Related Questions

બીજાને દોષિત જોવાનું આપણે કેવી રીતે બંધ કરી શકીએ?

સામાનો દોષ કોઈ જગ્યાએ છે જ નહીં, સામાનો શો દોષ! એ તો એમ જ માનીને બેઠા છે, કે આ સંસાર એ જ સુખ છે ને આ જ વાત સાચી છે. આપણે એમ મનાવવા જઈએ કે તમારી માન્યતા ખોટી છે, તો તે આપણી જ ભૂલ છે. લોકોને પારકાના દોષો જ જોવાની ટેવ પડી છે. કોઈના દોષો હોતા જ નથી. બહાર તો તમને દાળ-ભાત, શાક-રોટલી બધું બનાવીને, રસ-રોટલી બનાવીને આપે બધા, પીરસે, પાછા ઘી મૂકી જાય, ઘઉં વેણે, તમને ખબરેય ના પડે, ઘઉં વેણીને દળાવે છે. જો કદી બહારવાળા દુઃખ આપતા હોય, તો ઘઉં વેણે શું કરવા? એટલે બહાર કોઈ દુઃખ આપતા નથી. દુઃખ તમારું મહીંથી જ આવે છે. સામાનો દોષ જ ના જોઈએ, દોષ જોવાથી તો સંસાર બગડી જાય છે. પોતાના જ દોષ જો જો કરવા. આપણા જ કર્મના ઉદયનું ફળ છે આ! માટે કંઈ કહેવાનું જ ના રહ્યું ને? આ તો બધા અન્યોન્ય દોષ દે કે, 'તમે આવા છો, તમે તેવા છો' ને ભેગા બેસીને ટેબલ પર ખાય. આમ મહીં વેર બંધાય છે, આ વેરથી દુનિયા ઊભી રહી છે. તેથી તો અમે કહ્યું કે, 'સમભાવે નિકાલ કરજો.' એનાથી વેર બંધ થાય.

×
Share on