે ઊઠ્યા અને જાગતાં જ જ્યારે એમણે સંગીત સાંભળ્યું તો તેઓ ખૂબ ક્રોધે ભરાયા. અતિ ક્રોધિત થઈને ત્રિપૃષ્ઠ વાસુદેવે દ્વારપાળના કાનમાં ગરમ સીસું રેડાવ્યું અને કહ્યું, “તને સંભળાયું નહીં? તું આટલો બધો સંગીતના તાનમાં ખોવાઈ ગયો! માટે જા, તારા કાનને બહેરા કરી નાખું.” કાનમાં સીસું રેડવાથી બહેરો તો શું પણ એ દ્વારપાળ મરી ગયો.
આ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં થયેલા પાપનું ફળ ભગવાન મહાવીર જ્યારે દીક્ષા લઈને જંગલમાં નીકળી પડ્યા, ત્યારે આવ્યું અને એમને ભોગવવું પડ્યું. આવનારા ભગવાન મહાવીરના ભવમાં ભગવાનના કાનમાં આ જ બધા સંગીતકાર અને દ્વારપાળે બરુ ખોસ્યા. જેની વેદના ભગવાનને છ મહિના સુધી ભોગવવી પડી. કરેલા કર્મનું ફળ આપણને છોડે નહીં. ગમે તેવું હોય તો પણ આપણે કરેલું કર્મ નિકાચિત કર્મ હોય છે, જે ગમે તે કરો તોય છોડે નહીં. ગમે તેટલો પશ્ચાત્તાપ કરો તોય હળવું થાય પણ છોડે નહીં. વાસુદેવ રાજાને એમની જિંદગીમાં પશ્ચાત્તાપ હોય જ નહીં, કારણ કે એ પોતે જે બધું કરે છે એ બરાબર જ કરે છે એવું માનતા હોય છે. ત્રિપૃષ્ઠ વાસુદેવે બધા પર ખૂબ જ અત્યાચારો અને હિંસા કરી હતી. કાનમાં સીસું રેડીને અને અહંકારે કરીને ખૂબ ભયંકર પાપકર્મો કર્યા હોવાથી એમને સાતમી નર્કનું આયુષ્ય બંધાયું અને અચલ બલદેવ પોતાના ભાઈ ત્રિપૃષ્ઠ વાસુદેવના વિરહમાં દીક્ષા લઈને પછી મોક્ષે ગયા.
ત્રિપૃષ્ઠ વાસુદેવના જીવે ઘણા ભવો સુધી ભટક ભટક કર્યું. તિર્યંચમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી તિર્યંચમાં એમ એની ભટકામણ ચાલતી રહી.
એક જંગલમાં બહુ મહાભયંકર સિંહ તરીકે ત્રિપૃષ્ઠ વાસુદેવનો જન્મ થયો. એ સિંહ બધાને બહુ જ હેરાન કરતો; એ જંગલમાં કોઈ જઈ ના શકે. જે કોઈ જાય તે બધાને મારી મારીને ખાતો હતો. એટલે એ સિંહનો બધાને ખૂબ ભય રહેતો હતો. સિંહને બોધ આપવા માટે એક વખત ઉપરથી બે દેવો નીચે પૃથ્વી પર ઊતર્યા. એ દેવોને ખબર હતી કે આ મહાવીર ભગવાનનો પૂર્વભવ છે અને જો અત્યારે આ બોધને નહીં પામે તો આ એમના જે બધા ભવો આગળ જે ચડતા આવવાના છે એને બદલે આ તો વધારે ઊતરી પડશે. એટલે બે દેવો સિંહને બોધ આપવા વિમાન દ્વારા નીચે આવ્યા.
સિંહે એમને જોઈને ખૂબ જ ક્રોધિત થઈને ત્રાડ પાડી પણ તેઓ તો દેવ હતા; એમને ગમે તે કરો કશું થાય નહીં. એટલે સિંહ જરાક પાછો પડ્યો. સિંહના ઢીલા પડવાથી બે દેવોએ વારાફરતી એને બોધ આપી કહ્યું, ”તું આ શું કરે છે? તને ખબર છે તું કોણ છે? પાછલા ભવમાં તું ત્રિપૃષ્ઠ વાસુદેવ હતો અને પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાનનો તું પૌત્ર મરીચિ હતો. હવે પછી તારું ચક્રવર્તીનું પદ આવશે. છેલ્લે તું ચોવીસમો તીર્થંકર મહાવીર થવાનો છું! તું આ શેમાં પડ્યો છે? કેટલી બધી હિંસા માંડી છે! તું બૂજ, બૂજ, બૂજ... આ પાપમાંથી બહાર નીકળ અને તારી દૃષ્ટિને બદલ. તું સાચી વસ્તુને સમજ.” આ દેવો તો બધી જ ભાષામાં બોલી, સમજી શકે. એટલે આ બધી આત્માની અને મોક્ષની વાતો સાંભળતાં જ સિંહના દિલમાં અંદર ઠંડક થઈ ગઈ. એનો બધો ક્રોધ અને સંતાપ શમી ગયા. અંદર ક્યારેય કોઈ કાળે અનુભવી ન હોય એવી શાંતિ એને લાગી. ત્યાર પછી સિંહે નક્કી કર્યું કે હવે મારે કોઈને પણ મારવું નથી. દેવોનો બોધ સાંભળતાં સિંહને ખૂબ પશ્ચાત્તાપ થયો કે પોતે શું શું કર્યું! કેટલા લોકોને મારી નાખ્યા! કેટલા જાનવરોને, મનુષ્યોને માર્યાં. આ બધું પાપ એને યાદ આવતું ગયું. જેમ જેમ દેવો બોધ આપતા ગયા, તેમ તેમ એની આંખમાંથી આંસુ સરતા ગયા. બે હાથ જોડીને સિંહે ખૂબ જ ભક્તિભાવથી પોતાના કરેલા પાપોનો પશ્ચાત્તાપ કરતો ગયો. તે જેમ જેમ પશ્ચાત્તાપના આંસુ સારતો ગયો, તેમ તેમ એનું હૃદય ચોખ્ખું થતું ગયું.
હંમેશા પશ્ચાત્તાપથી ગમે એવું પાપ હોય તે ધોવાઈ જાય છે. એટલા માટે આપણા કરેલા પાપોને ધોવા માટે તીર્થંકરોએ પ્રતિક્રમણ, પ્રત્યાખાન અને આલોચનાનું જબરજસ્ત હથિયાર આપ્યું છે. જાગૃત માણસે ક્ષણે ક્ષણે પ્રતિક્રમણ કરવાનું હોય છે.
પશ્ચાત્તાપ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી કોઈ પાપ ધોવાતું નથી; પાપનો ગઠડો વધતો જ જાય છે. સિંહે આ બોધ પામીને પોતાના કરેલા પાપો ખૂબ આંસુથી ધોઈ નાખ્યા અને પોતે ખૂબ નિર્મળ થઈ ગયો. ત્યાર પછી તેણે વારંવાર બે ઉપકારી દેવોને વાંદીને એમની પ્રદક્ષિણા કરી અને સાચા દિલથી એને અહો અહો થયું. બોધ આપીને બંને દેવો પોતાના વિમાનમાં જતા રહ્યા અને સિંહને ખૂબ વિરહ લાગ્યો. પછી એણે નક્કી કર્યું, “હવે પછીનું જીવન સંપૂર્ણ અહિંસામય જીવવું. અત્યાર સુધી જે હિંસાઓ કરી એ અજ્ઞાનતાથી કરી, પણ હવે મને બોધ મળ્યો છે તો હવે પછી હું કોઈ પણ જીવને હિંસા નહીં કરું.” ભલભલા આચાર્યો પણ ના પાળે એવો સુંદર આચાર એ સિંહ પાળતો થઈ ગયો. એણે અનશન વ્રત લઈ લીધું, ચોવીસે કલાક કંઈ પણ ખાવું પીવું નહીં; મોઢામાં પાણીનું એક ટીપું પણ ન મૂકવું. જંગલમાં સિંહને હરતોફરતો જોઈ લોકો ફફડે નહીં માટે તે એક શીલા ઉપર ટાઢ-તડકામાં હલનચલન કર્યા વગર નિશ્ચેત થઈને મડદાની જેમ પડ્યો રહ્યો. આ રીતે સિંહે લોકોને અભયદાન આપ્યું. સૂક્ષ્મ જીવો મરી ન જાય એ માટે સિંહ પોતે પાસું પણ ફેરવતો ન હતો. એને મડદું જાણીને બધા પક્ષીઓ ચાંચો મારીને એનું માંસ ખાવા માટે પ્રત્યન કરતાં; હાથીઓ સૂંઢથી એની કેશવાળીને ખેંચે ને નોચ કરતા, આ બધાને તે સમતાથી સહન કરી લેતો હતો. અંદર એક પણ ઊંહકાર નહોતો; તેણે જબરજસ્ત તપ કર્યું. એક મહિના સુધી બધા દુઃખ સહન કરતાં કરતાં પોતાના કર્મો ખપાવ્યા અને જબરજસ્ત ધર્મધ્યાનમાં રહીને એનો દેહ છૂટ્યો અને તે મનુષ્ય અવતારમાં આવ્યો. તિર્યંચમાંથી મનુષ્ય અવતારમાં આવતા સિંહે કેટલા બધા તપ અને દુઃખો સહન કરવા પડ્યા.
પરમ પૂજ્ય દાદા ભગવાન કાયમ કહેતા, ”દુઃખ આવે એ આત્માનું વિટામિન છે અને સુખ એ દેહનું ફૂડ છે.” માટે કોઈ દુઃખ આવે ત્યારે આપણને વિટામિનની ગોળીઓ મળે છે એમ ગણીને ચાલવું. નહીં તો દુઃખ આવે તો કંપી જવાય. આપણે કાયર નથી.
“મોક્ષમાર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ ત્યાં.”
શૂરવીરતાથી ગમે તેટલા દુઃખ આવે એને પાર ઉતારવાના છે. દુઃખથી આપણે કંપી જઈએ, ભય પામી જઈએ તો એ દુઃખ આપણને અનેકગણું થઈને આવશે.
સિંહના આત્માએ મનુષ્ય અવતારમાં આવીને ખૂબ જ ભક્તિ-આરાધના કરીને દેવગતિનું આયુષ્ય બાંધ્યું. દેવગતિમાં સારો કાળ વ્યતીત કર્યા પછી તેઓ અપર મહાવિદેહ ક્ષેત્રમાં પ્રિયમિત્ર ચક્રવર્તી થયા. ચક્રવર્તી થઈને તેઓ આખી પૃથ્વીના રાજા થયા અને પછી એમણે દીક્ષા લીધી. દીક્ષા લઈને ખૂબ ભક્તિ-આરાધના કરીને દેવગતિમાં જન્મ લીધો. દેવગતિમાંથી પછી તેઓ ભરતક્ષેત્રમાં નંદન રાજા તરીકે જન્મ્યા. નંદન રાજાએ દીક્ષા લીધી અને ખૂબ જ ભક્તિ-આરાધના કરતાં કરતાં, વીસ સ્થાનકો આરાધીને તીર્થંકર નામગોત્ર બાંધ્યું.
તીર્થંકર નામગોત્ર બાંધીને પોતાનું તો જબરજસ્ત શ્રેય કર્યું, પણ સાથે સાથે ચોથા આરાના છેલ્લા તીર્થંકર તરીકે આવીને કરોડો લોકોનો ઉદ્ધાર કર્યો અને કેટલાય લોકોને મોક્ષે લઈ ગયા. આ તીર્થંકરપદ એટલું જબરજસ્ત છે કે પોતાનું તો કલ્યાણ થાય, પણ જોડે જોડે કરોડોને મોક્ષે લઈ જાય. એવા તીર્થંકરોને આપણે વારંવાર વંદીએ, વારંવાર નમસ્કાર કરીએ, એમના ચરિત્રો ગાઈએ, એમના કીર્તન ગાઈએ તો આપણને પણ ખૂબ શક્તિ મળે અને આપણું પણ આત્મવીર્ય જાગે. નંદન રાજાએ તીર્થંકર ગોત્ર બાંધીને પોતાનું બાકીનું આયુષ્ય પૂરું કરીને દેવગતિમાં જન્મ લીધો.
ખૂબ લાંબો કાળ દેવગતિના સુખો ભોગવીને, ભગવાન મહાવીરના જીવને, દેવગતિમાં એમના આયુષ્યના છ મહીના બાકી હતા, ત્યારે ખ્યાલ આવી ગયો હતો કે હવે એમને પૃથ્વી ઉપર જવાનો સમય આવી ગયો છે. દેવલોકોની એવી વિશેષતા હોય છે કે જ્યારે એમનું દેવગતિનું આયુષ્ય પૂરું થઈ જાય, પછી એમને જ્યાં જન્મ મળવાનો હોય તે વિશે અવધિજ્ઞાનથી પહેલેથી ખબર પડે અને એમની કંઠની માળા સૂકાવા લાગે.
હંમેશા દેવોના કંઠમાં જે માળા હોય તે ક્યારેય કરમાય નહીં. પણ જ્યારે એમનો ચ્યવનકાળ નજીક આવે ત્યારે એમને આ એક સંકેત મળતો હોય છે. પછી જ્યાં જન્મ થવાનો હોય તે એમને અવધિજ્ઞાનમાં દેખાય પણ ખરું. જો સારી ગતિમાં જવાના હોય તો એમના સુખમાં વધારો થાય અને નીચી ગતિમાં જવાનું હોય તો એમને બહુ દુઃખ લાગે.
મહાવીર ભગવાનને પણ એ પ્રમાણે સંકેત મળ્યો હતો પણ બીજા બધા દેવોની જેમ ભગવાનને દુઃખ કિંચિત્માત્ર પણ થયું ન હતું. કેમ? એમને તો ઓહોહો! તીર્થંકરનો દેહ મળવાનો હતો. આખા બ્રહ્માંડમાં ઊંચામાં ઊંચો એમને દેહ મળવાનો હતો. એટલે એમને જરાય દુઃખ ન હતું, ઊલટું આનંદ આનંદ હતો. તીર્થંકર દેહમાંથી તેઓ મોક્ષે જ જવાના હતા.
મહાવીર ભગવાનના જન્મ વખતનું એક મોટું આશ્ચર્ય સર્જાયું હતું. આવું કોઈ કાળે બનતું નથી પણ આ ત્યારે બનેલું. અધ્યાત્મના દસ આશ્ચર્યોમાંનું આ એક આશ્ચર્ય બન્યું હતું. મહાવીર ભગવાનનો જીવ દેવાનંદા નામના બ્રાહ્મણી માતાના ગર્ભમાં આવ્યો હતો. એમના બ્રાહ્મણ પિતાનું નામ ઋષભદત્ત હતું. બ્રાહ્મણકુંડ નામના ગામમાં તેઓ રહેતા હતા. દેવાનંદા માતાએ ચૌદ સ્વપ્નાઓ એમના મુખમાંથી અંદર પ્રવેશતાં જોયેલાં. જે મોટે ભાગે દરેક તીર્થંકરના ગર્ભધારણ વખતે એમની માતાને આ ચૌદ સ્વપ્નાના સંકેત મળતા જ હોય છે. માતા દેવાનંદા ખૂબ આનંદમાં હતા અને બધા નિમિત્તિયાઓએ ફળ બતાવ્યું કે તમારી કૂખેથી તીર્થંકર ભગવાન જન્મ લેશે.
ગર્ભના ૮૨ દિવસ વીત્યા પછી દેવગતિમાં ઇન્દ્રનું સિંહાસન ડોલ્યું; એમણે પોતાનો ઉપયોગ મૂકીને જોયું તો ખબર પડી કે મહાવીર ભગવાન જે તીર્થંકર થવાના છે, એમનો જન્મ દેવાનંદા બ્રાહ્મણીની કૂખેથી થશે. આ તો કોઈ કાળે બને જ નહીં! હંમેશા તીર્થંકરો ક્ષત્રિય કુળમાં જ જન્મે. જેટલા ત્રેસઠ શલાકા પુરુષો થઈ ગયા એ બધા ક્ષત્રિય જ હતા અને ક્ષત્રિયમાં પણ પાછા ઉચ્ચ કોટિના રાજાઓ હતા; કોઈ સામાન્ય માણસનું તો અહીં કામ જ નહીં.
તીર્થંકર ભગવાનનું ક્ષત્રિયને બદલે બ્રાહ્મણ કુળમાં જન્મવું એવું ક્યારેય ઇતિહાસમાં બન્યું નથી. આનું એક કારણ એ કહેવામાં આવે છે કે જ્યારે મહાવીર ભગવાને મરીચિના પૂર્વભવમાં જે આખો ત્રિદંડીનો નવો ધર્મ સ્થાપન કર્યો અને બ્રાહ્મણની જેમ શિખા રાખીને બધા આચારો બદલી નાખ્યા, ત્યાર પછી એમના ઘણા અવતારો બ્રાહ્મણના થયા હતા. એના ફળરૂપે એમનો આ ભવમાં દેવાનંદા માતાની કૂખે બ્રાહ્મણ તરીકે જન્મ થવાનો હતો. મરીચિના ભવમાં કરેલો જાતિનો મદ, “હું ક્ષત્રિય અને બીજી બધી જાતિ નીચી. હું તો બહુ ઊંચો.”, એમ માનીને શ્રી ઋષભદેવ ભગવાને જે માર્ગ બતાવ્યો હતો એ માર્ગે ન ચાલતાં પોતે પોતાના અલગ જ માર્ગે ચાલ્યા. ઘણાં બધાં કારણોને આધારે ભગવાનનું બ્રાહ્મણ કુળમાં ગર્ભમાં આવવાનું થયું.
દેવોએ આને બહુ જ ગંભીર ગણીને નક્કી કર્યું, “ગમે તે થાય, આપણે આ ગર્ભનું હરણ કરવું જ જોઈએ અને ક્ષત્રિય માતાના ગર્ભમાં આનું પ્રત્યારોપણ કરવું જોઈએ.” દેવોની પાસે બધી જ સિદ્ધિઓ હોય. આ બાજુ, ક્ષત્રિયકુળમાં સિદ્ધાર્થ રાજાના પત્ની, રાજરાણી ત્રિશલાને પણ ગર્ભ રહ્યો હતો. દેવોએ નક્કી કરીને ૮૨ દિવસ પછી ત્રિશલા માતાના ગર્ભમાંનો જે જીવ હતો એ જીવનું હરણ કર્યું; એ જીવને બ્રાહ્મણી માતા દેવાનંદાના ગર્ભમાં મૂક્યો અને દેવાનંદા માતાના ગર્ભમાં જે મહાવીર ભગવાનનો જીવ હતો એને ત્રિશલા રાણીના ગર્ભમાં મૂક્યો. દેવોએ કેટલું મોટું કાર્ય કર્યું! બે ગર્ભની હેરાફેરી કરવી એ બહુ કઠિન કામ છે છતાં દેવો તો બધું જ કરી શકે.
જ્યારે ગર્ભની હેરાફેરી થઈ ગઈ ત્યારે બ્રાહ્મણી માતા દેવાનંદાને એ જ રાત્રિએ જે ચૌદ સ્વપ્ના આવ્યા હતા એ ચૌદે ચૌદ સ્વપ્ના એમના મુખમાંથી પાછા નીકળી ગયા અને બીજી બાજુ ત્રિશલા માતાએ આ ચૌદ સ્વપ્ના પોતાના મુખમાં પ્રવેશતાં જોયાં. ત્રિશલા માતા ખૂબ આનંદમાં આવી ગયા પણ દેવાનંદા માતા ખૂબ જ દુઃખી થઈ ગયા. એમને ખૂબ જ ભય લાગ્યો કે “મારો ગર્ભ કોઈએ હરણ તો નથી કર્યો ને? ગર્ભનું પતન તો નથી થયુંને?” એમ કરીને બહુ જ શોક કરવા લાગ્યા. પણ પછી ખબર પડી કે ગર્ભ તો છે. જે હેરાફેરી થઈ એ એમને ખબર નહોતી પડી.
ત્રિશલા માતા ચૌદ સ્વપ્ના આવવાથી ખૂબ જ આનંદમાં આવ્યા અને નિમિત્તિયાઓએ કહ્યું, “તમારી કૂખેથી તીર્થંકર ભગવાન જન્મ લેશે.” રાજા-રાણી ખૂબ આનંદમાં આવી સેવા-ભક્તિ અને દાન-ધર્મ કરવા લાગ્યા. પ્રભુ ગર્ભમાં આવતાં જ સિદ્ધાર્થ રાજાનો રાજપાટ ખૂબ જ વૃદ્ધિ પામવા માંડ્યો; ધન-ધાન્ય, સુખ-વૈભવ બધું પ્રજામાં ખૂબ જ વધ્યું. તીર્થંકર ભગવાનના ગર્ભમાં આવતાં જ આટલા બધા પરિણામો વર્તાયા. કેટલું બધું જબરજસ્ત પુણ્ય!
મહાવીર પ્રભુ માતાના ગર્ભમાં ત્રણ જ્ઞાન સહિત હતા - શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન. ભગવાન ગર્ભમાં પણ સંપૂર્ણ જાગૃત હતા. મહાવીર ભગવાન પોતાના માતા-પિતા પ્રત્યે ખૂબ જ ભક્તપરાયણ હતા. ભગવાને માતાના ગર્ભમાં હલનચલન કરતાં જોયું કે આનાથી માતાને દુઃખ થાય છે. એટલે પોતે જરાય હાથ-પગ હલાવ્યા વગર ખૂબ જ સંકોચાઈને રહેવા લાગ્યા. ત્રિશલા માતાનો આખો ગર્ભ હલનચલન વગરનો થઈ ગયો એટલે માતાને ખૂબ ચિંતા થઈ કે ”મારા ગર્ભનો નાશ થયો કે શું?” આ પરથી માતાનું ખાવું-પીવું, સૂવું, બોલવું બધું બંધ થઈ ગયું અને અંદર ચિંતા અને ભોગવટામાં આવી ગયા.
ત્રિશલા માતાએ આ વાતની જાણ સિદ્ધાર્થ રાજાને કરી અને રાજાને પણ આ જાણીને ખૂબ જ દુઃખ થયું. માતા-પિતા બંને ખૂબ ચિતા કરવા લાગ્યા. ભગવાનને અવધિજ્ઞાનથી આ વાતની જાણ થઈ કે મારા માતા બહુ દુઃખી થયા છે અને કંઈ ખાતા-પીતા નથી. એટલે એમણે ધીમે રહીને પોતાના પગનો અંગુઠો જરાક હલાવ્યો કે જેથી કરીને માતાને ખબર પડે. ભગવાનની હલનચલનથી ત્રિશલા માતાને અંદર હાશકારો થયો કે ભગવાન તો જાગૃત છે અને ગર્ભ પણ જીવિત છે.
માતા-પિતાને એમના પર અત્યંત રાગ હોવાથી મહાવીર ભગવાને સાતમા મહિને ગર્ભમાં જ અભિગ્રહ કર્યો, “હું મારા માતા-પિતાના દેહાંત પછી જ દીક્ષા લઈશ. એમની હાજરીમાં જો હું દીક્ષા લઈશ તો એમને ખૂબ દુઃખ થશે. આ ભયંકર આઘાત તેઓ જીરવી નહીં શકે.” સાતમા મહિનામાં જ ગર્ભમાં જ ભગવાને એમના માતા-પિતા દુઃખી ના થાય એવી ફરજ બજાવી.
ત્રિશલા માતા સાથે બધા દેવ-દેવીઓ ખૂબ જ સુંદર ધર્માલાપ અને આનંદ-પ્રમોદ સાથે સત્સંગ કરતાં હતાં. મહાવીર ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે દેવ-દેવીઓ ત્રિશલા માતાની ખૂબ જ સારસંભાળ રાખતાં. ચોવીસે કલાક વારાફરતી બધા દેવીઓ ત્રિશલા માતાની સેવામાં હાજર રહેતાં. કારણ કે માતાના ગર્ભમાં ભગવાન બિરાજેલા હતા. માતાની સેવા એટલે ગર્ભમાં રહેલા ભગવાનની સેવા થયા બરાબર એવું એ લોકો માનતા હતા. ખૂબ ભક્તિભાવથી બધી દિક્કુમારી દેવીઓ આઠ-આઠના સમૂહમાં આવીને માતાની બધી રીતે - કોઈ નવડાવવાની, તો કોઈ સૂવડાવવાની, કોઈ જમાડવાની સેવા કરતાં. બધા બહુ કાળજી રાખતાં અને ત્રિશલા માતા પણ ખૂબ જ પ્રસન્ન હતાં.
મહાવીર ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે ત્રિશલા માતાની પાસે સમકિતી દેવીઓ એમની સેવામાં રહેતાં. બહુ નજીકના સંપર્કમાં રહેવાથી ત્રિશલા માતાની દેવીઓ સાથે જ્ઞાનગોષ્ઠિ ખૂબ થતી હતી. બીજા સંસારી વિચારો માતાને તો આવતા જ ન હતા, કારણ કે માતાના ગર્ભમાં તીર્થંકર હતા; ચૌદ લોકના નાથ હતા. માટે માતાની બધી જ પરિણતી બદલાઈ ગઈ હતી અને એમને ધર્મની સાત્ત્વિક વાતો અને એ સંબંધી વિચારો બહુ જ ગમતા હતા. પોતાની બધી સેવામાં રહેનારા સમકિતી દેવીઓ સાથે માતા જ્ઞાનગોષ્ઠિ કરતાં હતાં.
ત્રિશલા માતાને ખૂબ બધું જાણવાની ઈચ્છા થતી હતી, એટલે ખૂબ બધા પ્રશ્નો દેવીઓને પૂછતાં અને સમકિતી દેવીઓએ એના બહુ જ સુંદર જવાબ આપેલાં છે. આ દેવીઓને જ્યારે એમને કોઈ જવાબ જડે નહીં તો ત્રિશલા માતાના ગર્ભમાં રહેલા તીર્થંકર મહાવીર ભગવાનની પાસે તેઓ જવાબ માંગતાં, ત્યારે તરત જ દેવીઓને અંદરથી જવાબ મળી જતા. ભગવાનની હાજરીમાં નીકળેલા જવાબો ભગવાનના સિક્કા સહિત હોય અને જરાય ખોટા ન હોય. એમાંના કેટલાક જવાબો આ મુજબ છે:
આ રીતે, જ્યારે મહાવીર ભગવાન માતા ત્રિશલાના ગર્ભમાં હતા ત્યારે દેવીઓ હાજર ને હાજર રહેતાં અને એમની બધી જ સેવા સંભાળી લેતાં.
મહાવીર ભગવાનનો ચૈત્ર સુદ તેરસને દિવસે જન્મ થયો. પ્રભુની બહુ જ સુંદર કાયા હતી. ભગવાન એટલા રૂપરૂપના અંબાર હતા કે એમને જોઈને જ મોહિત થઈ જવાય. ભગવાનનો જેવો જન્મ થયો એવા બધા જ દેવ-દેવીઓ વારાફરતી એમના દર્શન કરવા ઊમટ્યાં. જન્મ થયા પછી મેરુ પર્વત ઉપર બધા ઇન્દ્રો ભગવાનને અભિષેક કરવા લઈ ગયા. ભગવાનનો પ્રથમ પ્રક્ષાલ અને દર્શન કરવા કરોડો દેવ-દેવીઓ પવિત્ર નદીઓના જળ લઈને આવ્યાં. તેઓ નદીઓની નદીઓ ઠલવાય એટલું જળ લઈને આવ્યાં.
ત્યારે ઇન્દ્ર દેવને વિચાર આવ્યો, “આટલું બધું પાણી ભગવાન ઉપર! ભગવાન તો નાજુક છે; એમનાથી સહન નહીં થાય.” ભગવાન ઇન્દ્ર દેવનો સંશય જાણી ગયા ને એમણે ધીમે રહીને પોતાના પગનો અંગૂઠો મેરુ પર્વતને દબાવ્યો જેનાથી આખો પર્વત નીચે બેસી ગયો. ત્યારે ઇન્દ્ર દેવને સમજાયું કે એમની શંકા ખોટી હતી. તીર્થંકર ભગવાન તો દેવાધિદેવ છે, ચૌદ લોકના નાથ છે. એમની તાકાતની ક્યાં વાત કરવી! પછી ખુશ થઈને બધાએ ભગવાનનો પ્રક્ષાલ કર્યો.
બધા દેવ-દેવીઓને બાળ ભગવાનને જોઈને ખૂબ વહાલ આવતું. આ જગતના લોકોને મોક્ષે લઈ જવા માટે, લોકોનો ઉદ્ધાર કરવા માટે તીર્થંકર ભગવાન અવતર્યા એનો આનંદ આનંદ બધે જ વર્તાયો. બધા દેવો ખૂબ જ આનંદથી ભગવાનની સેવા કરતા હતા. દેવો બાળ તીર્થંકરને એકદમ ચૂપચાપ ત્રિશલા માતાને ખબર જ ના પડે એમ એમની પાસે ભગવાન જેવું જ બનાવટી બાળ મૂકી ને બાળ તીર્થંકર ભગવાનને મેરુ પર્વત પર અભિષેક કરવા લઈ જતા હતા. અભિષેક કરીને દેવો પાછા બાળ તીર્થંકરને એમની માતાની બાજુમાં મૂળ સ્થાને લાવીને રાખી દેતા. લોકો ભગવાનને દૂરથી જોવા માટે દોડાદોડી કરતા.
ત્રિશલા માતાની કૂખમાં ચોવીસે કલાક જે તીર્થંકર ભગવાન બિરાજતા હતા એ માતાને કેટલી ધન્યતા લગતી હશે! કેટલો આનંદ થતો હશે! બધી દિક્કુમારી દેવીઓએ પ્રેમથી ભગવાનનો ઉછેર કર્યો. ભગવાન ૧૨ દિવસના થયા ત્યારે એમના રાજ્યમાં બધી જ બાજુએથી ખૂબ વૃદ્ધિ થઈ. ધન-દોલત, સુખ, અનાજ-પાણી અને લોકોમાં આનંદ આ બધું ખૂબ વધવા લાગ્યું. આ પરથી પિતાએ પ્રભુનું નામ ‘વર્ધમાન’ પાડ્યું. દેવોએ અવધિજ્ઞાનથી જોયું કે ભગવાનને બહુ બધા ઉપસર્ગો આવશે. ચોવીસ તીર્થંકરો થઈ ગયા, એમાં સૌથી વધુ ઉપસર્ગો મહાવીર ભગવાનને આવ્યા. એ બધામાં અડગ રહીને, બધા કર્મો ખપાવીને ભગવાન કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયા. એમની વીરતાની વાત જ કંઈ ઔર; એટલે દેવોએ એમનું નામ ‘મહાવીર’ પાડ્યું.
ત્રિશલા માતા દ્વારા ઉછેરાતાં ઉછેરાતાં બાળ મહાવીર ભગવાન આઠ વર્ષના થયા. આઠ વર્ષના થયા એટલે એમની ભણવા માટેની પેરવીઓ શરૂ થઈ. ભગવાન રાજકુમાર હોવાથી તેમને સારામાં સારા ગુરુ, કે જે ભગવાનને બધી કળાઓ શીખવાડે એવી શોધ સિદ્ધાર્થ રાજાએ ચલાવી. દેવો અને ઇન્દ્રોને ખબર પડી કે આ ભગવાનને માટે ગુરુ! ચૌદ લોકના નાથને કોઈ સાધારણ ગુરુ ભણાવે? કેવું કહેવાય? તીર્થંકર ભગવાન તો આખી દુનિયાના દેવાધિદેવ કહેવાય. આખું જગત જેમને ગુરુપદ આપે તેમને આવી રીતે કોઈના શિષ્ય થવાનું? દેવોને આ બધું ગમ્યું નહીં અને એમણે અલગ જ યુક્તિ કરી.
ભગવાનના પિતા એમને ગુરુકુળમાં મૂકી આવ્યા પણ એમણે ભગવાનને ગુરુના આસને, ઊંચા સ્થાને બેસાડ્યા. બીજા બધા નીચે બેઠા; ભગવાન જ આઠમા વર્ષે બધાને શીખવાડવા લાગ્યા. ભગવાન ગર્ભમાંથી જ શ્રુતજ્ઞાન, મતિજ્ઞાન અને અવધિજ્ઞાન લઈને આવ્યા હતા. તીર્થંકર ભગવાન એટલે એમને બહુ શીખવાડવું ન પડે; એમને આવડતું જ હોય. ભગવાનના શ્રીમુખેથી પહેલી વાર એવું સુંદર વ્યાકરણ બહાર પડ્યું; એને ઇન્દ્ર વ્યાકરણ કહેવામાં આવે છે. બાળ ભગવાન બહાર રાજકુમારો સાથે ક્યાંય પણ રમવા જાય કે ફરવા જાય તો આખા નગરજનો ભગવાનના દર્શન માટે આતુર રહેતા. ભગવાનના દર્શનથી જ લોકો ઠંડક અનુભવતા અને એમની અંદરની આખી પરિણતી બદલાઈ જતી.
દેવગતિમાં ઇન્દ્ર દેવો તીર્થંકર ભગવાન મહાવીરની ખૂબ ચર્ચા કરતા હતા. ભગવાન કેવા વીર, સુંદર અને પ્રતાપી છે! બીજા એક દેવને આ મગજમાં બેઠું નહીં. એમને થયું કે “લાવ! હું મહાવીર ભગવાનની પરીક્ષા લઉં.” તો એ દેવ પરીક્ષા કરવા મોટા નાગનું રૂપ લઈને ફૂંફાડા મારતા મારતા આઠ વર્ષના મહાવીર ભગવાન પાસે ગયા. ભગવાન ત્યારે બીજા રાજકુમારો સાથે રમતા હતા અને નાગનો ફૂંફાડો જોઈ બધા ગભરાઈ ગયા. બીજા બધા રાજકુમારો નાસભાગ કરી ગયા જ્યારે ભગવાન તો ત્યાં સ્થિર ઊભા રહ્યા.
આખા જગતને અભયદાન આપનારાને ભય ક્યાંથી હોય? આઠ વર્ષના ભગવાનને જરાય ભય લાગ્યો નહીં; ઉપરથી પેલા નાગનું પૂછડું પકડીને એને વીંઝીને ઉછાળ્યો. આ જોઈ બધા રાજકુમારો ખુશ થઈને પાછા રમવા લાગ્યા. પેલા દેવ પણ ફરી પાછા ભગવાનની પરીક્ષા કરવા રમતા રમતા બીજા રાજકુમારોની જેમ પોતે પણ નાના આઠ વર્ષના રાજકુમારનું રૂપ ધરીને ત્યાં ભગવાનની સાથે રમવા લાગ્યા. એ રમતમાં જે હારે એ બધાએ ઘોડા થવાનું અને જે જીતે એણે બધા ઘોડા પર સવાર થઈને વારાફરતી બધા પર બેસવાનું હતું. એમાં મહાવીર ભગવાન જીતી ગયા. પછી બધા રાજકુમારો ઘોડા થયા અને ભગવાન એમના પર સવાર થઈને દાવ વસૂલ કરવા લાગ્યા. પછી પેલા દેવ પણ ઘોડો બન્યા અને મહાવીર ભગવાન એમના પર બેઠા. એ દેવે માયાથી પોતાનું શરીર ઊંચું કર્યું અને ભગવાનને મેરુ પર્વત જેટલા ઊંચા લાવી દીધા. બધા રાજકુમારો ગભરાઈ ગયા કે આ શું થયું; હવે ભગવાનનું શું થશે? આ બધા કૃત્યો કરીને પેલા દેવ તો ખુશ થઈ ગયા.
પછી મહાવીર ભગવાને પોતાનો પ્રતાપ બતાવ્યો અને એ દેવના પીઠ પર એક જ મુઠ્ઠી મારી અને એ દેવ પાછા એકદમ હતા તેવા નાના થઈ ગયા. ભગવાન તો આખી દુનિયાને એક મુઠ્ઠીમાં ભૂક્કો કરી નાખે એટલું બધું બળ ધરાવતા હતા, પણ તેઓ પોતાનું બળ વાપરે નહીં. આ તો ભગવાને ખાલી એ દેવને પાઠ ભણાવવા મુઠ્ઠી મારી હતી. પછી એ દેવે તો ભગવાનના ચરણમાં માફી માંગી અને કહ્યું કે “દેવોએ જે વર્ણન કર્યું હતું એના કરતા પણ આપ તો ખરેખર વધારે મહાવીર છો!” પછી એ દેવ ચાલ્યા ગયા.
એક વખત, ગાંડોતૂર થયેલો હાથી ગામના લોકોને ખૂબ જ હેરાન કરતો હતો. તે હાથી લોકોને પોતાના સૂંઢથી ઉખાડતો, પગ નીચે દાબતો અને ખૂબ ઈજા પહોંચાડતો હતો. ત્યાર બાદ એ મહાવીર ભગવાનના મહેલ આગળ દોડતો આવ્યો; ભગવાન ઝરૂખા ઉપર ઊભા હતા. ભગવાને હાથીને કહ્યું, ”તું આ શું કરી રહ્યો છે? તું કેટલા કર્મો બાંધી રહ્યો છે એની તને ખબર પડે છે? નિષ્કારણ, તું આ બધા લોકોને હેરાન કરે છે. કેટલાને મારી નાંખે છે. માટે તું બૂજ બૂજ.” ભગવાનની સૌમ્યતા, કરુણા અને પ્રેમ જોઈને હાથી ત્યાં ને ત્યાં જ ઠરીને શાંત થઈ ગયો. તે ભગવાનને સૂંઢથી નમસ્કાર કરી ચૂપચાપ પાછો ચાલ્યો ગયો.
ભગવાનની સૌમ્યતા અને શીતળતા કેવી કે સામાને ઠારી દે! તીર્થંકરોનો સૌમ્યતાનો ગુણ એવો હોય કે સામો ગમે તેટલો ઊકળેલો આવ્યો હોય પણ ભગવાનની નજર પડતાં જ, એમના બે શબ્દ સાંભળતાં જ, ટાઢોગાર થઈ જાય. શબ્દ તો પછી આવે પણ ભગવાનની આંખોથી જ ઠંડક વ્યાપી જતી. સૌમ્યતા એમની આંખોમાંથી વરસતી હતી. ભગવાનની સૌમ્યતા કેવી કે એમની પાસેથી કોઈને ખસવાનું મન ના થાય. નગરજનો ટીકી ટીકીને રાહ જોતા હોય કે ક્યારે ભગવાન આવે અને ક્યારે આપણને એમની એક નજર મળે. ભગવાન પર ગમે તેટલા ઉપસર્ગ થયા, એમને ગમે તેટલા લોકોએ હેરાન કર્યા પણ એમની સૌમ્યતા તો એકધારી એવી ને એવી જ રહેતી હતી.
એક વખત, આકાશમાંથી બે દેવો જતા હતા. એમને સંશય થયો અને તેઓ મુનિનો વેશ ધરીને ભગવાનની પાસે આવ્યા. ભગવાનને જોતાં જ એમના બધા જ સંશયો દૂર થઈ ગયા. ભગવાનની દૃષ્ટિ માત્રથી જ એમના તમામ આધ્યાત્મિક ગૂંચવાડાના બધા જ પ્રશ્નોનું સમાધાન આવ્યું. ભગવાનની દૃષ્ટિ કેવી નિર્મળ હશે!
સમય જતાં, મહાવીર ભગવાન યુવાન થયા અને બધી વિદ્યાઓ શીખ્યા. લગ્નને યોગ્ય થયા ત્યારે માતા-પિતાને એમ થયું કે એમના પુત્ર પરણે. ત્રિશલા માતાએ ભગવાનને લગ્ન માટે વિનંતી કરી. માતા-પિતાના સમજાવવા છતાં મહાવીર ભગવાન તો બહુ વિરક્ત હતા; એમને રસ જ ન હતો. આનાથી ત્રિશલા માતા બહુ જ દુઃખી થયા. પછી મહાવીર ભગવાનને થયું કે માતા-પિતા મારા આર્તધ્યાનમાં મૃત્યુ પામે એના કરતા હું લગ્ન કરું. આ આધારે ભગવાને માતાને લગ્ન માટે હા પાડી. માતા-પિતા ખૂબ આનંદમાં આવી ગયા અને લગ્ન માટેની જબરજસ્ત તૈયારીઓ કરી. મહાવીર ભગવાનના લગ્ન રાજકુમારી યશોદા સાથે નક્કી થયા. ભગવાન ભોગાવલી કર્મ પૂરું કરતા ગયા. તેમની પુત્રીનો જન્મ થયો, જેનું નામ નામ પ્રિયદર્શના હતું. પ્રિયદર્શનાના લગ્ન જમાલી નામના રાજકુમાર સાથે થયા.
ભગવાન જ્યારે ૨૮ વર્ષની ઉંમરે પહોંચ્યા ત્યારે, એમના માતા-પિતાનો દેહવિલય થયો. માતા-પિતાના દેહવિલયથી મહાવીર ભગવાનના મોટાભાઈ નંદીવર્ધનને ખૂબ જ આઘાત લાગ્યો અને તેઓ ખૂબ શોકમાં હતા. ત્યારે તેમણે મહાવીર ભગવાનને રાજગાદી સંભાળવા માટે વિનંતી કરી, પણ ભગવાન તો વિરક્ત હતા; એમને તો દીક્ષા જ લેવી હતી. ભગવાને પોતાના ભાઈને ચોખ્ખી ના પાડી, ”મારે તો રાજગાદી જોઈએ જ નહીં. તમે મોટા છો; રાજગાદી પર તમારો હક છે. હું તો દીક્ષા લેવાનો છું; તમે કહો તો હું આજે જ દીક્ષા લેવા તૈયાર છું.” એમના મોટાભાઈ ખૂબ દુઃખી થયા અને કહ્યું, ”ના, એક તો માતા-પિતાનો શોક મને હજુ ગયો નથી અને તું જઈશ તો મને બીજો આઘાત લાગશે.” ભગવાને તેમના મોટા ભાઈને ખૂબ સમજાવ્યા. નંદીવર્ધન માની ગયા પણ કહ્યું, “હમણાં નહીં, બે વર્ષ સુધી તો હું નહીં જવા દઉં. મને કળ વળવા દે; આમાંથી બહાર નીકળવા દે પછી હું જવા દઈશ.” મહાવીર ભગવાન માની ગયા, કારણ કે કોઈને દુઃખી કરીને કેવી રીતે મોક્ષ થાય! એક જીવને કિંચિત્માત્ર દુઃખ થાય તો આપણો મોક્ષ અટકે.
એક વર્ષ બાદ ભગવાને વર્ષીદાન શરૂ કર્યું અને બધાને પુષ્કળ દાન આપ્યું. ત્રીસમા વર્ષે એમનો દીક્ષા મહોત્સવ થયો. દેવો દ્વારા મહાવીર ભગવાનના દીક્ષા મહોત્સવની રચના થઈ. દાન માટે દેવોએ જબરજસ્ત કુબેર ભંડાર ખાલી કર્યો. ત્રીસમા વર્ષે દીક્ષા લેતાં જ ભગવાનને મનઃપર્યવજ્ઞાન પ્રગટ થયું. ભગવાને દીક્ષા લીધી; પોતાની જાતે જ પોતાના વાળનો લોચ કર્યો. ભગવાન એટલા લાવણ્યમય હતા કે લોકો એ જોઈને એમના પર મોહિત, મૂર્છિત થઈ પડતા હતા. એનાથી બચવા માટે પોતાનું રૂપ મંદ કરવા માટે ભગવાને લોચ કર્યો.
મહાવીર પ્રભુ દીક્ષા લઈને જંગલમાં એકલા નીકળી પડ્યા. ત્યાં આગળ એમની પાસે એક બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણે કહ્યું, ”ભગવાન, તમે દીક્ષા લેતા પહેલાં જે વર્ષીદાન કર્યું અને ખૂબ લોકોને દાન આપ્યું ત્યારે હું કમાવા માટે બીજા દેશમાં ગયો હતો. મને તમારી પાસેથી કંઈ મળ્યું નહીં. હું બહુ જ ગરીબ છું. મારી પાસે ખાવાના પણ પૈસા નથી. એટલે તમે મને કંઈક આપો.” ભગવાને કહ્યું, ”મારી પાસે હવે આપવા જેવું કઈ છે નહીં. હું તો બધું છોડીને નીકળી આવ્યો છું. બહુ ત્યારે આ ધોતિયાનો અડધો ટુકડો તને આપું. આ બહુ કિંમતી છે. તું એમાંથી કંઈક મેળવ.” પછી પેલો બ્રાહ્મણ ભગવાનનું અડધું ધોતિયું લઈને જતો રહ્યો. જ્યારે એ ટુકડો ગામમાં વેચવા નીકળ્યો ત્યારે કોઈકે એને કહ્યું, “આમાંનો બીજો ટુકડો તું લાવી આપ તો આપણને પૂરા પૈસા મળશે. આ તો બહુ કિંમતી છે. લાખ રૂપિયા મળશે; અડધા તારા અને અડધા મારા.” બ્રાહ્મણે કહ્યું, ”મને બીજો ટુકડો મળશે કેવી રીતે? પેલાએ કહ્યું, “તું એમની પાછળ પાછળ ફરજે. એ ઝાંખરામાં ભરાઈ જશે તો તને મળી જશે. ભગવાન તો એ લેવા પણ ઊભા નહીં રહે.” પછી એવું જ બન્યું કે ભગવાનનું પેલું કપડું ઝાંખરામાં ભરાઈ ગયું, પણ ભગવાન તો એ મૂકીને ચાલતા થયા અને સંપૂર્ણ દિગંબર અવસ્થામાં આવ્યા. બ્રાહ્મણે એ કાપડના બે ટુકડા સાંધીને વેચીને અડધો લાખ રૂપિયા મેળવ્યા.
શ્રી મહાવીર ભગવાન જંગલમાં કાઉસગ્ગમાં, આત્મધ્યાનમાં લીન થયેલા હતા. ત્યાં એક વખત એક ગોવાળ આવ્યો અને એને એમ થયું કે આ અહીંયાં ઊભા છે તો મારી ગાયોની રક્ષા કરશે. એને બીજું કંઈક કામ હતું એટલે એ ભગવાનને કહીને ગયો, “હું આવું છું થોડી વારમાં. તમે બધી ગાયોને સાચવજો.” ભગવાન તો ધ્યાનમાં જ હતા, વીતરાગ હતા; એમને ગોવાળિયો બધું કહી ગયો એ ખબર પણ નહોતી. બે-ત્રણ કલાક વીત્યા પછી પેલો ગોવાળ પાછો આવ્યો તો એની એક પણ ગાય એને મળી નહીં; એ જબરજસ્ત કોપાયમાન થયો. એ ગાયોને શોધવા લાગ્યો, હેરાન-હેરાન થઈ ગયો.
જ્યારે ગોવાળ ખોવાયેલી ગાયોની શોધમાં બહાર ગયો ત્યારે તેની ગાયો ફરતી ફરતી ભગવાન પાસે આવીને બેસી ગઈ. ગાયોને ભગવાનની હાજરીમાં ઠંડક લાગતી હતી એટલે ત્યાં બેસીને ગાયો બધું ખાધેલું વાગોળતી હતી. ગોવાળિયો ફરી પાછો ધૂંઆપૂંઆ થતો ત્યાં આવ્યો તો એણે બધું જોયું, ”ઓહો! આ તો અહીંયાં છે મારી ગાયો! નક્કી આણે કંઈ કપટ કર્યું હશે અને બધી ગાયોને સંતાડી દીધી હશે. જ્યારે હું ગયો એટલે પછી બધી ગાયો પાછી લઈ આવ્યો હશે.” ભગવાન તો ધ્યાનમાં હતા; એમને કશી લેવાદેવા નહોતી. પછી ગોવાળિયો ખૂબ ચિડાયો ને ભગવાનને ખૂબ મારીને ઉપસર્ગ કર્યો.
ભગવાન ચાહે તો ગોવાળને ફગાવી દે પણ તેઓ શાંત ભાવમાં, સમતામાં રહ્યા. એટલામાં ઇન્દ્રદેવને આ બધી ખબર પડી અને એમને થયું, ”ઓહોહો! આ શું થયું? આ ભગવાનને કંઈક ઉપસર્ગ આવ્યા લાગે છે.” એટલે ઇન્દ્રદેવ દોડતા દોડતા દેવગતિમાંથી નીચે આવ્યા અને પેલા ગોવાળિયાને બરાબર બોધપાઠ આપ્યો, ”તું ઓળખે છે આ કોણ છે? આ ભગવાન છે!” ગોવાળિયો ભગવાનની માફી માંગીને પોતાની ગાયો લઈને જતો રહ્યો.
ઇન્દ્રદેવને તો અવધિજ્ઞાનથી બધું દેખાય. એટલે એ જોઈને એમણે ભગવાનને વિનંતી કરી, ”પ્રભુ, આપની પર પુષ્કળ ઉપસર્ગો થવાના છે અને આપ આ બધું કેમનું સહન કરશો? મને આજ્ઞા આપો કે હું આપની સેવામાં તમારી જોડે ને જોડે જ રહું. આ બધા ઉપસર્ગોથી તમારું રક્ષણ કરું.” ત્યારે તીર્થંકર મહાવીર ભગવાને કહ્યું, ”કોઈ તીર્થંકર ક્યારેય પણ બીજા કોઈની સહાયતાથી પોતાના કર્મો ખપાવીને મોક્ષે ગયા હોય એવું સાંભળ્યું છે? આ કોઈ કાળે બન્યું નથી, અત્યારે બનવાનું નથી અને ભવિષ્યમાં ક્યારેય બનશે નહીં. બધા જ પોતાના સ્વ-વીર્યથી કર્મો ખપાવીને જ મુક્ત થયા છે અને હું પણ એવી જ રીતે મુક્ત થઈશ. તીર્થંકરો તો વીર હોય! કર્મોને ખપાવીને નીકળી જનારા હોય; એવા કર્મોથી ડરે એવા ના હોય. ઊલટા લોકોને ડરમાંથી છોડાવે એવા હોય.” માટે એમણે ચોખ્ખી ના પડી છતાં પણ ઇન્દ્રદેવે એક વ્યંતર દેવને મહાવીર ભગવાનની સેવામાં રાખ્યા. જ્યારે ભગવાનને મુશ્કેલી આવે ત્યારે તે વ્યંતરદેવ ભગવાનની પાસે આવશે. પણ ભગવાન તો વીતરાગ હતા; એમને કોઈની જરૂર ન હતી. ભગવાને ત્યાંથી છૂટા પડીને પોતાના કર્મો ખપાવવા માટે આગળ પ્રયાણ કર્યું.
મહાવીર ભગવાનનો દીક્ષા પછીનો અમુક કાળ ઘણા બધા પ્રકારના કર્મો ખપાવવામાં ગયો. લોકોએ એમની પર જાતજાતના ઉપસર્ગો કર્યા. જેટલા ઉપસર્ગો મહાવીર ભગવાનને આવ્યા, એટલા બીજા કોઈ તીર્થંકર ભગવાનને આવ્યા નહોતા. પણ મહાવીર ભગવાનને તો અંદર કશું અડતું જ ન હતું અને તેઓ સંપૂર્ણ સમતામાં હતા.
મહાવીર ભગવાનની દીક્ષાના સમયે દેવોએ એમના પર જબરજસ્ત સુગંધી દ્રવ્યોનો લેપ કર્યો હતો. એ બધા એવા દૈવી લેપ હતા કે જેની સુગંધ વર્ષ દહાડા સુધી ભગવાનના શરીરમાંથી જતી ન હતી. ભગવાન જ્યાં જતા, ત્યાં બધે એ સુગંધ સુગંધ ફેલાઈ જતી. જો ભગવાન વનમાં વિચરતા તો બધા ભમરાઓ એ સુગંધથી એમની પાસે આવતા અને ડંસ મારીને એમને ખૂબ હેરાન કરતા. જો ભગવાન શહેરમાં આવતા ત્યારે બધા યુવાનો ભમરાની જેમ એમની પાછળ પડતા અને એવી સુગંધ ક્યાંથી લાવવી એ વિશે પૂછતા; ભગવાન મૌન રહેતા એટલે ચિડાઈને યુવાનો એમને મારીને જતા. બધી યુવતીઓ પણ સુગંધથી ખેંચાઈને ભગવાનની પાસે આવી એમના પર મોહિત થઈ જતી. ભગવાન આ બધું સમતામાં રહીને પાર કરતા હતા.
એક વખત મહાવીર ભગવાન વિહાર કરતા હતા. એમના પિતા સિદ્ધાર્થ રાજાના એક તાપસ મિત્રનો મોટો આશ્રમ હતો ત્યાં આવ્યા. તાપસ મિત્રને મહાવીર ભગવાન માટે ખૂબ જ માન થયું કે એમના મિત્રનો પુત્ર આટલો મહાન સાધુ થઈ ગયો. તાપસે ભગવાનને પોતાના આશ્રમમાં રહીને ચોમાસું કરવાનું આમંત્રણ આપ્યું. ભગવાન સારું કહીને નીકળી પડ્યા. ભગવાનના પિતાના મિત્ર એ તાપસોના કુલપતિ હતા; એમણે ભગવાનને ચાર મહિના સુધી રહેવા માટે એક સરસ ઘાસની ઝૂંપડી બનાવી આપી. કુલપતિ તાપસના બીજા શિષ્યો સાથે ભગવાન પણ પોતાની સાધના કરતા હતા. ભગવાનની સાધના એટલે પોતાના આત્માને વળગેલી એક-એક કર્મરજને, એ બધા પરમાણુઓને ખાલી કરવા. એ જોવાથી જ ખાલી થાય, એટલે કાઉસગ્ગમાં પોતે અંદર અંતર્મુખ થઈને પોતાના જ પરમાણુઓ જોયા કરતા હતા. જે દેખાય એટલા ખરતા જાય એવો નિયમ છે.
મહાવીર ભગવાને એ આશ્રમમાં ચાર મહિના રહેવાનું નક્કી કર્યું, પણ થયું એવું કે ત્યાં એ વખતે બહુ જ દુકાળ જેવું હતું. ઘાસચારો ન હોવાને કારણે ગાયોને ઘાસ ખાવાની બહુ તકલીફ હતી. ચોમાસું હજી તો બેઠું જ હતું એટલે ઘાસ ઊગ્યું નહોતું. બધી ગાયોનાં ટોળેટોળાં આવતાં ને જ્યાં દેખાય ત્યાં ઘાસ ખાઈ જતાં. આશ્રમમાં બધા ઝૂંપડાં ઘાસનાં હતાં. બીજા બધા તાપસો તો ગાયોને મારી મારીને ભગાડી દેતા, જ્યારે ભગવાન તો વીતરાગ હતા; તેઓ કોઈને મારે નહીં. એમને તો અમારિનું વ્રત વર્તતું હતું. અમારિનો નિયમ હતો કે નાનામાં નાના જીવને પણ ન મારે; તો પછી ગાયોને તો ક્યાંથી મારતા હશે! બધા શિષ્યો જ્યારે ગાયોને પોતાના ઝૂંપડાં પાસેથી ભગાડતા ત્યારે એ ગાયો બધી ભગવાનના ઝૂંપડાં પાસે આવતી. ભગવાન તો આરામથી ગાયોને ખાવા દેતા. ગાયો ભગવાનનું આખું ઝૂંપડું ખાઈ ગઈ. જ્યારે બીજા તાપસોને આ ખબર પડી તો તેઓ બહુ જ ગુસ્સે થયા કે કેટલી મહેનતથી આમને ઝૂંપડું બનાવી આપ્યું, તો પણ ભગવાન આ ઝૂંપડાંનું રક્ષણ ન કરી શક્યા. કુલપતિ મહાવીર સ્વામીના પિતાના મિત્ર હતા એટલે એ ડરથી તાપસો કશું બોલતા ન હતા. છેવટે, સહન ન થતાં તેમણે કુલપતિને આ અંગે ફરિયાદ કરી. કુલપતિએ ભગવાનને કહ્યું, ”તારા પિતા તો રાજા હતા; બધાનું રક્ષણ કરતા હતા. અમારા બધાના આશ્રમો આજ સુધી એ જ રક્ષતા હતા. તું ઝૂંપડીને કેમ નથી સાચવી શકતો? આટલું તો સચવાય ને!” કુલપતિ ભગવાનને આટલું કહીને જતા રહ્યા. મહાવીર ભગવાનને થયું, ”આ તો મારાથી આમને દુઃખ થાય છે. જ્યાં હું રહું અને કોઈને અપ્રીતિ થતી હોય તો મારાથી ત્યાં કેવી રીતે રહેવાય?” એટલે ચાતુર્માસને તો પંદર દિવસ જ થયા હતા, પણ ભગવાન ચૂપચાપ ચોમાસામાં પણ વિહાર કરી ગયા. ભગવાનની દૃષ્ટિ કેવી હોય કે પોતાનાથી બીજાને કિંચિત્માત્ર હરકત થાય, દુઃખ તો થવાનું કારણ નહોતું પણ હરકત થાય, તો પણ તેઓ ત્યાં રહે નહીં. એટલું જ નહીં પણ ચોમાસાનો સાધુ આચારનો કડક નિયમ હતો એ પણ ભગવાને તોડ્યો. ભગવાન જડતા કે જક્કીપણાથી કોઈ પણ નિયમ પકડતા નહોતા. તેઓ તો પહેલામાં પહેલું કયું યોગ્ય છે અને કયું નથી એ સમજીને વિવેકપૂર્વક બધું કરતા. એમણે કોઈને હરકત થાય, કોઈને દુઃખ થાય એને વધારે મહત્ત્વ આપ્યું, નહીં કે પોતાના નિયમને.
આ પ્રસંગ બન્યા બાદ ભગવાન મહાવીરે તરત જ મનમાં ને મનમાં પોતાના આચારના પાંચ અભિગ્રહો કર્યા:
અહીં ભગવાન મહાવીરની જીવન કથા પૈકી એક કથા પ્રસ્તુત થાય છે કે, જેમાં ભગવાને કઈ રીતે ચંડકૌશિક નામના ભયાવહ સાપને આશીર્વાદ આપ્યા એનું સુંદર વર્ણન કર્યું છે. તેના ગત ભવમાં, ચંડકૌશિક એક ઋષિ હતા જેમણે ખૂબ જ તપશ્ચર્યા કરી હતી. આ તપશ્ચર્યાના કારણે, તેને ખૂબ જ અહંકારી અને અતિ ક્રોધિત સ્વભાવનો થઇ ગયો. એક દિવસ, તપશ્ચર્યા કર્યા બાદ જંગલમાંથી પાછા ફરતી વખતે, તેના પગ નીચે દેડકો આવ્યો અને તે મૃત્યુ પામ્યો. તેની સાથે રહેતા શિષ્યએ તેને સલાહ આપી કે આ પાપ કર્યા બદલના તે પસ્તાવો લે જેથી દેડકાને મારવાના પાપમાંથી તે મુક્ત થઈ શકે. ઋષિએ તેની વાતને ગણકાર્યું નહિ.
નિયમ મુજબ, જ્યારે દિવસ પૂરો થાય, ત્યારે પ્રત્યેક જણ આખા દિવસ દરમિયાન થયેલા બધા ગુનાઓ માટે પસ્તાવો લેતા અને ભગવાન પાસે માફી માંગતા જેથી પાપ ભેગા ન થાય અને વ્યક્તિ હળવાશ અનુભવે. આ ખૂબ જ સારી પ્રથા છે જેનું આપણે દરેકે અનુસરણ કરવું જોઇએ. દરરોજ સૂતા પહેલા, ફક્ત ૧૦ મિનિટ માટે પણ, આપણે દિવસના બધા પ્રસંગો કે જેમાં આપણા ક્રોધ, માન, માયા અને લોભના કારણે કોઇપણ જીવને દુ:ખ પહોંચાડ્યું હોય તો તે પ્રસંગોને યાદ કરવા જોઇએ. પછી દરેક પ્રસંગ માટે, તે જીવની અંદર રહેલા શુધ્ધાત્માને યાદ કરીને પ્રતિક્રમણ કરવું જોઇએ, હ્રદયપૂર્વક પશ્ચાતાપ લેવો જોઇએ અને એવી પ્રાર્થના કરીને દ્રઢ નિશ્ચ્ય કરવો જોઇએ કે, “આ મારી ભૂલ હતી. હવે ફરી આવી ભૂલ નહિ કરું.” આ આપણને મોક્ષના માર્ગ ઉપર પ્રગતિ કરવા માટે મદદરૂપ થશે અને આપણા જીવનમાં શાંતિ પણ વધશે.
તેથી, સાંજે, એક વખત ફરીથી સહાધ્યાયી શિષ્યએ સાધુને દેડકાને મારવા બદલનો પસ્તાવો લેવાનું કહ્યું. તેનાથી સાધુ ક્રોધિત થયા અને લાકડી વડે તેને મારવા તેની પાછળ દોડ્યા. ત્યારે તે થાંભલા સાથે અથડાય છે અને ક્રોધમાં ને ક્રોધમાં જ ત્યાં મૃત્યુ પામે છે. તેના પછીના ભાવમાં, કઠોર તપશ્ચર્યાને કારણે, તે દેવગતિને પામે છે. ત્યાર પછી, તે મુનિ થયો અને તેની માલિકીના વિશાળ ખેતરમાં રહેવા લાગ્યો. તેને તેના સુંદર ખેતર પ્રત્યે ખૂબ જ લગાવ હતો જ્યાં તેણે ફળ અને ફૂલો પુષ્કળ પ્રમાણમાં ઉગાડ્યા હતા. કોઇપણ તેના ખેતરમાં આવે અને નાનકડી ડાળી પણ તોડે તો પણ તે ખૂબ જ ઉશ્કેરાય જતો. એકવખત, જ્યારે તે તપશ્ચર્યા કરી રહ્યો હતો, ત્યારે કેટલાક નાના છોકરાઓ ખેતરમાં રમવા માટે આવ્યા અને ફૂલોને ચૂંટીને આનંદ માણી રહ્યા હતા, પથ્થર ફેંકીને ફળો તોડી રહ્યા હતા. મુનિને આ સમાચાર મળ્યા કે તરત જ હાથમાં કૂહાડી લઈને તે છોકરાઓને પકડવા અને તેમને શિક્ષા કરવા દોડ્યા. જો કે, રસ્તામાં, તે પડી ગયો અને તેની પોતાની જ કૂહાડીએ તેનું માથુ વાઢી નાખ્યું. તે ભયંકર યાતનામાં મૃત્યુ પામ્યો અને પરિણામ સ્વરૂપ, તે ભયંકર સાપ રૂપે જન્મ લીધો. એવો સાપ જે કોઇને પણ તેના ઝેરીપણાને કારણે જે તે સ્થળ ઉપર તરત જ મારી નાખતો!
એક દિવસ, વિહાર (એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા ચાલવું) કરતી વખતે, મહાવીર સ્વામીને આ ગાઢ જંગલમાંથી પસાર થવાનું આવ્યું, જ્યાં ચંડકૌશિક સાપ રહેતો હતો. રસ્તામાં, ગામના લોકોએ ભગવાનનો રસ્તો રોકી લીધો અને આગળ ન જવા માટે વિનંતિ કરી, કારણ કે સાપ તેના રસ્તે આવનાર કોઇને પણ છોડતો નથી. જો કે, ભગવાને તે જ રસ્તે વિહાર શરૂ રાખ્યું કારણ કે તેઓ જાણી ગયા હતા કે હવે સાપનું કલ્યાણ કરવાનો સમય આવી ગયો છે.
ભગવાન જંગલમાં સાપની નજીક ગયા અને ત્યારે સાપ ખૂબ જ ક્રોધિત હતો. તે જોરથી ફેણ માંડીને ભગવાનને વારંવાર ડરાવવા અને ધમકાવવા લાગ્યો. જયારે ભગવાન મહાવીર તેની સામે અડગ અને ભયભીત થયા વગર ઊભા રહ્યા ત્યારે તે આશ્ચર્ય પામ્યો! ચંડકૌશિક આ સહન કરી શક્યો નહિ. અંતે તેણે ભગવાનના પગના અંગૂઠામાં ડંખ દીધો જ્યાંથી લાલ લોહીને બદલે સફેદ લોહી બહાર આવ્યું. ઝેર શિકારને તે જ સ્થળે મારી નાખે, એની જગ્યાએ મહાવીર સ્વામીને શાંત અને સ્થિર, જરા પણ ક્રિયામાં હલચલ થયા વિના, ઊભા હતા તે જોઇને સાપ ચોંકી ગયો. તીર્થંકરની શાંત અવસ્થા ખરેખર અજોડ હોય છે. હિંસક પ્રાણીઓ પણ તેમની સામે સ્થિર અને શાંત થઈ જતા હોય છે. તીર્થંકરના લોહીનો રંગ હંમેશા સફેદ હોય છે. ચંડકૌશિકને આશ્ચર્ય થયું કે આ કોણ મહાન વ્યક્તિ છે.
આંખોમાં અત્યંત કરૂણા અને પ્રેમથી, ભગવાને તેને કહ્યું, “જાગ, જાગ ચંડકૌશિક!! તું શું કરી રહ્યો છે તે અંગે વિચાર!” આ શબ્દો સાંભળીને, ચંડકૌશિક સાપને તરત જ પાછલા બે ભવ યાદ આવી ગયા અને ખ્યાલ આવ્યો કે પાછલા ભવમાં તેના ક્રોધ અને અહંકારને કારણે શું થયું હતું. તે તરત જ શાંત થઈ ગયો અને હૃદયમાં શરણાગતિ અને પસ્તાવાની લાગણી સાથે તે ભગવાનના ચરણોમાં નમ્યો. તેણે મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે, “હું કોઇપણ જીવને કિંચિતમાત્ર પણ દુ:ખ પહોંચાડીશ નહિ” અને આ ભવ સુધીમાં જે કંઇ પણ ભૂલો થઇ હોય તે બધાના પ્રતિક્રમણ કરવામાં સંપૂર્ણ રીતે લીન થઇ ગયો.
આ પ્રસંગ આપણા હ્રદયમાં એવી જાગૃતિ લાવવામાં મદદ કરે છે કે આપણા જીવનનો ખરો હેતુ મોક્ષ પ્રાપ્ત કરવા માટેનો છે, નહી કે આપણા ક્રોધિત શબ્દો અને ક્રિયાઓ દ્વારા લોકોના હ્રદયમાં ભય અને આતંક મચાવીએ.
ત્યાંથી ભગવાનના ગયા બાદ, ચંડકૌશિક સાપ જમીન પર જ ઊંડા ધ્યાનમાં બેસે છે. કેટલાક લોકો આવ્યા અને તેના ઉપર પથ્થર ફેંક્યા, કેટલાક લોકોએ લોહીથી ખરડાયેલ સાપને લાકડીથી માર્યો, કારણ કે તેઓને યાદ હતું કે આ સર્પે તેઓના સ્વજનોનો જીવ લીધો હતો. બીજી તરફ ઘણાંએ, તેની પૂજા કરી અને તેને પીવા માટે દૂધ આપ્યું અને ખાવા માટે ખોરાક આપ્યો. લોહી, દૂધ, ઘી અને ખોરાકને કારણે ઘણી બધી કીડીઓ ત્યાં આવી અને તેના શરીરને કરડવા લાગી. જો કે, સર્પે કોઇ વ્યક્તિ કે વસ્તુ તરફ જરા પણ પ્રતિક્રિયા ન દર્શાવી. તેણે ધીરજપૂર્વક અને શાંતિથી સમતા રાખીને બધા પાપ કર્મોનો (જેનાથી કદાચ તેને નર્કગતિ થાત) નાશ કર્યો અને મૃત્યુ પછી, દેવગતિને પામ્યો. આ કથા દ્વારા આપણને એ બોધ મળે છે કે, આપણો ક્રોધ ગમે તેવો ભયંકર કેમ ન હોય, તે છતાં પણ હ્રદયપૂર્વકના પ્રતિક્રમણથી તેમાંથી બહાર નીકળવું શક્ય છે.
ભગવાન મહાવીરે તેમનો વિહાર શરૂ કર્યો. એક દિવસ, ગોશાળા નામની વ્યક્તિ, જેની કૌટુંબિક પરંપરા જ ખોરાક વગેરે માટે ઘરે ઘરે ભિક્ષા માંગવાની હતી, તેણે મહાવીર સ્વામીને જોયા. તેણે દૂરથી ઘણા દિવસો સુધી ભગવાનનું નિરીક્ષણ કર્યું અને તારણ કાઢ્યું કે, જો તે ભગવાનની સાથે રહેશે તો તેને પણ ખોરાક વગેરેની ભિક્ષા માટેનો લાભ પ્રાપ્ત થઈ શકશે. તેથી, તે સ્વયં જ ઘોષિત થયેલ ભગવાનનો શિષ્ય બની ગયો અને તેમની પાછળ પડછાયાની જેમ પોતાના લાભ ખાતર ફરવા લાગે છે.
તેનું ચારિત્ર્ય ભગવાનથી તદન વિરૂધ્ધ હતું. તે નાનકડી વાત ઉપર પણ લોકો સાથે ઝઘડવા લાગતો અને આસપાસના લોકો માટે કોઇને કોઇ સમસ્યા ઊભી કરી દેતો. ભગવાન મહાવીરને તેના ગુરૂ સમજીને, લોકો ભગવાનને ફરિયાદ કરવા આવતા, અને કેટલાક ગોશાળાની ભૂલને કારણે ભગવાનને પણ દંડિત કરતા. જો કે, ભગવાન હંમેશા મૌન અને શાંત રહેતા કારણ કે તેઓ જાણતા હતા કે, આ તેમનું પૂર્વ કર્મનું ફળ આવી રહ્યું છે; લોકો તેમને દંડિત કરી રહ્યા છે તે માત્ર નિમિત્ત જ છે.
ભગવાનના અનુયાયીઓ તરીકે આપણે આ બધા પરથી કંઇક શીખવું જોઈએ કે, “મારા કર્મોને કારણે આ વ્યક્તિ મારા સાથે આવો વ્યવહાર કરે છે.” આવી જાગૃતિ નિરંતર રાખવી જોઇએ. રાત દિવસ બીજાના દોષો જોવા એ જ આપણો આખા દિવસ દરમ્યાનનો સૌથી મોટો દોષ છે, દરરોજ 10 મિનિટ, સૂતા પહેલા, આપણે દિવસ દરમિયાન જેમના દોષ જોયા હોય તેમને યાદ કરીને દરેક ભૂલ માટે પ્રતિક્રમણ કરવું જોઇએ, ભગવાનને પ્રાર્થના કરવી જોઇએ કે, “હે ભગવાન, બીજાના દોષ જોવાની મેં ભૂલ કરી છે. મને ક્ષમા કરો! અને બીજાના દોષો ફરી ક્યારેય ન જોઉં એ માટે મને પરમ શક્તિ આપો.” મોક્ષ પ્રાપ્તિ માટેની આ સરળ ચાવી છે.
એક વખત ગોશાળાએ એવું કૃત્ય કર્યું કે, જેના કારણે રાજાના સૈનિકો ગુરૂ અને શિષ્ય બંનેની ધરપકડ કરે છે. જો કે, તે રાજ્યના રાજાએ રાજા સિધ્ધાર્થ, જે મહાવીર સ્વામીના પિતા હતા, તેમની હકૂમતમાં કામ કર્યું હતું અને માટે, તે તરત જ ભગવાન મહાવીરને ઓળખી જાય છે. રાજા બંનેને મુક્ત કરી દે છે અને પછી, દરેક પ્રસંગે, ભગવાનની સારી કાળજી રાખે છે.
તેમના કર્મો ખપાવવા માટે, ભગવાન પછી ‘અનાર્ય દેશ’માં જવાનું નક્કી કરે છે, એવો પ્રદેશ કે જ્યાં વ્યક્તિને કપરા સંજોગોનો સામનો કરવો પડે. તેઓ જાણતા હતા કે, આ પ્રકારના નિર્ણયથી લેવાથી, સામે આવતી વિષમ પરિસ્થિતિઓ જ એમની આધ્યાત્મિક જાગૃતિને વધારશે. ત્યાંના લોકો અલ્પ વિકસિત હતા અને તેથી, ભગવાનની દશાને સમજી શકે એવા સમર્થ ન હતા.
ભગવાનને ત્યાં ખોરાક પણ મળતો ન હતો; આનાથી વિપરીત, લોકો પાસેથી તેમને ઘણું બધું અપમાન અને કલેશ મળતા હતા. પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહેતા કે, “અનુકૂળતા એ ‘ફૂડ’ છે અને પ્રતિકૂળતા એ જ્ઞાનીની દ્રષ્ટિએ ‘વિટામિન’ છે. સામાન્ય રીતે, જ્યારે કોઇ વઢે તે લોકોને ગમતું હોતું નથી. અરે, શા માટે તેને વિટામિન ન ગણી લઈએ? વિટામિન ગણી લો તો તમારું કામ થઈ જશે!”
એક દિવસ, વિહાર સમયે, મહાવીર સ્વામી અને ગોશાળો ખેતરમાંથી પસાર થઈ રહ્યા હતા. એક જગ્યાએ એકમાત્ર તલનો નાનો છોડવો ઊગેલો હતો. આ છોડને જોઇને, ગોશાલાએ ભગવાનને પ્રશ્ન પૂછ્યો, “શું આ છોડમાં તલ ઊગશે ખરા? જો હા, તો તલના કેટલા બીજ તે ઉત્પન્ન કરી શકશે?”
ભગવાન, જે સામાન્ય રીતે મૌન રહેતા હોય છે, તેઓએ જવાબ આપ્યો, “તલના સાત બીજ ઊગશે.” ગોશાલા, ભગવાન મહાવીરની પાછળ ચાલતા ચાલતા, ભગવાનના વાક્યને ખોટું પાડવા માટે ઉત્સુક હતો. ત્યારબાદ, તેણે છોડને ઉખેડી નાખ્યો. થોડા દિવસો પછી, જ્યારે તેઓ ફરી તે જગ્યાએ પરત આવ્યા, ત્યારે તેણે ભગવાનને વેરાન ધરતી બતાવી અને કહ્યું, “જૂઓ ભગવાન, છોડ દેખાતો નથી. આનો અર્થ એમ ને કે તમારા શબ્દો ખોટા પડ્યા?” ભગવાન હસ્યા અને કહ્યું કે, “જે છોડને તે ઉખેડી નાખ્યો તે પેલી જમીન ઉપર ખૂણામાં પડ્યો હતો. આપણે અહીંથી ગયા ત્યાર પછી, પવનથી તે બીજ ફુંકાઈને અહી આવ્યા. પછી, વરસાદ આવ્યો. તેનાથી ભૂમિ ભેજવાળી બની. એટલામાં જ ગાય આ રસ્તા ઉપર ચાલતા ચાલતા આવી અને ફળદ્રુપ ભૂમિમાં નાનો છોડ ફરીથી દટાય ગયો. છોડ ઊગવા લાગ્યો અને અત્યારે, તેના ઉપર સાત તલના બીજ રહેલા છે.”
આ જોઇને, ગોશાળાએ મનમાં એવી માનસિકતા થઇ કે, “જે કંઇ પણ બનવાનું હોય છે, તેને બનતા કોઇ અટકાવી શકતું નથી. જે નહિ બનવાનું હોય તે નહિ બને; તેને કોઇ શક્ય બનાવી શકશે નહિ! આને ‘નિયતિવાદ’ કહેવાય છે.
જો કે, તીર્થંકર મહાવીરે ‘અનેકાંતવાદ’નો ઉપદેશ આપ્યો, જેનો અર્થ એવો થાય છે કે એક જ દ્રષ્ટિકોણથી કશુ નિયત થઈ શકતું નથી. કોઇ પણ વસ્તુ ઘણા બધા દ્રષ્ટિકોણથી જોઇ શકાય છે; ત્યાર પછી જ સત્ય સમજી શકાય છે. માટે, આ પ્રસંગમાં પણ, વસ્તુને એક જ દ્રષ્ટીકોણથી જોવી કે માત્ર ‘નિયતિવાદ’ થી જ સમજવી એ યોગ્ય નથી. આ ગેરમાર્ગે દોરી શકે છે, કારણ કે કંઇ પણ બનવા માટે પાંચ શાશ્વત કારણોનું ભેગું થવું આવશ્યક છે. નિયતિ આમાંથી જ એક છે.
કોઇ પણ ઘટના બનવા માટે પાંચ શાશ્વત કારણોનું ભેગું થવું આવશ્યક છે. જે નીચે મુજબ છે :
ચાલો એક આંબાના વૃક્ષનું ઉદાહરણ લઈએ. દરેકનો પોતાનો સ્વભાવ હોય છે. આંબાના વૃક્ષનો, મુખ્યત્વે તેના બીજનો, સ્વભાવ કેરીઓ આપવાનો છે. કેરીનું ફળ ચોક્કસપણે બીજા કોઇ વૃક્ષ પર ઊગશે નહિ. તે જ રીતે, આ વૃક્ષ કેરી સિવાય અન્ય કોઇ ફળ આપશે નહિ.
પછી, પુરુષાર્થ આવે છે. આપણે કેરીનું બીજ વાવીશું, તેને પાણી પાઇશું અને પોષણ આપીશું. આ પુરૂષાર્થ જરૂરી છે, તેના વિના કેરીના ફળ આવી શકશે નહિ.
ત્યાર બાદ, નિયતિ આવે છે. છોડને પોષણ આપ્યા પછી, જો સખત પવન ફૂંકાય અને કેરીના બીજનો નાશ કરી નાખે, તો કેરી ઊગશે નહિ. એવો પ્રવાહ જે કુદરતના નિયંત્રણમાં છે તેને નિયતિ કહેવાય છે.
ઉપરાંત, કાળ પણ એટલું જ મહત્વ ધરાવે છે. આપણે ગમે તેટલા પ્રયત્નો કરીએ, તો પણ શિયાળામાં આપણે મીઠા ફળ મેળવી શકીશું નહિ. વૈશાખ (એપ્રિલ) મહિનામાં જ, કેરીઓ ઊગશે. એ જ રીતે, જેવું બીજ વાવીએ તેવું તરત જ રાતો રાત આપણને ફળ જોઇતું હોય તો તેવું પણ નહિ બને. કેરીઓ ઊગવા માટે ચોક્કસ સમય જરૂરી છે. એ કાળનું પરિબળ છે.
અંતે, સુંદર પાકી કેરીઓ કદાચ વૃક્ષ ઉપર ઉગશે, પરંતુ તે એટલી ઊંચી હશે કે તમે ત્યાં `પહોંચી શકશો નહિ. જો કે ચાર કારણો આવી ગયેલ છે, તો પણ તમે કેરી પ્રાપ્ત કરી શકશો નહિ. એટલામાં જ એક નાનો છોકરો તેના હાથમાં મોટી લાકડી લઈને આવે છે, ફળ નીચે પાડે છે, અને તમે તે લઈને તેને ખાઓ છો. આ પ્રારબ્ધ છે; હવે અંત આવે છે! આ અંત અથવા પ્રારબ્ધ હંમેશા સાચો જ હોય છે.
માટે, આપણા જીવનમાં કોઇ પણ ઘટના બને છે, તેની પાછળ આ પાંચ શાશ્વત કારણો રહેલા છે. ભગવાને સંસારને આ સુક્ષ્મ શાશ્વત જ્ઞાન આપ્યું! જો આપણે તેને બરાબર રીતે સમજીએ, તો પછી આપણા જીવનમાં કંઇ પણ બનશે તેનો ફરક પડશે નહિ, આપણે દુ:ખના કે સુખના ભોગવટામાં જઈશું નહિ. જો કે, જો આપણે માત્ર એક જ દ્રષ્ટિકોણ કે એક જ શાશ્વત કારણથી વિચારીશું, જેવું ગોશાળાએ કર્યું, તો આપણે ગેરમાર્ગે દોરવાઇ જઇશું.
તેથી, આપણે નિયતિવાદ ઉપર આધારિત રહીને બેસી રહેવું ન જોઇએ. આપણે આપણી ફરજ બજાવવી જ જોઇએ; તે એક પુરાવા સ્વરૂપે જ છે. ત્યારપછી, જે કંઇ પરિણામ આવે; તે આપણા હાથમાં નથી; તે વ્યવસ્થિત છે. દાખલા તરીકે, જો કોઇ પ્યાલો પડવાનો હોય, તો આપણે તેને બચાવવા માટે તમામ બનતા પ્રયાસો કરવા જોઇએ. જો કે, તે કોઇ રીતે તૂટી જાય, તો આ પરિણામ, ‘પ્યાલો તૂટવાનું’, વ્યવસ્થિત કહેવાય છે. આપણે કોઇ પણ સુખ કે દુઃખ વિના તેને સ્વીકારવું જોઇએ.
માટે, પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આ જગત એ બીજું કંઇ નહિ પરંતુ સાયન્ટીફીક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે. પાંચ ઇન્દ્રિય દ્વારા વ્યક્તિ જે કંઇ જૂએ છે તે પરિણામ છે, તે બધું વ્યવસ્થિત છે.”
આ વ્યવસ્થિતનું જ્ઞાન આપણને શાંતિપૂર્ણ સંસારી જીવન જીવવામાં મદદ કરે તેટલું જ નહિ, પરંતુ તે મોક્ષ મેળવવામાં પણ મદદરૂપ થાય છે. એવું એટલા માટે કે આ જ્ઞાન દ્વારા, નવા કર્મો બંધાતા નથી. માત્ર જ્ઞાની પુરૂષ પાસે પોતાનો આત્મા જગાડવાની જ જરૂર છે! ત્યારપછી, જ્યારે વ્યક્તિ વ્યવસ્થિત નું જ્ઞાન સમજે છે, ત્યારે તે કોઇ પણ વસ્તુનો કર્તા થતો નથી.
આ જગતમાં જે કંઇ બની રહ્યું છે તે સાયન્ટીફીક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ઉપર આધારિત છે; માટે, આ જગતમાં કોઇ સ્વતંત્ર કર્તા નથી. આપણે દરેક શુદ્ધાત્મા જ છીએ, જે બધી પરિસ્થિતિઓને જૂએ અને જાણે છે. જોવું અને જાણવું એ સાચો પુરૂષાર્થ છે; બાકી બધો ભ્રાંત પુરૂષાર્થ છે જેનાથી આ જગતમાં કર્મો બંધાય છે.
માટે, દીક્ષા લીધા બાદ, મહાવીર સ્વામીએ કહ્યું,
“એગો મે શાષઓ અપ્પા, જ્ઞાન દંશ્શણ સંજૂઓ; શેષા મે બાહિરાભાવા, સવ્વે સંજોગ લખ્ખણા, સંજોગ મૂલા જીવેણ, પત્તા દુ:ખ પરંપરા; તમ્હા સંજોગ સંબંધમ, સવ્વં તિવિહેણ વિસિરામિ.”
જેનો અર્થ...
હું એક શાશ્વત આત્મા છું, જ્ઞાન-દર્શનવાળો એવો શાશ્વત શુદ્ધાત્મા છું, હું સનાતન છું, સત્ એકલો જ છું; જે શેષ રહ્યા એ બધા બાહ્ય ભાવો છે. એ ભાવોનાં લક્ષણ શાં છે ? એ સંયોગ લક્ષણવાળા છે. આ બધાના લક્ષણો સંયોગ સ્વરૂપે છે. જેનો વિયોગ થવાનો એ બધા સંયોગ. સંજોગો એ સંસારી જીવનનું મૂળ છે, અને ત્યારપછી, દુ:ખોની પરંપરા શરૂ થાય છે. માટે, હું બધા સંજોગોને મારા મન, વચન અને કાયા દ્વારા સમર્પિત કરી દઉં છું.
તેથી, આ જગતમાં, બીજું કંઇ નહિ, પરંતુ ‘શુદ્ધાત્મા’ અને ‘સંજોગો’ જ છે. આ સંજોગો એવા છે કે જે સતત બદલાયા કરે છે. સંજોગો ઊભા થાય છે અને જતા રહે છે. મારો સ્વભાવ આ સંજોગોને જોવા અને જાણવાનો જ છે. જે આ જ્ઞાન સમજે છે તે બધા પ્રકારની ચિંતા, તણાવ અને ટેન્શનમાંથી મુક્ત થઈ જાય છે.
ભગવાન મહાવીરની કર્મો સામે લડવાની શક્તિ અને દ્રઢતા અસાધારણ હતી. તેથી, દેવોએ તેમનું નામ ‘મહાવીર’ રાખ્યું. ચાલો આ વિશેની એક કથા વાંચીએ.
એક દિવસ, મહાવીર સ્વામી ઉદ્યાનમાં ધ્યાન કરતા હતા. ભગવાનને ધ્યાનની ઉચ્ચ સ્થિતિમાં જોઇને, ઇન્દ્રદેવે ખૂબ આશ્ચર્યચકિત થઈ કહ્યું કે, “તમે વીર પ્રભુ વર્ધમાન છો! આજે, આ ત્રણેય લોકમાંથી તમને કોઇ ચલિત કરી શકે તેમ નથી. તમારા જેટલા શોર્યવાન, શાંત, અને સમતા ભાવી આ જગતમાં કોઇ નથી. તમે મહાવીર છો!” અન્ય દેવતાઓ જે ઇન્દ્રદેવની સભામાં હાજર હતા તેઓ પણ ભગવાનની વીરતાના વખાણ કરવા લાગ્યા. તેઓ બધા પણ ઇન્દ્રદેવ દ્વારા અપાયેલ ‘મહાવીર’ (વીરોના વીર) નામ જ ઉચિત હોવા બાબતે સંમત થઈ ગયા.
જ્યારે બધા ભગવાનની પ્રશંસામાં વ્યસ્ત હતા, ત્યારે એક દેવતા જેમનું નામ સંગમદેવ હતું તેમને ભગવાનની પ્રશંસા સાંભળીને ઇર્ષાં થવા લાગી. તેમણે ભગવાનને અપાયેલ ઉપનામ સામે પડકાર ફેંક્યો અને કહ્યું, “જો દેવરાજ વચ્ચે ન આવે તો હું પળમાં જ મહાવીરના ધ્યાનનો ભંગ કરાવી દવ અને તમને ખોટા પાડું.” ઇન્દ્રદેવની ઇચ્છા ન હોવા છતાં મૌન રહ્યા.
ઇન્દ્રદેવની સંમતિ હોવાનું સમજીને, સંગમદેવે ૨૦ મોટા ઉપસર્ગો તીર્થંકર મહાવીરના ધ્યાનનો ભંગ કરવા માટે કર્યા.
આ રીતે, સંગમદેવે, છ મહિના સુધી, તેના ક્રૂર અને ઘાતકી હુમલાઓથી, દર્દજનક ક્રિયાઓથી અને ત્રાસદાયક કૃત્યો દ્વારા, ભગવાનના ધ્યાનભંગ માટે પૂરતા તમામ પ્રયત્નો કર્યા. જો કે, તે તેના દરેક પ્રયત્નોમાં નિષ્ફળ ગયો. કોઇ બીજા અન્ય તીર્થંકર ઉપર કે અન્ય કોઈ વ્યક્તિ પર ઇતિહાસમાં ક્યારેય પણ આવા ઘોર ઉપસર્ગો થયા નથી. જો કે, ભગવાને તે તમામને સમભાવ રાખીને પસાર કર્યા!!! તેમના શરીરને અસહ્ય વેદના હોવા છતાં, તેઓ પોતાના આત્મના શાશ્વત સુખમાં જ લીન રહ્યા. માટે, તેમને સંગમદેવ તરફ જરા પણ અભાવ થયો નહિ. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન, ભગવાનને તેમના કર્મોના હિસાબો સમતાભાવથી પુરા કરવામાં જ રુચિ હતી માટે તેઓ કેવળજ્ઞાનની શ્રેણીઓ સુધી પહોંચી શક્યા.
સંગમદેવને પોતાના કૃત્યો ઉપર ખૂબ જ લજ્જા ઉત્પન્ન થઇ. તેને તેની ભૂલ સમજાણી. તેથી, તે ભગવાનને સમર્પિત થયો, અને તેના હ્રદયમાં ખૂબ જ પસ્તાવો થયો, ભગવાન પાસે માફી માંગી. સંગમ દેવ દ્વારા કરેલા પાપ તરફ ભગવાને અત્યંત કરૂણા દર્શાવતા, તેમના પર ગાલ અશ્રુઓ વહેવા લાગ્યા.
એક વખત મહાવીર સ્વામી વિહાર કરી રહ્યા હતા અને ત્યારે તેઓ ચાર મહિનાના ઉપવાસ પર હતા. ત્યાં એક જિનદત્ત શેઠ નામનો વેપારી હતો જે ભગવાન પ્રત્યે અદમ્ય ભક્તિ ભાવના ધરાવતો હતો. તેમને એવી અદમ્ય ભાવના હતી કે, ભગવાન એમના ઘરે પધારે અને પારણું કરીને એમના ઉપવાસ પૂર્ણ કરે. પરંતુ થયું એવું કે, ભગવાન નવીન શેઠના ઘરે પધાર્યા કે, જેને જિનદત્ત શેઠ જેવી ભગવાન પ્રત્યે ઉત્કૃષ્ટ ભાવના ન હતી. તેમણે ભગવાનને એક સામાન્ય સાધુ સમજીને, તેની દાસીને અન્ન આપવા માટે હુકમ કર્યો. આ રીતે, મહાવીર ભગવાને તેમનો ઉપવાસ તોડ્યો. દેવોએ નવીન શેઠના ઘર ઉપર પુષ્પોનો, હીરા, મોતી અને રત્નોનો વરસાદ વરસાવ્યો. કારણકે, આ એ ઘર હતું જ્યાંથી ભગવાને પારણું કરીને પોતાના ઉપવાસ પુરા કર્યા.
ત્યારબાદ ત્રેવીસમાં તીર્થકર પાર્શ્વનાથ ભગવાન પાસેથી દીક્ષા પામેલા કેવળી શિષ્યો ત્યાં પધાર્યા. ભગવાન પાર્શ્વનાથ અને ભગવાન મહાવીર વચ્ચે ફક્ત ૨૫૦ વર્ષનો સમયગાળો હતો, તેથી ભગવાન મહાવીરના કાળમાં પાર્શ્વનાથ ભગવાનના પણ શિષ્યો હાજર હતા. લોકોએ તેઓને આ પ્રસંગ કહી સંભળાવ્યો અને સાધુઓને એક પ્રશ્ન પૂછ્યો : શ્રેષ્ઠ કર્મો કોણે બાંધ્યા જિનદત્ત શેઠ કે નવીન શેઠ? પહેલી વ્યક્તિને ભગવાનના ઉપવાસના પારણા કરાવવા માટેની તક મેળવી શકાય તે માટેનો ખુબ જ પૂજ્યભાવ હતો, જ્યારે બીજી વ્યક્તિએ અન્ન તો આપ્યું પરંતુ તેનો એવો કોઇ ભાવ ન હતો. લોકોએ જોયું કે, નવીન શેઠ ઉપર તેના સારા કાર્યો માટે કેવી રીતે કૃપાનો વરસાદ વરસ્યો. જો કે, એ જ સમયે, લોકો એ જાણવા પણ આતુર હતા કે જિનદત્ત શેઠના શુભ ભાવ બદલ કુદરત તરફથી શું પ્રતિભાવ મળે છે.
સાધુઓ જે કેવળી હતા, તેઓએ આ વિશે સમજાવ્યું કે કર્મનો સિધ્ધાંત વ્યક્તિના ભાવના આધારે કામ કરે છે. નવીન શેઠે અજાણતામાં સારૂ કામ કર્યું અને તેનું ફળ પણ તેને ખૂબ સારૂ મળશે. આના જ પરિણામ સ્વરૂપ એમના ઘર ઉપર ફૂલો અને કિંમતી રત્નોની વર્ષા થઇ અને દેવોની કૃપા ઉતરી. જો કે, જિનદત્ત શેઠ જેને ઉત્કૃષ્ટ ભાવ હતા, એમને આવતા ભવ માટે અચ્યુત નામના ઊંચા દેવલોકનું આયુ બંધાય છે. તેથી, ભાવનું ખૂબ જ મહત્વ રહેલું છે. ભાવના આધારે જ કર્મ બંધાય છે, અને પછી, આ ભાવના આધારે જ વ્યક્તિ કુદરતી રીતે ક્રિયાઓને અનુસરે છે.
વધારામાં, જો ભગવાન માટેના ભાવ હોય, તો એ સારા ભાવોને કારણે તે વ્યક્તિ પુણ્ય કર્મો બાંધે છે અને જો તે ભાવ ખરાબ હોય તો પાપ કર્મો બાંધે છે. સારા ભાવો આપણને ઊંચી ગતિમાં લઇ જાય છે અને પછી તે પુણ્ય કર્મો તરીકે પરિણમે છે જેનું અલગથી સારૂ ફળ મળે છે. જો આપણા જીવનમાં ક્યારેય પણ આપણે ખરાબ ભાવનું નિરીક્ષણ કરીએ અથવા કોઇ ખરાબ કર્મ કરીએ, તો તીર્થંકર ભગવાને આપણને આ ભાવ ઉપર તરત જ પસ્તાવો લેવાનું શીખવ્યું છે. આપણા પસ્તાવાની તીવ્રતાને આધારે, આપણા ખરાબ ભાવ પરિવર્તિત થાય છે. આને ‘ભાવ પ્રતિક્રમણ’ કહેવાય છે. આજના કળિયુગમાં, વ્યક્તિના ભાવ કે નિશ્ચય બગડતા જરા પણ વાર લાગતી નથી. તેથી, આપણે દરરોજ ‘ભાવ પ્રતિક્રમણ’ કરવાની ટેવ રાખવી જોઇએ; જેથી આપણે પણ, ભગવાનના મહાવીરના અનુયાયીઓ તરીકે, મોક્ષ માર્ગ પર પ્રગતિ કરી શકીએ.
ભાવ પ્રતિક્રમણમાં, આપણે તે વ્યક્તિની અંદર રહેલા શુદ્ધાત્માને યાદ કરવા જોઇએ અને જે વ્યક્તિ તરફ આપણે ક્રોધ, અસત્ય, માન, કપટ, લોભ, ઇર્ષા કે અન્ય નકારાત્મક ભાવો કર્યા હોય, અને હ્રદયપૂર્વક માફી માગવી જોઇએ કે, “હે પ્રભુ, મારાથી આ ભૂલ થઈ ગઈ છે. હું તમારી હ્રદયપૂર્વક માફી માગુ છું. આવી ભૂલ ફરી ન થાય તેવો નિશ્ચય કરૂ છું.” આ રીતે આપણે આંતરિક રીતે જ, આપણા ભાવ દ્વારા આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરી શકીએ છીએ.
એક વખત મહાવીર સ્વામીએ કડક અભિગ્રહ લીધો. અભિગ્રહ એટલે મનમાં ચોક્કસ રીતે પૂર્વ નિર્ધારિત કરેલી અમુક બાબતો, જેમ કે, “‘જો આ બધી બાબતો પરિપૂર્ણ થશે, તો જ હું અન્નગ્રહણ (પારણું) કરીશ; અન્યથા નહિ.’ એવું દ્રઢ નિશ્ચયપણું હોય છે.
આ વખતે નીચે દર્શાવેલ અતિ કઠિન એવી અમુક બાબતો ભગવાને નિયત કરેલ હતી:
ચાર મહિના પસાર થઈ ગયા અને ભગવાને એમનો ઉપવાસ શરૂ જ રાખ્યો. તેથી, રાજાએ પછી તેના રાજ્યમાં જાહેરાત કરી કે, દરેકે તેમના ઘરમાં તમામ શરતો અનુસરીને શ્રેષ્ઠ ખોરાક બનાવવો જેથી કરીને ભગવાન તેમને અનુરૂપ પારણું કરી શકે. સદભાગ્યે, એ ચંદનબાળા હતી જે ભગવાનના અતિ કઠિન અભિગ્રહોને પરિપૂર્ણ કરીને તેમનો ઉપવાસ તોડાવી શકી. માટે, ચાલો પહેલા આપણે ચંદનબાળા વિશે જાણીએ.
પૂર્વે, ચંપા શહેરમાં, વસુમતી નામની નાની રાજકુંવરી રહેતી હતી. તે રાજા દધિવાહન અને રાણી ધારિણીની પુત્રી હતી. એક વખત, પડોશી રાજાએ તેના પિતા ઉપર ચડાઇ કરી. રાજા દધિવાહન યુધ્ધમાં હારી ગયા, અને આવા સંજોગોમાં કુંટુંબ પણ વિખરાઈ ગયું. એક ઊંટ ચાલક માણસે વસુમતીનું અપહરણ કર્યું. તેણે વસુમતીને પૈસાની લાલચના હેતુથી કૌશાંબી નગરીમાં વેચી દેવાનું નક્કી કર્યું. ધનાવર શેઠ નામના વેપારીએ વસુમતીને જોઇ અને મનમાં વિચાર્યું કે, “આ નાની છોકરી કોઇ ખાનદાન પરિવારની હોય તેવું લાગે છે. કદાચ તે તેના પરિવારથી વિખુટી પડી ગઈ હોય એવું લાગે છે. જો આ સાચું હોય અને તે ગુલામ તરીકે વેચાઇ જાય, તો પછી આગળ જઈને એનું ભવિષ્ય શું?” તેથી, અત્યંત કરુણાથી, તે વસુમતીને ખરીદે છે અને ઘરે લઈ આવે છે. ઘરે જતા રસ્તામાં, તે વસુમતીને તેની ઓળખ અંગેના પ્રશ્નો પૂછે છે પરંતુ વસુમતી પોતાની ઓળખાણ ગુપ્ત રાખે છે.
જ્યારે શેઠ ઘરે આવે છે, ત્યારે તેની પત્ની, મૂલાને વસુમતીનું આખું વર્ણન કહી સંભળાવે છે અને એક પુત્રીની જેમ તેની કાળજી રાખવા માટે વિનંતી કરે છે. તેઓ તેનું નામ ચંદના રાખે છે. ચંદના તેમના ઘરમાં પુત્રીની જેમ રહે છે. આ જોઇને, ધનાવર શેઠ ખૂબ જ આનંદિત થાય છે. જો કે, તેમની પત્ની મૂલાને ખૂબ શંકા હોય છે કે કદાચ તેના પતિ ચંદના સાથે તેની અત્યંત સુંદરતાને કારણે લગ્ન કરી લેશે.
એક દિવસ, શેઠ તેમના કામ પરથી ઘરે પાછો ફરે છે. તેનો નોકર જે સામાન્ય રીતે તેના પગ ધોતો હતો, તે હાજર ન હતો. તેથી, ચંદના આવી અને શેઠના પગ ધોવા લાગી. ત્યારે તેના લાંબા વાળ બકલમાંથી છૂટી જાય છે. તેના વાળ બગડે નહિ તે માટે, ધનાવર શેઠ તેને પકડે છે અને પાછા બાંધી લે છે. મૂલા આ જૂએ છે અને તેને ખાતરી થાય છે કે તેની શંકા સાચી છે. જયારે, થોડાક દિવસો પછી, જ્યારે તેનો પતિ બહારગામ જાય છે, ત્યારે મૂલા ચંદનાના વાળ કાપવા માટે વાળંદને બોલાવે છે. મૂલા ચંદનાનું મુંડન કરાવે છે, તેણીના પગ ભારે સાંકળથી બાંધી દે છે, તેણીને ભોંયરામાં પૂરી દે છે અને પોતે પિયર ચાલી જાય છે.
ત્રણ દિવસ પછી, જ્યારે શેઠ ઘરે પાછા આવે છે, ત્યારે તે મૂલા કે ચંદનામાંથી કોઇને દેખાતું નથી. ચિંતાતુર થઈને, તે જુદા જુદા ઓરડામાં તેઓને શોધે છે. એટલામાં, પાડોશની એક વૃધ્ધ સ્ત્રી આવે છે અને તેની ગેરહાજરીમાં મૂલાએ જે કંઇ ચંદના સાથે કર્યું તે વર્ણવે છે.
વેપારી તરત જ ભોંયરામાં દોડ્યા. ચંદનાને આવી પરિસ્થિતિમાં જોઇને તે ચોંકી ઉઠ્યા. તેમનું હ્રદય કરૂણાથી દ્રવી ઊઠયું. તે રસોઈઘરમાં ગયા પરંતુ ત્યાં માત્ર તેમણે કેટલાક અડદના બાકળા જ જોયા. તેમણે આ ચંદનાને આપ્યા અને કહ્યું, “મારી પુત્રી, તે છેલ્લા ત્રણ દિવસથી કશું ખાધું નથી. આ ખાઇ લે. એટલીવારમાં, હું લુહારને લઈ આવું જે આ મોટી સાંકળને તોડી નાખશે.”
ચંદના પોતે એ આહાર પોતે આરોગે તે પહેલા કોઇને વહોરાવવા ઇચ્છતી હતી. એટલામાં જ તેણે ભગવાન મહાવીરને તેના ઘર તરફ આવતા જોયા. ખૂબ ખુશ થઇને, તે દરવાજા તરફ દોડી. તેના પગ બાંધેલા હતા, એક પગ ઘરના ઉંબરાની બહાર હતો ને એક પગ ઉંબરાની અંદર હતો. જો કે, એટલામાં, મહાવીર સ્વામી પાછા વળી ગયા, કારણ કે એમનો એક અભિગ્રહ કે, ‘આંખોમાં આંસુ હશે’ તે પરિપૂર્ણ થયો ન હતો. ભગવાનને પાછા જતા જોઇને ચંદના મૂંઝવણમાં મૂકાઇ ગઈ. ભગવાનને વ્હોરાવી ન શકવાના કારણે અત્યંત શોકમય ભાવનાથી, તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એટલામાં જ ભગવાન થોડા પાછા ફર્યા અને તેના આંસુ જોયા. આ કારણથી જ ભગવાન પાછા ફર્યા, અડદના બાકળાના પારણા કર્યા અને એમના ૫ મહિના અને ૨૫ દિવસના ઉપવાસ પૂર્ણ થયા.
બીજી બાજુ, દેવો પણ આનંદમાં આવીને ચંદનબાળાને લોખંડની સાંકળથી મુક્ત કરે છે અને તેના પગને સોનાના ઝાંઝરથી, સુંદર ઘરેણાંઓ અને રાજકુંવરી જેવા વસ્ત્રોથી શુસોભિત કરે છે અને આ સાથે તેના પહેલાની જેમ લાંબા કેશ પણ પરત આવી જાય છે. અચાનકથી આટલા બધા બદલાવ આવતા ચંદના પણ આશ્ચર્ય પામે છે. અંતે તે હૃદયપૂર્વક ભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે.
જયારે રાજાને આ બધા સમાચાર પ્રાપ્ત થાય છે ત્યારે તરત જ તે પોતાનું રાજકુટુંબ અને મંત્રીઓ સહીત તે સ્થળે પહોંચી જાય છે. એમાંના એક મંત્રી ચંદનાને ઓળખી જાય છે અને રાજાને તેની સાચી ઓળખ વિષે માહિતગાર કરે છે અને કહે છે કે,”આ વસુમતી છે, જે ચંપાનગરીની રાજકુંવરી, રાજા દધિવાહન અને રાણી ધારિણીની પુત્રી છે.” રાજા શૈતાનીક અને રાણી મૃગાવતી ચંદનાને પોતાની સાથે લઇ જાય છે અને જ્યાં સુધી તે ભગવાનની પાસે દીક્ષા લેવા સક્ષમ ન થાય તેટલો કાળ ચંદનાને પોતાની સાથે મહેલમાં કાળજીપૂર્વક રાખે છે.
એક દિવસ, ભગવાન મહાવીર કાયોત્સર્ગ કરી રહ્યા હતા. કાયોત્સર્ગ એટલે પોતાના પોતાના આત્મસ્વરૂપમાં સ્થિર થવું અને મન-વચન-કાયાથી પોતે જુદા થઈને દૈહિક ક્રિયાઓનું નિરીક્ષણ કરવું. એટલામાં જ, એક ગોવાળિયો ત્યાંથી પસાર થયો. ભગવાનને જોતાં જ, તેણે થોડોક સમય ગાયોનું ધ્યાન રાખવા માટેની વિનંતિ કરી કે જેથી તે પોતાનું બીજું કામ પતાવી શકે. ભગવાન તેમના ઊંડા ધ્યાનમાં મગ્ન હોવાને કારણે, ગોવાળિયાએ જે કંઈ પણ કીધું તે સાંભળ્યું નહિ. આ જાણમાં લીધા વિના, ગોવાળિયો ગાયોને ભગવાન પાસે મૂકી અને તેનું કામ કરવા માટે ગયો. પાછા ફરીને, તેણે જોયું કે તેની એક પણ ગાયો જોવા મળી નહિ. આનાથી તે ખુબ જ ક્રોધિત થયો. તે ભગવાન તરફ અતિ ક્રોધિત થઈને બોલ્યો કે, “મારી ગાયો ક્યાં છે?” પરંતુ કશું વળ્યું નહિ. વર્ધમાન મહાવીર તો ધ્યાનમાં જ હતા, તેથી ભગવાને કંઈ જ ઉત્તર ન આપ્યો.”
ગોવાળીયાને તેની આસપાસ ગાયોની શોધ કરતાં છતાં ક્યાંય પણ ગાયો ન દેખાતા, તેણે ભગવાનને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. તેણે ભગવાનના કાનમાં એ રીતે જંગલી બરુ ઠોક્યા કે તેમના બે બાજુના કાનમાંથી બરુ અંદર એકબીજાને મળી જાય અને કાનની બહાર જે બરુનો બાહ્ય ભાગ દેખાય એ કાપી નાખ્યો, જેથી કરીને લોકોને બરુ ન દેખાય અને એ ખ્યાલ જ ન આવે કે ભગવાનના કાનમાં બરુ છે.
જો કે, આ બધાથી મહાવીર ભગવાન જરા પણ ચલિત ન થયા અને તેઓ આત્મધ્યાનમાં જ સદા લીન રહ્યા. ભગવાન મહાવીર જાણતા હતા કે, વાસુદેવ ત્રિપુષ્ટ તરીકેના ભવમાં તેઓએ દ્વારપાળના કાનમાં ગરમ સીસું રેડ્યું હતું એ પાપ કર્મના પરિણામ સ્વરૂપ આ સર્વ બની રહ્યું છે. આ પ્રકારની જાગૃતિના કારણે, ભગવાનને અસહ્ય પીડા હોવા છતાં, તેમને ગોવાળિયા પ્રત્યે કોઇ પ્રકારનો ક્રોધ કે ખરાબ ભાવના ન હતી.
છ મહિના માટે, તેઓના કાનમાં બરુ ભરાયેલા જ રહ્યા. એક દિવસ, તેઓ એક ગામમાં આવ્યા જ્યાં વૈધે ભગવાનને જોયા. ભગવાનનું મુખ જોઇને, વૈધને ખ્યાલ આવ્યો કે એવું કંઇક છે કે, જેનાથી ભગવાન મહાવીરના દેહને વેદના (પીડા) પહોંચી છે. વૈધ હોવાને લીધે, તેમણે ભગવાનની શારિરીક તપાસ કરી અને જાણ્યું કે તેમના કાનમાં તો બરુ ખૂંચેલા છે. તેમણે કાળજીપૂર્વક તે ભગવાનના કાનમાંથી ખેંચી કાઢ્યા. જો કે, જ્યારે વૈદે બરુ કાઢ્યા, ત્યારે ભગવાને જોરથી ત્રાડ (અવાજ) નાખી અને તેમની આંખમાંથી અશ્રુ વહેવા લાગ્યા. આ પરથી સમજાય છે કે એ વેદના અતિશય તીવ્ર હતી; છતાં પણ ભગવાન સંપૂર્ણપણે સમતામાં રહ્યા. તેમને એ બાબતની સંપૂર્ણ જાગૃતિ હતી કે, વેદના દેહને છે અને મને (આત્માને) નહિ. વૈધે તેમનો ઔષધિ દ્વારા ઇલાજ કર્યો, અને થોડા સમયમાં ભગવાન સ્વસ્થ પણ થઇ ગયા.
ત્યારબાદ ભગવાન મહાવીર એક ગામમાં પહોંચ્યા. ત્યારે તેમની આયુ ૪૩ વર્ષની હતી. તેમની અત્યંત કઠોર તપશ્ચર્યાના ૧૨ વર્ષ બાદ અને એમના દીક્ષા કાળ દરમ્યાન જ ભગવાન ઋજુવાલિકાનદીના કિનારે સાલ વૃક્ષની નીચે ગૌ-દોહન મુદ્રામાં ધ્યાનસ્થ હતા. અને આખરે એ પવિત્ર ઘડી આવી ગઈ. ભગવાનના ચાર મુખ્ય કર્મો જેમ કે, ઘાતી કર્મ, જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મનો સંપૂર્ણપણે નાશ થયો અને એમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઇ.
આ સમય દરમ્યાન, બ્રહ્માંડના પ્રત્યેક જીવને આંતરિક શાંતિ અનુભવાય છે. કેવળજ્ઞાન કલ્યાણકના પ્રસંગે, દેવલોકો અત્યંત હર્ષોલ્લાસમાં હોય છે. તેઓ અત્યંત ધૂમધામથી ઉજવણી કરે છે. પૃથ્વી પરના લોકો, જે ભગવાનનું શરણું પ્રાપ્ત કરવા ઝંખે છે, તેઓ પણ આ અદ્ભુત ક્ષણને અત્યંત ભક્તિભાવથી ઊજવે છે, કારણ કે તેઓ હવે સંસારનો ત્યાગ કરવા સમર્થ થઈ અને ભગવાનની દેશના (તીર્થંકરની વાણી) નિરંતરાયપણે સાંભળી શકશે.
મગધ રાજ્યના ગોબરગાવ નામના શહેરમાં, ત્રણ બ્રાહ્મણ ભાઇઓ – ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ રહેતા હતા, જેઓ અત્યંત વિદ્વાન હતા. એક દિવસ, ૧૧ બ્રાહ્મણોનું ટોળું અને તેમના હજારો શિષ્યો સહીત મહા યજ્ઞ કરવા માટે એકત્રિત થયું. અચાનક, તેઓએ જોયું કે ઘણા બધા દેવો આકાશમાંથી પૃથ્વી તરફ આવી રહ્યા હતા. તેઓ આ દ્રશ્ય જોઇને અત્યંત આનંદિત થઇ ગયા કારણ કે, તેમણે એવું વિચાર્યું કે દેવો તેમના યજ્ઞમાં આશીર્વાદ વરસાવવા આવી રહ્યા છે. જો કે, થોડી વારમાં તો, દેવોએ તે બ્રાહ્મણોની જગ્યામાંથી પસાર થઇને આગળની દિશા તરફ પ્રયાણ કર્યું.
ત્યારબાદ તુરંત જ તેમને સમાચાર મળ્યા કે, દેવો તીર્થંકર મહાવીરના સમોવસરણમાં જઈ રહ્યા છે. યજ્ઞમાં ઉપસ્થિત સર્વે ‘મહાવીર’નું નામ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ઊઠ્યા. ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું કે, “આ મહાવીર કોણ છે?” તેનો મહાન વિદ્વાન હોવાનો અહંકાર સામે એક પડકાર આવ્યો હોય એવું લાગ્યું! પોતે ભગવાનથી પણ શ્રેષ્ઠ છે એવું આખા જગત સામે સાબિત કરવા તે ભગવાન મહાવીર પાસે તરત જ પહોંચે છે.
સમોવસરણમાં પહોંચતા જ, ભગવાન ઇન્દ્રભૂતિને એમના નામ સહિત આદરપૂર્વક બોલાવે છે. ઇન્દ્રભૂતિને ત્યારે ખૂબ જ આશ્ચર્ય થાય છે. ત્યારબાદ તેમને તરત જ એવું લાગે છે કે, “મને કોણ નથી ઓળખતું? તેઓને મારું નામ ખબર હોય એમાં કશી નવાઇ નથી.” બીજી જ ક્ષણે ભગવાન બોલ્યા, “ઇન્દ્રભૂતિ, જીવ છે કે નહિ એ અંગેનો તમને સંશય છે. આત્માને જ્ઞાન અને દર્શનના ગુણ દ્વારા અનુભવી શકાય છે. તે જ સાચું સ્વરૂપ છે. એકવાર આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી તમામ દુ:ખોનો અંત આવે છે.” આ સમયે, ઇન્દ્રભૂતિ અચંબામાં મૂકાય ગયા કારણ કે આત્માના અસ્તિત્વ વિશેનો સંશય તેમને હંમેશા મુંઝવતો રહેતો હતો.” ગૌતમ સ્વામીને ખ્યાલ આવી ગયો કે, ભગવાન જાણે છે કે તેમનાં મનમાં શું ચાલી રહ્યું છે.” તેમનું હ્રદય ભગવાન પ્રત્યે અત્યંત પૂજ્યભાવથી ભરાઇ ઊઠયું કારણ કે ભગવાન સતત ઇન્દ્રભૂતિના સંશયોના સચોટ ફોડ પડી રહ્યા હતાં. અંતે, તે બ્રાહ્મણ ભગવાનના ચરણકમળમાં સમર્પિત થઈ ગયા અને તેમના પ્રથમ ગણધર (મુખ્ય શિષ્ય) બન્યા!!! ત્યાર પછીથી, ઇન્દ્રભુતિ એ ગૌતમ સ્વામી તરીકે ઓળખાવા લાગ્યા.
ત્યાર પછી, તેમના ભાઇ, અગ્નિભૂતિ, ઇન્દ્રભૂતિની શોધમાં ભગવાનના સમોવસરણમાં આવે છે. ભગવાન મહાવીર તેમને સારી રીતે આવકારે છે, “પધારો અગ્નિભૂતિ! તમારો સંશયએ છે કે, શું કર્મોનું અસ્તિત્વ છે? કર્મોનું અસ્તિત્વ છે. એવું એટલા માટે કે કર્મો જ છે જેના લીધે આપણે જીવનમાં દુ:ખ અને ભોગવટા આવે છે. ક્યારેક આપણે કશું જ ન કર્યું હોય છતાં પણ દુઃખ અનુભવીએ છીએ અને ક્યારેક એવું પણ બને છે કે, કશું જ ન કર્યું હોય છતાં પણ મહી આનંદનો અનુભવ થાય છે. શા માટે એક સુખ મેળવે છે અને બીજું તેનાથી વંચિત રહે છે? આવું વ્યક્તિના પૂર્વ કર્મોના આધારે જ બને છે. કર્મોને કારણે, આપણો જન્મ થાય છે. પૂર્વભવમાં બાંધેલ કર્મ એ કારણ છે અને કર્મોનું પરિણામ એ અસર છે. આપણે અસરને જોઇ શકીએ છીએ, પરંતુ આપણે કારણને જોઇ શકતા નથી.” આ સાંભળીને, અગ્નિભૂતિને ખૂબ સંતોષ થયો. તેઓ, તેમના શિષ્યો સહીત, ભગવાનના ચરણોમાં સમર્પિત થઇ ગયા અને દીક્ષા લીધી.
ત્યારપછી, વાયુભૂતિ, બીજા ભાઇ, ત્યાં આવે છે અને ભગવાન તેમને પણ આવકારે છે. ભગવાને કહ્યું, “વાયુભૂતિ, તમને મનમાં એવો સંશય છે કે શું જીવ (આત્મા) અને દેહ એક છે કે બે છે. તે બન્ને ભિન્ન છે. આપણે આત્મા છીએ અને દેહ તેનાથી જૂદો છે. જ્યારે આત્મા દેહ છોડે છે, ત્યારે દેહને બાળી નખાય છે. જ્યાં સુધી આત્મા દેહમાં હોય ત્યાં સુધી જ, શરીર જીવંત છે. જો આંખો ન હોય તો પણ, આપણે કઈ રીતે દ્રશ્ય અનુભવી શકીએ છીએ? તેવું આત્માના દર્શંનથી જ શક્ય બને છે.”
ત્યારપછી, ભગવાન ચોથા બ્રાહ્મણપુત્ર, વ્યક્તના, સંશયને દુર કરીને કહે છે કે, “તમને એ સંશય છે કે શું પંચ મહાભૂત છે ખરા? હા, પૃથ્વી, અગ્નિ, જળ, આકાશ અને વાયુ અસ્તિત્વ ધરાવે છે અને તેઓને જોઇ પણ શકાય છે.” તેમનો સંશય દૂર થાય છે ત્યારપછી તેઓ પણ, તેના શિષ્યો સાથે, દીક્ષા લે છે.
ત્યારપછી, સુધર્મા નામના બ્રાહ્મણપુત્ર આવ્યા. મહાવીર સ્વામીએ તેમને આવકાર્યા અને કહ્યું, “તમને એવો સંશય છે કે શું પુનર્જન્મ છે ખરો? અને અગર જો છે, તો શું હંમેશા માનવમાંથી માનવ જ જન્મ લે છે અને પ્રાણમાંથી પ્રાણી જ જન્મે એવું છે? વાસ્તવિકતા એ છે કે જો આપણે ઘઉંના બીજ વાવીએ તો ઘઉંના છોડ જ ઊગશે. જો કે, નવા બીજમાં જે જીવ હોય છે એ જુદો હોય છે. જો એક અનાજના દાણામાંથી, ૨૫૦૦૦ અનાજના દાણા ઊગે છે, ત્યારે દરેક અનાજના દાણામાં પોતાનો સ્વતંત્ર જુદો આત્મા હોય છે. નવા દાણામાં રહેલો આત્મા જે દાણાને બીજ તરીકે વાવવામાં આવેલ તેના કરતાં જૂદો હોય છે. મનુષ્ય મનુષ્યને જ જન્મ આપે છે. પરંતુ, જે નવો મનુષ્ય જન્મે છે તેનો જીવ જૂદો હોય છે. જો મનુષ્ય્યના ભાવો પ્રાણીઓ જેવા હોય તો, પછીના જન્મમાં, તે પ્રાણી તરીકે જન્મે છે, મનુષ્ય તરીકે નહિ. જીવ જે પ્રકારના કર્મો બાંધે છે, તે પ્રમાણે જીવ પુનર્જન્મ પામે છે.” સંતોષકારક નિવારણ પ્રાપ્ત થવાથી, સુધર્મા બ્રાહ્મણ પણ તેમના ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લે છે.
ત્યારપછી, મંડિક નામના બ્રાહ્મણપુત્ર આવે છે. ભગવાને કહ્યું, “પધારો મંડિક. તમને મનમાં એવો પ્રશ્ન છે કે બંધન અને મોક્ષ શું છે? અજ્ઞાનતાથી, જીવ કર્મ બાંધે છે. જયારે જીવ બધા બંધનોમાંથી મુક્ત થાય છે, ત્યારે તે મોક્ષ પામે છે. પહેલા તબક્કાનો મોક્ષ અહીં જ અનુભવી શકાય છે, જીવતાં જ, વ્યક્તિને કોઇ દુ:ખ અડતું જ નથી. અત્યંત દુ:ખ અને ભોગવટામાં હોવા છતાં, વ્યક્તિને એ ભોગવટો અસર કરતો નથી. જ્યારે બધા કર્મોનો ક્ષય થઈ જાય છે અને આત્મા ઉપર એક પણ પરમાણુનું આવરણ રહેતું નથી ત્યારે અંતિમ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આવો આત્મા સિધ્ધક્ષેત્રમાં જાય છે. એક વખત મોક્ષના પ્રથમ પગથિયાનો અનુભવ થયા પછી બીજું અને અંતિમ મોક્ષનું પગથિયું ચોક્કસપણે આવે જ છે.” આ રીતે, મંડિક પણ, મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને તેમના ૫૦૦ શિષ્યો સાથે દીક્ષા લે છે.
ત્યારપછી, સાતમાં બ્રાહ્મણપુત્ર, મૌર્ય, ભગવાન મહાવીર પાસે આવ્યા. ભગવાને તેમને નામ સહિત આવકાર્યા અને કહ્યું, “તમને એવો સંશય છે કે દેવલોકો શા માટે પૃથ્વી ઉપર આવતા નથી? દેવલોકોની આસપાસનું વાતાવરણ અત્યંત સુંદર અને સુગંધિત હોય છે. એટલે, તેઓ પૃથ્વી ઉપર આવવાનું પસંદ કરતાં નથી. જો કે, જ્યારે પણ તીર્થંકર ભગવાનના પાંચ કલ્યાણકનો ઉત્સવ ઉજવાય છે, ત્યારે તેઓ ખૂબ ઉત્સાહ અને ભક્તિભાવ પૂર્વક આવે છે.” મૌર્ય ભગવાનનો જવાબ સાંભળીને ખૂબ સંતુષ્ટ થયા અને તેઓ પણ, તેમના શિષ્યો સાથે, ભગવાન પાસેથી દીક્ષા લે છે.
હવે, આઠમા બ્રાહ્મણપુત્ર, અકંપિત, સમોસરણમાં પહોંચ્યા. મહાવીર ભગવાને કહ્યું, “તમને એવો સંશય છે કે શું નારકીય જીવોનું અસ્તિત્વ છે ખરૂ, અને જો અસ્તિત્વ છે, તો આપણે તેઓને કેમ જોઇ શકતા નથી? સત્ય એ છે કે એ જીવો નર્કમાં છે. જો કે, જેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છે ફક્ત તેઓ આ જીવોને પોતાના જ્ઞાનમાં જોઈ શકે છે. બીજા કોઇ જીવ તેઓને જોઇ શકે નહિ. જેમણે નર્કના કર્મોના હિસાબો બાંધ્યા હોય તેવા જીવ જ ત્યાં જાય છે. બીજા કોઇ ત્યાં જોવા માટે પણ જઈ શકે નહિ.” આ સાંભળીને, અકંપિત પણ તેમના શિષ્યો સહીત સમર્પિત થઇ ગયા.
થોડાક સમયમાં, નવમા બ્રાહ્મણપુત્ર , અચલભ્રાતા, તે જગ્યાએ આવ્યો. તેને પણ નામ દ્વારા સંબોધીને, ભગવાને કહ્યું, “હે અચલભ્રાતા! તને એવો સંશય છે કે શું પાપ અને પુણ્યનું આસ્તિત્વ છે કે નહિ? જો છે, તો તે કેવી રીતે? પાપ અને પુણ્ય ચોક્કસપણે અસ્તિત્વ ધરાવે છે, તેના વિના સુખ અને દુ:ખના પરિણામોનો અનુભવ થઇ શકે નહિ. ઘણા બધા લોકો જન્મથી જ વિકલાંગ કે ગરીબ જન્મે છે. આવું શા આધારે બને છે? જે પુણ્ય બાંધે છે તે સુખનો અનુભવ કરે છે, અને જે પાપ બાંધે છે તે દુ:ખ અનુભવે છે. જ્યારે આપણે બીજાને સુખ આપીએ છીએ ત્યારે પુણ્ય બંધાય છે અને જ્યારે આપણે બીજાને દુ:ખ પહોંચાડીએ છીએ ત્યારે પાપ બંધાય છે. અજ્ઞાનતાને કારણે પુણ્ય અને પાપ કર્મ બંધાય છે. આ કુદરતી છે; આ બધું સંભાળવા માટે કોઇ ભગવાન નથી. આપણો અંદરનો શુદ્ધાત્મા જ પોતે ભગવાન છે. જ્યારે પુણ્ય કે પાપ બન્નેમાંથી કશું ભોગવવાનું રહેતું નથી, ત્યારે મોક્ષ થાય છે!” આ સાંભળીને, અચલભ્રાતા મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને તેમના ૩૦૦ શિષ્યો સાથે દીક્ષા લે છે.
ત્યાર પછી, બ્રાહ્મણપુત્ર મેતાર્ય નું સ્વાગત કરવામાં આવે છે અને ભગવાને કહ્યું, “તમારા મનમાં, એવો સંશય છે કે શું પૂર્વભવ હોય છે કે નહિ. હા, પૂર્વભવ ચોક્કસપણે હોય છે જ. માટે આ જન્મોમાં સંચિત કરેલા કર્મોના હિસાબો ચુકવવા માટે, બીજો જન્મ થવો જરૂરી છે. જે ભવમાં આપણને આત્મજ્ઞાન થાય છે, ત્યારથી જન્મજન્માંતરના ચક્કરમાંથી છુટવા સક્ષમ થઈએ છીએ અને મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ.” તેઓ, પણ, મહાવીર સ્વામી ભગવાનના ચરણોમાં સમર્પિત થઈ જાય છે અને તેમના ૩૦૦ શિષ્યો સાથે દીક્ષા લે છે.
મહાવીર સ્વામી પછી પ્રભાસ બ્રાહ્મણપુત્રને આવકારે છે અને તે કહે છે, “ તમારા મનમાં, એવો સંશય છે કે બંધન શું છે. માત્ર એ તપાસ કરો કે સવારથી રાત સુધીમાં – સમગ્ર દિવસ દરમિયાન કેટલી બધી વસ્તુઓ પર આપણે નિર્ભર છીએ. કઈ ક્ષણે, આપણે નિર્ભર નથી હોતા? આ નિર્ભરતા, આ અવલંબન પોતે જ એક બંધન છે અને મોક્ષ એ મુક્તિ છે. મોક્ષ માટે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર્ય, અને સમ્યક તપ જરૂરી છે.”
જ્યારે જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, જ્યારે પોતાની જાતનું ભાન થાય છે; ત્યારે ખરેખર તે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન છે અનુક્રમે. ત્યારપછી, જ્યારે વ્યક્તિ જ્ઞાતા-દ્રષ્ટામાં રહે છે, આંતરિક નબળાઇઓ ક્રોધ, માન, માયા, લોભ, રાગ અને દ્વેષ પૂરા થતા જાય છે. તેને સમ્યક ચારિત્ર્ય કહેવાય છે. જ્યારે કોઇ આપણું અપમાન કરે છે, અપમાનથી આપણને અંદર જે અસર થાય છે તેને સમતાભાવથી જોવું અને કઈ રીતે આ સંચિત કર્મોના પરમાણુઓની નિર્જરા થાય છે તે જાણવું, એ સમ્યક તપ કહેવાય છે. માટે, આત્મજ્ઞાન પછી, નવા કર્મો બંધાતા નથી; અને ટૂંક સમયમાં, જેવા બધા જૂના કર્મો પૂરા થાય છે, તો બધા કર્મોનું બેલેન્સ શૂન્ય થઈ જાય છે. પછી, આવરણ રહિત આત્મ રહે છે; તે મુક્ત હોય છે અને શાશ્વત આનંદમાં રહે છે!
આ સાથે, બધા ૧૧ બ્રાહ્મણપુત્રો ભગવાન મહાવીરના ગણધર બને છે. ચંદના પણ ભગવાન પાસેથી દીક્ષા લે છે, અને માટે, તેઓ ભગવાનને સમર્પિત થઈ પ્રથમ સ્ત્રી સાધ્વી બને છે. ભગવાને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, જેમાં સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકો (ગૃહસ્થ પુરૂષ જે આધ્યાત્મિક જિજ્ઞાસા ધરાવતો હોય) અને શ્રાવિકાઓથી (ગૃહસ્થ સ્ત્રી જે આધ્યાત્મિક જિજ્ઞાસા ધરાવતી હોય) સહિત હોય છે.
તીર્થંકર ભગવાન મહાવીરે, એમની દેશનામાં બ્રહ્માંડમાં રહેલા છ શાશ્વત તત્વો વિશે સમજાવ્યું.
આ દરેક શાશ્વત તત્વો આ પ્રમાણે છે:
સૈધ્ધાંતિક રીતે, આ બધા તત્વો સ્વભાવથી જ શુધ્ધ છે અને તેમના દરેકના દ્રવ્ય, ગુણ અને પર્યાય પણ હોય છે! આ તત્વો, ગમે તેટલા નજીક હોય તો પણ, તેલ અને પાણીની જેમ જૂદા જ રહે છે અને તેમની શુધ્ધતા ગુમાવતા નથી. માટે, આત્મા હંમેશા શુધ્ધ જ રહે છે, જૂદી જૂદી ગતિમાં અસંખ્ય જન્મો થવા છતાં પણ તે શુધ્ધ જ રહે છે. તે એવો હતો, એવો છે અને હંમેશા એવો જ શુધ્ધ રહેશે! ભગવાન મહાવીર લોકોને તેમની દેશના દ્વારા આ જ્ઞાન સમજાવે છે.
જ્યાં તીર્થંકર ભગવાન દેશના આપતા હોય ત્યાં સમગ્ર વાતાવરણમાં શાંતિ અને સંવાદિતા ફેલાય જાય છે. પ્રાણી હોય કે મનુષ્ય, દરેક જીવ તેમને સાંભળવા આવે છે. તેમની વાણી સાંભળવા માટે કોઈ પણ જીવને તેની ભાષા બાધારૂપ થતી નથી. તેથી, દરેક લોકો તેમને સમજી શકે છે. તેમની વાણીમાં એવી શક્તિ હોય છે કે તે વ્યક્તિમાં માત્ર અસામાન્ય ફેરફારો લાવે છે એટલું જ નહિ, પરંતુ આધ્યાત્મમાં વિકસિત ઘણા આત્માઓને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે તે રીતે તૈયાર પણ કરી દે છે. ચાલો, આપણે પણ એવી પ્રાર્થના કરીએ કે, સમોસરણમાં, તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા જલ્દીથી જઇ શકીએ!
મહાવીર સ્વામીએ પાંચ મહાવ્રતો આપ્યા જે દરેક આધ્યાત્મિક વ્યક્તિએ પાળવા જરૂરી છે. તેમણે આ પાંચ મહાવ્રતોની સંપૂર્ણપણે સ્થાપના કરી. આ વ્રતો આ મુજબ છે:
૧. અહિંસા, તેનો અર્થ છે કે હિંસા ન કરવી.
૨. સત્ય, ‘સત’ એટલે શાશ્વત સત્ય. આ બ્રહ્માંડમાં છ શાશ્વત તત્વો આવેલા છે. જો કે, આત્મા એ આપણું પોતાનું ખરું સ્વરૂપ છે. માટે, તે સૌથી મહત્વનું તત્વ છે, અને તેથી, ‘આત્મા’ એ જ માત્ર ‘સત’ તત્વ છે. જે બીજા પર આધારિત હોય છે, તે બધા સાપેક્ષ સત્ય છે. આપણા માતાપિતાના આધારે ‘હું બાળક છું’, એ સાપેક્ષ સત્ય છે. પત્નીના આધારે, ‘હું બાળક છું’ એ સત્ય નથી, ખરું ને? સાપેક્ષ સત્ય હિત, પ્રિય, મીત અને સામી વ્યક્તિ માટે હિતકારી હોવું જોઇએ. આપણે હંમેશા એવું લક્ષમાં રાખવું જોઇએ કે સાપેક્ષ સત્ય હંમેશા બદલાયા કરે છે. માટે, કોઇ પણ વ્યવહારિક સત્ય માટે કોઇ આગ્રહ રાખવો જોઇએ નહિ.
૩. અચૌર્ય, એટેલે એવું વ્રત કે જેમાં વિચાર, ભાવ, ક્રિયા અને વાણીથી જરા પણ ચોરી ન કરવી.
૪. અપરિગ્રહ, જેનો અર્થ કશાનો માલીકીભાવ ન રાખવો.આપણું શરીર, મન અને વાણી એ આપણો પ્રાથમિક પરિગ્રહ છે. ત્યારપછી, આપણી પત્ની, બાળકો, કુટુંબ, ઘર, ફર્નિચર, સંબંધો, નામ, પ્રતિષ્ઠા, અપમાન, વગેરે બધા આપણા પરિગ્રહો છે. પરિગ્રહ એટલે એવું કંઇ કે, જેના પર આપણું ખેંચાઈ જાય છે. આપણે જયારે આ વ્રતનું સાચા અર્થમાં પાલન કરશું ત્યારે દેહાધ્યાસ, એટલે કે, ‘હું , પોતે જ, શરીર છું’, એની માન્યતા જતી રહેશે. આધ્યાત્મિકતામાં, બાહ્ય પરિગ્રહોનો ત્યાગ કરવો, એનું કોઇ મહત્વ હોતું નથી, પરંતુ આ બાહ્ય પરિગ્રહોમાં રહેલ રાગ (મોહ)ને કાઢી નાખવો એ જ લક્ષમાં રાખવામાં આવે છે. જ્યારે આપણને કોઇ ચિંતા ન થાય ત્યારે જ, ‘અપરિગ્રહ’ની સ્થિતિ ગણાય!
૫. બ્રહ્મચર્ય, ભગવાન પાર્શ્વનાથે માત્ર ચાર મહાવ્રતો જ (બ્રહ્મચર્ય સિવાયના) આપ્યા હતા કારણ કે બ્રહ્મચર્ય તો અપરિગ્રહમાં સમાવિષ્ટ જ છે. જો કે, ભગવાન મહાવીરે પાંચમું વ્રત બ્રહ્મચર્યનું ઉમેર્યું. આ એટલા માટે કે તેઓ જાણતા હતા કે, આવનારા સમયના સામાન્ય માણસો અપરિગ્રહ અને બ્રહ્મચર્ય વચ્ચેના તફાવતને સમજી શકશે નહિ. માટે, તેઓ એવું કહીને ગેરમાર્ગે દોરવાશે કે ભગવાને બ્રહ્મચર્યના સંદર્ભમાં તો કશું કહ્યું નથી. આ ગેરઉપયોગને રોકવા માટે, ભગવાને પાંચમું વ્રત ઉમેર્યું.
રાજગૃહી નજીક, લોહખુર નામનો ખૂબ જ ચાલાક અને ભયંકર ઘાતકી ચોર રહેતો હતો. તે અને તેની પત્નીને રોહિણીયા નામનો પુત્ર હતો. રોહિણીયા, તેના પિતાના પગલાને અનુસરીને, મોટો થઈને તેના પિતા કરતાં પણ વધુ હોશિયાર અને બુધ્ધિશાળી ચોર બન્યો. જેમ જેમ વર્ષો પસાર થતા ગયા, તેમ એક દિવસ વૃધ્ધ લોહખુર મરણ પથારી પર હતો. તેણે રોહિણીયાને બોલાવ્યો અને ક્યારેય પણ મહાવીરનો ઉપદેશ ન સાંભળવાની સલાહ આપી, કારણ કે તેમનો ઉપદેશ તેના વ્યવસાયને અનુરૂપ નથી હોતો. રોહિણીયાએ તેના પિતાને વચન આપ્યું કે તે તેમની સલાહનું હંમેશા અનુસરણ કરશે.
હવે, એક દિવસ, એવું બન્યું કે જ્યારે રોહિણીયા એક જગ્યાએથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં જ તેણે ભગવાનનો અવાજ સાંભળ્યો. ભગવાન શ્રાવસ્તી લોકોને દેશના આપી રહ્યા હતા. રોહિણીયાએ તરત જ તેના હાથથી કાન બંધ કરી દીધા. પરંતુ એટલામાં જ, એક તીક્ષ્ણ કાંટો તેના પગમાં ખૂંચી ગયો અને તેને ખૂબ જ દર્દ થવા લાગ્યું. પરિસ્થિતિ એવી બની કે તેને ફરજિયાત પણે કાંટાને કાઢવા માટે એક હાથ કાન પરથી લેવો જ પડે. જેવું તેણે આવું કર્યું કે, તરત જ ભગવાન મહાવીરના આ શબ્દો તેના કાનમાં પડ્યા, “એવી વ્યક્તિ કે જેના પગ જમીનને ન અડતા હોય, જેની આંખ પલકતી ન હોય, જેના શરીરને પરસેવો ન વળતો હોય અને જેમના ગળામાં રહેલ હાર કદી મૂરઝાયેલ ન હોય તો, તે દેવલોકમાંથી આવેલ હોય છે. “ રોહિણીયાએ તરત જ કાંટો તેના પગમાંથી કાઢ્યો અને આગળ વધ્યો.
રોહિણીયાએ પહેલા ક્યારેય ન કરી હોય તેવી લૂંટ ચલાવી. જેના પરિણામે, શહેરના લોકોને ખૂબ હેરાનગતિ થવા લાગી. તેઓએ રાજા શ્રેણિકને વિનંતિ કરી કે રોહિણીયા સામે કોઇ પગલા લેવામાં આવે. રાજાએ તેમના અત્યંત બુધ્ધિશાળી અને વિશ્વાસુ મુખ્ય પ્રધાન, અભયકુમારને બોલાવ્યા અને રોહિણીયાની ધરપકડ કરવા માટેની કામગીરી સોંપી.
અભયકુમારે તેમના સૈનિકોને મહત્વના સ્થળોએ ગોઠવી દીધા અને રોહિણીયાને પકડવામાં સફળ રહ્યા. જો કે, ચોરે વેશપલટો કર્યો. તેથી, જ્યારે તેને લાવવામાં આવ્યો, ત્યારે તેણે પોતે બાજુના ગામનો ખેડૂત છે તેવો પરિચય આપ્યો. રાજાએ તે ગામમાંથી તેની ઓળખ ચકાસવા માટે બોલાવ્યા.. રોહિણીયા હંમેશા બે ડગલાં આગળ જ ચાલતોઅને માટે, તેણે પહેલેથી જ આ બાબતની ગોઠવણી કરી લીધી હતી. પરિણામે, સૈનિકો એવી ખાતરી સાથે પાછા આવ્યા કે આ ઓળખ સાચી છે. અભયકુમાર સારી રીતે જાણતા હતા કે આ વ્યક્તિ રોહિણીયા જ છે, પરંતુ ઓળખના પુરાવા વિના તે કશું કરી શક્યા નહિ. તેથી તેમણે યુક્તિપૂર્વકની યોજના ઘડી.
તેણે ચોરને એટલું બધું મદ્યપાન કરવા માટે મજબૂર કરી દીધો કે તે બેભાન થઇ ગયો. જ્યારે તે ભાનમાં આવ્યો, ત્યારે તેણે જોયું કે તેની આસપાસ દેવલોક જેવું વાતાવરણ રચાયેલું હતું. તે ક્યાં હતો તેની તેને ખબર પડી શકી નહિ. તેથી, તેણે એક અપ્સરાને આના વિશે પૂછ્યું. અપ્સરાએ જવાબ આપ્યો કે તે દેવલોકમાં છે અને તે આ બધા સુખોને ભોગવી શકે છે; પરંતુ તે પહેલા તેણે પોતાના ગતભવના કર્મોનું વર્ણન કરવું પડશે. રોહિણીયા શંકાશીલ હતો. ત્યારે બરાબર, તેને દેવલોક વિશેનો મહાવીરનો ઉપદેશ યાદ આવ્યો. તે આસપાસ જોવા લાગ્યો અને જોયું કે દરેક લોકોના પગ જમીનને સ્પર્શતા હતા, તેઓની આંખો મનુષ્યની જેમ પલકતી હતી, તેઓના શરીરને પરસેવો વળતો હતો અને હારમાંના કેટલાક ફૂલો કરમાયેલા પણ હતા. આ બધી બાબતોની મદદથી તેણે તારણ કાઢ્યું કે, તે ખરેખર દેવલોકમાં નથી. તેને ફસામણરૂપી યોજનાનો ખ્યાલ આવી ગયો અને ત્યાંથી નાસી છુટ્યો.
હવે તે મુક્ત હતો, તો પણ તેને ભગવાનના વચનો જ સતત યાદ આવતા હતા. તેણે વિચાર્યું, “ભગવાનના શબ્દો કેટલા બધા શક્તિશાળી અને અદ્ભૂત હતા!!! મેં ફક્ત એક જ વાક્ય સાંભળ્યું અને કોઇ જાતની ઇચ્છા વિના, તો પણ એ વાક્ય સાંભળવાથી મારો જીવ બચી ગયો. જો હું તેઓને વારંવાર સાંભળું તો, તો મને તેમની પાસેથી ઘણું પ્રાપ્ત થશે. કોણ જાણે, તે મને કદાચ આ જન્મ-મરણના દુષ્ચક્રમાંથી પણ મુક્ત કરી નાખે?!” ઘણા બધા વર્ષો સુધી આવી દૈવીવાણી સાંભળવાની તક ગુમાવી દીધી આ વાતથી તેનું હૃદય પશ્ચાતાપથી દ્રવિત થઇ ગયું. તે મહાવીર સ્વામી પાસે દોડ્યો અને અત્યંત નમ્રતાથી તેઓને પૂછ્યું, “હે ભગવાન, શું હું તમારા શરણોમાં આવવાની પાત્રતા ધરાવું છું? શું તમે મને તમારા શિષ્ય તરીકે સ્વીકાર કરશો?”ભગવાને તેને આ બાબતે સંમતિ આપી.
તે તરત જ રાજા શ્રેણિકની સભામાં ગયો, અને દરેકની હાજરીમાં, તેના ગુનાઓની કબૂલાત કરી. તેણે અભયકુમારને એવા બધા સ્થળો દર્શાવી દીધા જ્યાં તેણે ચોરેલી સંપત્તિ છૂપાવીને રાખી હતી અને એવું જાહેર કર્યું કે તે હવે દીક્ષા લેશે અને ભગવાનના ચરણોમાં બાકીનું જીવન વ્યતીત કરશે. તે ભગવાન પાસે આવ્યો અને તેઓની પાસે હ્રદયપૂર્વક તેણે કરેલા તમામ દુષ્કર્મોની કબૂલાત કરી. તેણે તેના ગુનાઓ બદલ પસ્તાવો કર્યો, અત્યંત કઠિન તપશ્ચર્યા કરી અને પોતાની જાતને તેણે બાંધેલા તમામ ખરાબ કર્મોમાંથી મુક્ત કરી. અંતે, તેણે દીક્ષા લીધી અને તેનું જીવન ભગવાનની ભક્તિમાં અને સેવામાં પસાર થયું. મૃત્યુ પછી, તે દેવગતિમાં ગયો અને દેવ બન્યો. આ કથા આધ્યાત્મિક શક્તિની મહત્વત્તા દર્શાવે છે કે તીર્થંકરની દૈવી વાણીમાં કેટલી બધી શક્તિ હોય છે. જે કુદરતી રીતે જ લોકોના કલ્યાણ કાજે વહેતી હોય અને સાથોસાથ દરેકને માટે અવશ્યપણે લાભદાયી પણ નીવડે છે.
એક દિવસ, વર્ધમાન મહાવીર ઋષભદત્ત ગામમાં આવ્યા અને માતા દેવાનંદા મળ્યા જેમણે પહેલા ભગવાન મહાવીરનો ગર્ભ ધારણ કર્યો હતો. સમોસરણની રચના થઈ અને તેઓ સજોડે ભગવાનનો ઉપદેશ સાંભળવા માટે ત્યાં આવે છે. તેઓ જાણતા ન હતા કે અગાઉ ગર્ભધારણ વખતે ભગવાન તેમના પુત્રરૂપે હતા, આ વાતની જાણ થયા બાદ તેઓ ખૂબ જ પ્રસન્ન થયા. ભગવાને દેશના આપી જેમાં તેમણે કહ્યું, “આ સંસારમાં, સુખ અને દુ:ખ બન્ને નાશવંત છે. શાશ્વત સુખ માત્ર આપણા આત્મામાં જ પ્રાપ્ત થાય છે. માટે, આપણા જીવનનો મુખ્ય ઉદ્દેશ આત્મજ્ઞાન પ્રાપ્તિનો હોવો જોઇએ.” આ દેશના સાંભળીને, તેમના માતા પિતાને સમકિત (સમ્યક દર્શન)ની પ્રાપ્તિ થઇ!
મહાવીર સ્વામી ભગવાન વિહાર કરતાં કરતાં એક વખત તેમના જન્મસ્થાન, ક્ષત્રિયકુંડમાં પધાર્યા. તેમના ભાઇ નંદીવર્ધને ભગવાનની દીકરી પ્રિયદર્શના અને જમાઇ જમાલી સાથે ભગવાનની મુલાકાત લીધી. તેમનો ઉપદેશ શ્રાવકોને સંસારનો ત્યાગ કરવા પ્રેરણા આપતો અને ત્યારબાદ તેઓ ભગવાન પાસેથી દીક્ષા લેતા હતાં. થોડાક વર્ષો પછી, જમાલી આવ્યો અને ભગવાનને પૂછ્યું કે શું તે પણ તેના શિષ્યોની સાથે, જુદાજુદા સ્થળોએ વિહાર કરી શકે અને સાધના કરી શકે. જો કે, ભગવાન શાંત રહ્યા. તેમના મૌનને સંમતિરૂપે સમજીને, જમાલી તેના સંઘ સાથે નીકળી પડ્યો.
એક વખત જમાલીને મેલેરિયા થઈ ગયો. તેને ખૂબ જ નબળાઇ લાગી રહી હતી. તેથી, તેણે તેના શિષ્યોને પથારી તૈયાર કરવાની સૂચના આપી. થોડાક સમય પછી, તે તેના શિષ્યોની તપાસ કરવા ગયો કે પથારી તૈયાર છે કે નહિ. શિષ્યોએ કહ્યું, “હા, પથારી તૈયાર છે.” જ્યારે જમાલી ગયો અને જોયું તો પથારી હજુ તૈયાર થઈ રહી હતી. તેથી, તેણે શિષ્યોને પૂછ્યું કે શા માટે તેઓ જૂઠું બોલ્યા. શિષ્યોએ કહ્યું કે ભગવાન મહાવીરે એવું શીખવ્યું છે કે કોઇ કાર્ય થઈ રહ્યું હોય, એને થઈ ગયેલું જ કહેવાય.
જમાલી ભગવાન પાસે ગયો અને આ બાબત અંગે સ્પષ્ટતા પૂછી. ભગવાને સ્પષ્ટતા કરી કે ‘કાર્ય-કારણ’ના સિધ્ધાંત મુજબ, કંઇ પણ થઈ રહ્યું હોય, તો તેને થયેલું જ માનવામાં આવે છે; તે જૂઠું કહી શકાય નહિ. દાખલા તરીકે, જો કોઈ મુંબઈથી ટેક્સીમાં બેસીને અમદાવાદના જઈ રહ્યો હોય અને અન્ય કોઇ વ્યક્તિ એના વિશે પૂછે, તો તેની પત્ની કહેશે, “અરે, એ તો અમદાવાદ ગયા છે”, ખરૂ ને! તે અમદાવાદ ન પહોંચ્યા હોવા છતાં, એવું કહેવાય કે તે અમદાવાદ ગયા છે કારણ કે અમદાવાદ જવાની ક્રિયા જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી શરૂ થઈ ચૂકી હોય છે.
જો કે, જમાલી ભગવાનના જવાબથી સંતુષ્ટ ન થયો. તેણે એવો આગ્રહ રાખ્યો કે ભગવાનનો દ્રષ્ટિકોણ ખોટો છે અને તેનો સાચો છે. માટે, તેણે ભગવાનની અવજ્ઞા કરી અને તેમને છોડીને જતો રહ્યો. કોઇ પણ વ્યક્તિએ ક્યારેય પણ ભગવાનના શબ્દો ઉપર શંકા કરવી જોઇએ નહિ. આ પ્રસંગ એનું સુંદર ઉદાહરણ છે કે કઈ રીતે વ્યક્તિ મોક્ષના માર્ગથી ચલિત થઈ જતી હોય છે. ભલેને ગમે તેટલી સારી ક્રિયાઓ કરી હોય અને ખૂબ તપશ્ચર્યા કરી હોય, તો પણ જો તે ભગવાન ઉપર વિશ્વાસ રાખી શકે નહિતો પછી મોક્ષ માટે તે બધું વ્યર્થ છે.
તેથી, પરમ પૂજ્ય દાદા ભગવાન હંમેશા કહે છે, “જે સીડીઓ દ્વારા, તમે ઉપર ચઢ્યા છો તે સીઢીને ક્યારેય કાપવી ન જોઇએ. “ જે વ્યક્તિ પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું છે અને વિકાસ થયો છે (તે આપણા ગુરૂ, જ્ઞાની કે તીર્થંકર ભગવાન હોય શકે), આપણે તેમના ક્યારેય પણ દોષ ન જોવા જોઇએ. આપણે જેની પાસેથી જ્ઞાન મેળવ્યું તેમના પણ દોષ જોવા લાગીએ, તો આપણે એવા અજ્ઞાનતા ઘોર અંધકારમાં ફસાઇ જઈશું કે આપણે સમ્યક દર્શન ગુમાવી દઈશું. જે વ્યક્તિ મોક્ષે જવા ઇચ્છતી હોય અને બધા કર્મોમાંથી તો છુટવું હોય તો કોઇના પણ, પછી ભલે બહારની કોઇ અજાણી વ્યક્તિના પણ, ક્યારેય દોષ ન જોવા જોઇએ. જેના થકી આપણા જીવનમાં પ્રગતિ થઈ હોય અને ખરેખર અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ હોય તો તેના દોષ તો કઈ રીતે જોઇ શકાય?”હા, આપણને પ્રશ્ન પૂછવાનો અને આપણા સંશયોને દૂર કરવાનો પૂરેપૂરો અધિકાર છે અને એવું પણ બને કે આપણને કોઇ વસ્તુ સમજવામાં વધુ સમય લાગે. પરંતુ જ્ઞાનીની અવજ્ઞા કરીને આપણી પોતાની સમજ પર ચાલવું તે ખરેખર, તો સ્વચ્છંદ છે. જ્યાં સ્વચ્છંદ છે, ત્યાં કોઇ મોક્ષે જઈ જ ન શકે. આજ્ઞા સાચી રીતે અને નિષ્ઠાપૂર્વક પાળવાથી સ્વચ્છંદ જતો રહે છે.
જમાલીની પત્ની અને ભગવાન મહાવીરની પુત્રી પ્રિયદર્શના પણ તેના પતિના પંથે ચાલવા લાગી. જો કે, થોડા વર્ષ પછી, એકવાર એવું બન્યું કે પ્રિયદર્શના એક કુંભારને ત્યાં ગઈ, જે જાણતો હતો કે કઈ રીતે તેણે પિતાને છોડી દીધા, કુંભારે તેની આંખ ખોલવાનો પ્રયાસ કર્યો કે, જેથી તે મહાવીર સ્વામીની શરણમાં ફરીથી જતી રહે. તેણે ધીરેથી એક સળગતો કોલસો તેની સાડી ઉપર મૂકી દીધો. થોડી ક્ષણોમાં, જ્યારે પ્રિયદર્શનાએ જોયું કે તેના કપડા સળગી રહ્યા છે, તે બૂમો પાડવા લાગી કે, “અરે, હું સળગી રહી છું, હું સળગી રહી છું.” ત્યાં રહેલા લોકોએ તે આગને બુઝાવી દીધી. પછી, કુંભારે પ્રિયદર્શનાને પૂછ્યું, “તમે અને તમારા પતિ એવું માની રહ્યા છો કે જ્યારે કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થાય ત્યારે જ તે થયેલું કહેવાય છે. તો પછી તમે અગાઉથી કેમ ચીસો નાખી કે, “હું સળગી ગઈ, હું દાઝી ગઈ.?”તમે જ્યારે સંપૂર્ણપણે સળગી જાવ ત્યારે જ તમારે એવું કહેવું જોઇએ. જે કંઇ બની રહ્યું છે, તેને તમે કઈ રીતે કહી શકો કે આ થઈ ગયું છે – આ તારો સિધ્ધાંત છે, ખરું ને?”
પ્રિયદર્શનાને તેની ભૂલનો ખ્યાલ આવ્યો, તે ભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે અને પોતાની ભૂલોની કબૂલાત કરે છે. આ બધાના પરિણામે, આવતા ભવમાં તેને દેવગતિ પ્રાપ્ત થાય છે.
એક દિવસ, ભગવાન મહાવીર શ્રાવસ્તીનગરીમાં પહોંચ્યા. તેમના શિષ્ય, આનંદ મુનિ, ભગવાનને મળવા જવાના રસ્તામાં, હલાહલ નામના કુંભારની દુકાન નજીકથી પસાર થયા, જ્યાં ગોશાળો (જેનો ઉલ્લેખ અગાઉ પણ આવ્યો હતો) રહેતો હતો. અહંકારી ગોશાળાએ અત્યારે પણ પોતાની જાતને ૨૪મા તીર્થંકર તરીકે ઘોષિત કરવાનું શરૂ કરી દીધું. આનંદ મુનિ સામે તેણે એવી બડાઇ મારવાનું શરૂ કરી દીધુ કે, તેની પાસે એવી મહાન શક્તિ છે કે જેના દ્વારા ક્ષણમાં જ કોઇને પણ ભસ્મીભૂત કરી શકે છે.
આનંદ મુનિએ આ વાત ભગવાનને કહી અને ગોશાળો જે કહી રહ્યો હતો તે સાચું છે કે કેમ તેની પૂછપરછ કરી. ભગવાને એવું કહ્યું કે તેની પાસે તેજોલેશ્યાનું જ્ઞાન છે જેના દ્વારા તે કોઇને પણ ભસ્મ કરી શકે છે. જો કે, તે તીર્થંકરને નષ્ટ ન કરી શકે, એટલે કે; ભગવાન મહાવીરને! ભગવાને આનંદ મુનિ અને તેમના અન્ય શિષ્યોને ચેતવ્યા કે ગોશાળાથી દૂર રહેવું કારણ કે તે તેની શક્તિનો દુરૂપયોગ ગમે તે સમયે કરી શકે છે. તેમણે તેઓને સલાહ આપી કે તેની સાથે કોઇ પણ પ્રકારની દલીલોમાં પડવું નહિ.
બીજી તરફ, શ્રાવસ્તી નગરીમાં, બે વ્યક્તિ પોતાની જાતને તીર્થંકર ઘોષિત કરી રહ્યા છે તે ચર્ચાનો વિષય બની ગયો. આ બન્નેમાંથી જે લોકો જે ગુરૂને સ્વીકારતા હોય તે લોકો સામાન્યપણે જ પોતપોતાના ગુરૂની પક્ષમાં જ હોય. તેથી, જે લોકો મહાવીર ભગવાનને માનતા હતા તેમને ખાતરી હતી કે, તેઓ જ સાચા તીર્થંકર છે. જો કે, ઘણા જિજ્ઞાસુ લોકો ગોશાળા દ્વારા દર્શાવાતા ચમત્કારિક શક્તિ પ્રયોગોથી પ્રભાવિત થઈ ગયા અને તેને તીર્થંકર તરીકે માની બેઠા.
એક દિવસ, ગોશાળો આવ્યો અને ભગવાનને બધી જ રીતે અપશબ્દો બોલી હેરાન કરવાનું શરૂ કરી દીધું! ભગવાન સ્થિર જ રહ્યા અને ગોશાળો જે કંઇ કહી રહ્યો હતો તેને ધીરજપૂર્વક સાંભળવા લાગ્યા. જો કે, તેમના શિષ્યો, જે લોકો ભગવાન તરફ પૂજ્યભાવ ધરાવતા હતા અને હ્રદયપૂર્વક ભગવાનની ભજતા હતા, તેઓ ભગવાન માટેના આ ખરાબ શબ્દો સહન કરી શક્યા નહિ. તેઓ વળતો પ્રહાર કરતા હતા જેના કારણે ગોશાળો ખૂબ જ ક્રોધિત થયો. તેણે તરત જ તેલોલેશ્યાનો પ્રયોગ કર્યો અને બે શિષ્યોને બાળી નાખ્યા. તે બન્ને ભગવાન મહાવીરના ચરણ કમળમાં સમર્પિત થયા અને મૃત્યુ પછી, દેવલોક પામ્યા.
આ દ્રશ્યના સાક્ષી બનેલા અન્ય શિષ્યો, ગોશાળાની ક્રૂરતા જોઇને આઘાત પામ્યા, ભગવાનને તે બે શિષ્યોનો જીવ પાછો આવી જાય તે માટે વિનંતિ કરવા લાગ્યા. ભગવાને તેમને સમજાવ્યું કે આ શક્ય નથી, કારણ કે તેઓ મોક્ષદાતા છે, જીવનદાતા નથી.
જન્મ અને મૃત્યુ એ આપણા કર્મોનું જ પરિણામ છે. ભગવાન ક્યારેય આમાં વચ્ચે પડતા નથી. વધુમાં, આપણે દરેક અસંખ્ય જન્મો અન મૃત્યુમાંથી પસાર થયા છીએ. મોક્ષનમાર્ગે પ્રગતિ કરવા માટે આની શી કિંમત છે? બે શિષ્યો જેને આપણે મૃત્યુ પામેલા કહીએ છીએ તે હકીકતમાં તો ભગવાનનું શરણ પામ્યા છે અને મોક્ષ પંથેપામ્યા છે. તે જ ખરેખર મહત્વનું છે!
ગોશાળો, જો કે, આટલું બનવા છતાં પણ જરા પણ સંતુષ્ટ થયો ન હતો. તેણે તેજોલેશ્યા ભગવાન ઉપર પણ ફેંકી. પરંતુ આ વખતે, તેજોલેશ્યા ભગવાનની ત્રણ પ્રદક્ષિણા કરીને પાછી ગોશાળાને જ વાગી, કારણ કે વર્ધમાન મહાવીર તીર્થંકર અને ચરમ શરીરી હતા. તીર્થંકર ભગવાનનું કોઈ દિવસ અકાળે મરણ થાય નહિ. ગોશાળાનું આખું શરીર સળગવા લાગ્યું. ભગવાને તેને કહ્યું, “સાવચેત રહેજે, સાતમા દિવસે, તારું મ્રુત્યુ થશે.” આ સાંભળીને, ગોશાળાને તેના ખોટા કર્મોનો ખ્યાલ આવ્યો અને તેના પર તે નિષ્ઠાપૂર્વક પસ્તાવો કરવા લાગ્યો. તે પીડામાં રડવા લાગ્યો, “આ ભયંકર પીડા એ મારા પાપ કર્મનું જ ફળ છે.” તેણે તેના બધા શિષ્યોને એકઠા કર્યા અને સ્વીકાર્યું કે: “હું ખોટો હતો અને ભગવાન મહાવીર સાચા હતા. તમે બધા તેમની પાસે જાઓ. તેઓને ભગવાન તરીકે સ્વીકારો! હું મોટો પાપી છું. મહેરબાની કરીને મને માફ કરો.” તેણે અત્યંત પસ્તાવો કર્યો. તેનું શું પરિણામ આવ્યું? તેના મૃત્યુ પછી, ભગવાને જાહેર કર્યું કે, “ગોશાળો, તેના પ્રતિક્રમણને કારણે, દેવગતિને પામ્યો છે. છેલ્લા દિવસે, તેણે ખૂબ જ પસ્તાવો કર્યો જેના કારણે તેણે તેની જાતને પાપોથી મુક્ત કરી દીધી. તેથી, તે ચોક્કસપણે મોક્ષ પ્રાપ્ત કરશે. “તેથી, તમે જુઓ, સાચી આલોચના અને પશ્ચાતાપમાં અત્યંત શક્તિ રહેલી છે. જો હ્રદયપૂર્વક કરવામાં આવે, તો ખરાબમાં ખરાબ પાપો પણ બળી શકે છે!
તેજોલેશ્યા મહાવીરને તાકીને ફેંકવામાં આવી હોવા છતાં પણ ભગવાનને મારી શકી નહિ, પરંતુ તેનાથી ભગવાનને ખરાબ અસરો જરૂરથી થઈ. તેનાથી ભગવાનને મરડો થઈ ગયો, જેના કારણે, ભગવાનનું ઘણું બધું વજન ઘટી ગયું. જો કે, ભગવાનને અંદર શાંતિ જ હતી. તેમના શિષ્યો ખૂબ જ ચિંતિત થઇ ગયા; ખાસ કરીને, સિંહ નામનો એક શિષ્ય ભગવાનની પીડા જોઇને ખૂબ રડવા લાગ્યો. ભગવાને તેને શાંત કર્યો અને કહ્યું, “ચિંતા ન કર. મને કશું થવાનું નથી. હું હજુ બીજા ચૌદ વર્ષ જીવવાનો છું.” સિંહે આગ્રહ કર્યો કે ભગવાને કેટલીક દવા લેવી જોઇએ, જેમાં ભગવાન સંમત થયા. ભગવાને તેને રેવતી પાસે જવા માટે સૂચન કર્યું, જે ભગવાન માટે અત્યંત ભક્તિથી, ભગવાન માટે કેટલીક વાનગીઓ બનાવી રહી હતી. ભગવાન મહાવીરે સ્પષ્ટપણે એવી સુચના આપી કે તે અમુક વાનગી ન લઈ આવે, પરંતુ તેના બદલે તે બીજી વાનગી બીજોરાની કે જે રેવતીએ ઘેર બનાવી હોય તે લઈ આવે.
સિંહ રેવતી પાસે ગયો. તેણી ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ઊઠી અને વધુમાં તેણીએ સાંભળ્યું કે ભગવાને તેને ખાસ કરીને અમુક વાનગી બનાવવાનું કહ્યું છે તો તેણી ખૂબ જ રોમાંચિત અને આનંદિત થઇ ઊઠી. તેણે ખૂબ જ આનંદ સાથે બીજોરાની વાનગી સિંહને આપી, જે પ્રમાણે ભગવાને સૂચના આપી હતી! મહાવીર સ્વામીએ તે ખાધી અને તેમનો ઇલાજ થઇ ગયો. આમ, રેવતી તીર્થંકર તરીકેનું ગોત્ર બાંધે છે. આવતી ચોવીસીમાં રેવતી ૧૭મા તીર્થંકર તરીકે થશે.
ભગવાન મહાવીરના શરણમાં આવીને, ગૌતમ સ્વામીનું મિથ્યા અભિમાન નષ્ટ થઈ ગયું. તેઓ ભગવાનના અતિનમ્ર શિષ્ય બની ગયા. જેમ જેમ દિવસો પસાર થતા ગયા, તેમને ભગવાન તરફ અત્યંત પ્રશસ્ત રાગ ઉત્પન્ન થયો. ગૌતમ સ્વામીનો તેમના પ્રત્યેનો પ્રેમ અપાર હતો. આ જ કારણ હતું કે તેઓ શા માટે કેવળજ્ઞાન પ્રાપ્ત ન કરી શક્યા અને બીજી તરફ હજારો લોકો માત્ર એક વખત ભગવાનના શબ્દો સાંભળીને જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા.
ગૌતમ સ્વામી અસાધારણ બુધ્ધિમતા ધરાવતા હતા. તેથી, તેઓ કોઇને પણ ધર્મનો ઉપદેશ આપે, તેમના ઉપદેશ થકી કોઈપણ વ્યક્તિને કેવળજ્ઞાન થઇ જાય, એવી ક્ષમતા તેઓ ધરાવતા હતા.
એક વખત મહાવીર ભગવાને એમની દેશનામાં કહ્યું કે, “જે અષ્ટાપદ પર્વત પર ચોવીસ તીર્થંકરોના જીનાયલો છે, તેના દર્શન કરે અને એક રાત્રી ત્યાં વાસ કરે, તે જરૂર એ જ ભવમાં મોક્ષ પદને પામશે.” આ સાંભળીને ગૌતમસ્વામી અષ્ટાપદ જવાનો નિશ્ચય કરે છે અને તે માટેની બધી જ તૈયારીઓ કરે છે. અષ્ટાપદ પર ચડવું કઠીન હતું પરંતુ આખરે ગૌતમસ્વામી તો પ્રથમ ગણધર હતા અને એમનું નિશ્ચય બળ જબરદસ્ત હતું. અષ્ટાપદ પર્વત પર ચઢતી વખતે ત્રણ પડાવ આવે છે. પ્રથમ પડાવ પાસે ૫૦૦ તાપસોને ગૌતમ સ્વામીએ બોધ આપ્યો અને તેઓ બધા મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. બીજા પડાવ પાસે અન્ય ૫૦૦ તાપસો તપ કરી રહ્યા હતા અને તેમને પણ ગૌતમ સ્વામીએ સુંદર બોધ આપ્યો અને તેઓ બધા પણ મહાવીર ભગવાનને સમર્પણ થઈ ગયા. ત્રીજા પડાવ પાસે પણ ૫૦૦ તાપસોને બોધ પમાડી તેઓ ભગવાનને સમર્પિત થયા.આ રીતે ૧૫૦૦ તાપસો ગૌતમ સ્વામીના શિષ્યો થઈ ગયા. ત્યારબાદ ગૌતમ સ્વામી અષ્ટાપદ પર્વતના શિખરે પહોંચ્યા અને ત્યાં અત્યંત ભક્તિપૂર્વ ચોવીસ તીર્થંકરોને વંદના કરી. ત્યાં ગૌતમ સ્વામી એક રાત્રી વાસ કરીને બીજા દિવસે પર્વત પરથી ઉતરે છે અને ૧૫૦૦ તાપસો મહાવીર ભગવાનનું શરણું સ્વીકારીને ગૌતમ સ્વામી પાસે દીક્ષા અંગીકાર કરે છે. ત્યારબાદ બધા ખુબ જ આનંદિત થઈને ગૌતમ સ્વામી સાથે વિહાર કરે છે. ગૌતમ સ્વામી ૧૫૦૦ તાપસોમાં કોઈ ને છઠ તો કોઈને અઠ્ઠમના પારણા કરાવે છે. ત્યારબાદ ગૌતમ સ્વામી સહિત ૧૫૦૦ તાપસો ભગવાનના સમવોસરણમાં જવા માટે વિહાર કરે છે. ત્યારે, જેઓએ અઠ્ઠમના પારણા કર્યા હોય છે એવા ૫૦૦ તાપસોને ભગવાનના સમવોસરણને દૂરથી જ જોઇને અને તેના દર્શન કરીને, બધાને ત્યાં જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. બીજા ૫૦૦ તાપસો જેઓએ છઠના પારણા કર્યા હોય છે તેમને સમવોસરણને નજીકથી જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને બાકી રહેલા ૫૦૦ શિષ્યોને ભગવાનના મુખારવિંદને જોતા જ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ત્યારબાદ ૧૫૦૦ તાપસો ભગવાનને વંદન કરી કેવળીઓની પર્શદામાં બેસે છે ત્યારે ગૌતમ સ્વામી એમને રોકે છે કારણ કે, તેઓ એ વાતથી અજાણ હતા કે, ૧૫૦૦ તાપસોએ કેવળજ્ઞાન થયું છે. એ જ સમયે, મહાવીર ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે, “હે ગૌતમ, આ ૧૫૦૦ કેવળીઓની અશાતના થઈ રહી છે તમારાથી, તેઓને કેવળજ્ઞાન થયું છે”. આ સાંભળીને ગૌતમ સ્વામીએ હૃદયપૂર્વક પશ્ચાતાપ કરીને બધાની માફી માંગી. આવા પ્રકારનો તેમનો અસાધારણ પરમ વિનય હતો! સાથોસાથ તેમનો પ્રેમ અને પરમ વિનય ભગવાન પ્રત્યે એટલો જ દ્રઢ હતો!!!
હાથ જોડીને આપણા વડીલોને નમવું એ વિનય દર્શાવે છે. ભગવાનના ચરણોમાં નમવું એ વધારે વિનય દર્શાવે છે. પરમ વિનય એટલે ગુરૂ અથવા જ્ઞાની જેની પાસેથી આપણને સાચું જ્ઞાન મળ્યું હોય, તેમની સાથે અભેદતા અને ક્યારેય પણ તેમના માટે એક પણ નેગેટીવ વિચાર ન આવવો જોઈએ. આપણો ઉધ્ધાર તેમના થકી જ થવાનો છે. પરમ વિનય એટલે સામી વ્યક્તિ માટે એકતા જ હોય અને ક્યારે પણ જુદાઈ ન લાગે. આપણા શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “વિનય એ ધર્મનું મૂળ છે”.વીતરાગ માર્ગમાં વિનયનું ખુબ મહત્વ છે. શરૂઆત વિનયથી અને અંત પણ પરમ વિનયથી જ થાય છે.
તીર્થંકર મહાવીર કે રાજગૃહી નગરીતરફ વિહાર કરી રહ્યા હોય છે ત્યારે તેમને એક અંબડ નામનો શ્રાવક મળે છે. ભગવાન તે શ્રાવક દ્વારા તેમના ખાસ આશીર્વાદ સુલસા શ્રાવિકા માટે મોકલે છે. શ્રાવક વીતરાગ ભગવાન તરફથી આવેલા આ શબ્દો જોઇને આશ્ચર્યચકિત થઇ ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે ભગવાને આવું શા માટે કર્યું હશે? તેથી, તેણે સુલસાની ભગવાન પ્રત્યે ભક્તિની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. અંબડ શ્રાવક પાસે કેટલીક એવી શક્તિઓ હતી જેના દ્વારા તે બનાવટી સમોવસરણ રચી શકે. પછી, તેણે શહેરમાં એવી અફવા ફેલાવી કે મહાવીર સ્વામી આવે છે ત્યાં તો બધા સ્થાનિક લોકો સમોસરણ તરફ દોટ મૂકે છે.
જો કે, સુલસા તેના ઘરમાંથી બહાર આવી નહિ. અંબડે તેમને પૂછ્યું, “શું તમે ભગવાનના દર્શન માટે જશો નહિ?”તેમણે સ્પષ્ટતા કરી કે, “જો ખરેખરમાં ભગવાન મહાવીર આવ્યા હોય, તો મને તરત જ સ્પંદનો અનુભવ થાત. મારૂ સમગ્ર શરીર આનંદથી થનગની ઉઠયું હોય. જો કે, જો આવી લાગણીઓ મારી અંદર આવી નથી રહી, તો તે દર્શાવે છે કે આ સમોવસરણ બનાવટી છે, અને વાસ્તવિક નથી. “ શ્રાવકને ખ્યાલ આવ્યો કે તેમની ભક્તિની નિષ્ઠા ઉપર શંકા કરવામાં પોતે ખોટો હતો. સુલસાએ આ જન્મમાં તીર્થંકર ગોત્ર બાંધ્યું અને તેના પરિણામે, આવતી ૨૪મી તેઓ તીર્થંકર બનશે.
એક દિવસ, વર્ધમાન મહાવીર મલ્લિનાથ ભગવાનના દેરાસર પાસેના ઉદ્યાનમાં ધ્યાનસ્થ મુદ્રામાં બિરાજમાન હતા. એક યુગલ તેમના દરરોજના નિત્યક્રમ મુજબ મંદિરમાં પૂજા કરવા માટે આવે છે. બન્ને ભગવાન પાસેથી પસાર થાય છે અને ભગવાન મલ્લિનાથની પૂજા કરવા મંદિરમાં પ્રવેશે છે. આ જોઇને, ઇન્દ્રદેવ તે યુગલ સમક્ષ પ્રગટ થાય છે અને તેઓને જણાવે છે કે તેમણે બગીચામાં ધ્યાનમાં રહેલા જેમને જોયા તે ભગવાન મહાવીર, વર્તમાન હાજર તીર્થંકર છે. ઇન્દ્રદેવે તેઓને જીવતા તીર્થંકરની પૂજાનું મહત્વ અને તેમના થકી કઇ રીતે મોક્ષ થઇ શકે તે સમજાવ્યું.
એ જ રીતે, આપણા માટે, મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજમાન એવા ૨૦ તીર્થંકરો વર્તમાને હાજર છે; શ્રી સીમંધર સ્વામી આપણી પૃથ્વીથી સૌથી નજીક છે. તેથી, આપણે હ્રદયપૂર્વક ભગવાન સીમંધર સ્વામીની આરાધના કરવી જોઇએ. તેઓ જ એકમાત્ર આપણા સહુના કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિના ઉત્તમ નિમિત્ત છે. અત્યારે, મહાવીર પછી, આપણી પૃથ્વી ઉપર કોઇ તીર્થંકર નથી. મહાવિદેહ ક્ષેત્રમાં બિરાજેલ સીમંધર સ્વામી પાસે પહોંચવા માટે, આપણને તેમના પ્રતિનિધિ કે, જે જીવતા જ્ઞાની છે તેમની જરૂર પડશે, જ્ઞાની પુરૂષ જેમનો આત્મા જાગૃત હોય અને જે બીજાના આત્માને પણ જાગૃત કરી શકે અને આપણે આવતા ભવમાં સીમંધર સ્વામી પાસે જઈ શકીએ એવા તૈયાર કરી આપવાની ક્ષમતા ધરાવતા હોય છે.
મહાવીર સ્વામી, વિહાર વખતે, રાજગીરી નજીક પાવાપુરી (બિહાર) પહોંચ્યા. તેમની અંતિમ દેશના ૭૨ કલાક અવિરત ચાલી! આ કાળચક્રના લોકો માટે મુક્તિ પામવાની આ છેલ્લી તક હતી. તેથી, ઘણા રાજાઓએ દીક્ષા લીધી અને અસંખ્ય લોકોએ શ્રાવક અને શ્રાવિકા ધર્મ અંગિકાર કર્યો. આ જ સમયમાં, ભગવાને ગૌતમ સ્વામીને પડોશના શહેરમાં જવાનું અને બ્રાહ્મણને સાક્ષાત્કાર કરાવી દેવાનું કામ સોંપ્યું.
અંતે, ભગવાને શૈલેષીકરણ ક્રિયા કરી અને ૭૨ વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધો. ભગવાનનું નિર્વાણ થયું અને સિધ્ધક્ષેત્રમાં ગયા! દેવ ભગવંતો અંતિમ ક્રિયાઓ કરવા આવ્યા અને ભગવાન મહાવીરના નિર્વાણ કલ્યાણકની ઉજવણી કરી.
આ સમાચાર સાંભળીને, આખા વિશ્વમાં અંધકાર છવાઇ ગયો. માટે, લોકોએ તેમના ભગવાનની ઝાંખી મેળવવા માટે દીવાઓ પ્રગટાવ્યા! આ ક્રિયા આજે પણ આ યુગના છેલ્લા તીર્થંકરની – મહાવીર સ્વામી, આપણા તારણહાર, જેમના શાસનમાં આપણો જન્મ થયો તેમની યાદમાં કરવામાં આવે છે. આપણે આ પ્રસંગને ‘દિવાળી’ તરીકે ઉજવીએ છીએ!
પાછા ફરતી વખતે, ગૌતમ સ્વામીએ જાણ્યું કે તેમના વ્હાલા ભગવાનને નિર્વાણ પ્રાપ્ત થયું છે. ગૌતમ સ્વામી, જેમને ભગવાન પ્રત્યે અત્યંત રાગ હતો, તેઓ આ સમાચાર સાંભળીને ચોંકી ગયા. તેઓ આ વાત માની શકતા જ ન હતા. તેઓ એ સમજવામાં નિષ્ફળ ગયા કે, “આવું બનવાનું હશે તેની ભગવાનને ક્યારે ખબર પડી હશે, શા માટે તેઓએ મને દૂર મોકલી દીધો?” તેમને ભારે આઘાત લાગ્યો. જો કે, તે જ વખતે, તેઓને ભાન થયું અને તેમના રાગનું બંધન અને મૂર્ખતા તૂટી ગઇ અને તેઓને પણ, કેવળજ્ઞાન થઈ ગયું! તેમણે ભગવાન દ્વારા અપાયેલ જગત કલ્યાણનું કામ બીજા ૧૨ વર્ષ શરૂ જ રાખ્યું અને અંતે મોક્ષે ગયા.
આજના સમયમાં, મહાવીર સ્વામીની જીવન કથા આપણા બધા માટે ખૂબ જ મહત્વ ધરાવે છે! આ કથાઆપણને તેમના જેવા, અહિંસક અને બધા બંધનોમાંથી સંપૂર્ણપણે મુક્ત થવાનો ધ્યેય નક્કી કરવા માટે પ્રેરણા આપે છે. તેમની કથાનું વર્ણન કરવા માટેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે. આ કુદરતી નિયમ છે : જે ગુણોની આપણે ભજના કરીએ તે આપણામાં પણ ખીલી ઊઠે છે. મહાપુરૂષોની કથા વાંચવા પાછળનો હેતુ જ આ છે. ભગવાન મહાવીરની કથા એ તીર્થંકરની કથા છે, જે આ વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે!
subscribe your email for our latest news and events