અરિહંત કોને કહેવાય? જે હાજર હોય તેને. નિર્વાણ થયું હોય તેમને સિદ્ધ કહેવાય. મોક્ષે બિરાજમાન, આવા સિદ્ધ ભગવંતોને અરિહંત ના કહેવાય.
ભરતક્ષેત્રના ચોવીસ તીર્થંકરો જે થઈ ગયા, એમને અરિહંત કહેવામાં આવે છે. પણ જો વિચારવામાં આવે તો એ લોકો તો સિદ્ધ થઈ ગયા છે. તે 'નમો સિદ્ધાણં' બોલીએ તેમાં એ આવી જ જાય છે; પણ લોકો આ ચોવીસ તીર્થંકરોને જ અરિહંત કહે છે. એમને ખબર નથી કે આ તીર્થંકરો સિદ્ધ થઈ ગયા છે. સીમંધર સ્વામી એ આજે અરિહંત છે. પ્રત્યક્ષ દેહે વિચરતા હોય તો જ ‘અરિહંત’ કહેવાય.
ચોવીસીના છેલ્લા તીર્થંકર શ્રી મહાવીર ભગવાને એમના નિર્વાણ પહેલાં કહ્યું હતું કે હવે ચોવીસી બંધ થાય છે, હવે તીર્થંકર થવાના નથી. એટલે મહાવીર ભગવાને કહ્યું કે મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થંકર છે, એમને ભજજો, કારણ કે ત્યાં આગળ વર્તમાન તીર્થંકરો છે.
મહાવીર ભગવાને બધું ખુલ્લું કર્યું હતું! મહાવીર ભગવાન જાણતા હતા કે હવે અરિહંત નથી. આ લોકો કોને ભજશે? એટલે એમણે ખુલ્લું કર્યું કે વર્તમાનમાં સીમંધર સ્વામી છે અને બીજા ઓગણીસ તીર્થંકરો પણ છે. જ્યારે આ વાત ખુલ્લી થઈ ત્યારે આ મોક્ષમાર્ગ ચાલુ થઈ ગયો. વર્ષો પૂર્વે, કુંદકુંદાચાર્યે પણ આ જ વાત ખુલ્લી કરી હતી.
અરિહંત ભગવંતોની ભજના કરવાથી બહુ ઊંચું ફળ મળે. આ રીતે સમજીને બોલો: “આખા બ્રહ્માંડમાં અરિહંત જ્યાં પણ હોય એમને નમસ્કાર કરું છું.” આમ કરવાથી અદ્ભુત ફળ મળશે.
subscribe your email for our latest news and events