Related Questions

ઋણાનુબંધમાંથી કેવી રીતે મુક્ત થવું?

પ્રશ્નકર્તા: એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છે ને?

દાદાશ્રી: ના, ના. આમાં જરૂર જ નથી. અક્રમ માર્ગમાં એ જરૂર જ નથી. આ નવ કલમો તો તમારા હિસાબ બધા બંધાયેલા હોય અનંત અવતારના બધાની જોડે, એ હિસાબ છૂટી જવા માટે આપી છે. ચોપડા ચોખ્ખા કરવા માટે આપી છે.

એટલે એ નવ કલમો છે તે બોલશો એટલે તાર છૂટી જશે. લોકોની જોડે તાર જે બંધાયેલા છે, તે ઋણાનુબંધ તમને મોક્ષ કરવા દેતું નથી. તે આ તાર છૂટવા માટે નવ કલમો છે.

આ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષો થઈ ગયેલા ને, એ બધા ઢીલા થઈ જાય બોલવાથી અને આ તો પછી એનું ફળ તો આવે જ. બળેલી દોરી જેવા થઈ જાય, તે આમ હાથ કરીએ ને, એટલે એ પડી જાય.

પ્રશ્નકર્તા: દોષોના પ્રતિક્રમણ કરવા માટે અમે નવ કલમો વારાફરતી રોજ બોલ્યા કરીએ તો એમાં શક્તિ ખરી કે?

દાદાશ્રી: તમે નવ કલમો બોલો એ જુદું છે અને આ દોષના પ્રતિક્રમણ કરો એ જુદું છે. જે દોષ થાય, તેના પ્રતિક્રમણ તો રોજેય કરવાના.

આ તો અનંત અવતારથી લોકોની જોડે જે ખટપટ થયેલી હોય, તે આ નવ કલમો બોલે એટલે બધા ઋણાનુબંધ છૂટી જાય. એ પ્રતિક્રમણ છે, એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. આ નવ કલમોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે. સારી રીતે કરો. અમે તમને દેખાડી છૂટીએ, પછી અમે અમારા દેશમાં જતા રહેવાના ને!

×
Share on